Monday, March 26, 2012

સુખનાં સાધનો જ દુઃખનાં કારણો છે!


સુખનાં સાધનો જ દુઃખનાં કારણો છે!
ભૂપતભાઇ વડોદરિયા

અમેરિકાના સુપ્રતિષ્ઠિત વર્તમાનપત્ર ‘ધી ન્યૂયોર્ક ટાઇમ્સ’ના કટારલેખક અને પત્રકાર રસેલ બેકરે પોતાની આત્મકથા લખી છે. કથા તો એક ગરીબ કિશોર સંઘર્ષ કરતાં કરતાં કઇ રીતે અખબારી કારકિર્દીનાં ઊંચાં પગથિયાં ચઢે છે તેની છેપણ માત્ર તે કારકિર્દીની કથા નથી, જિંદગીની કથા છે. એકદમ વાસ્તવિક છે અને છતાં અત્યંત રમૂજી. રસેલ બેકરે પોતાની આત્મકથા કંઇક આવી રીતે શરૂ કરી છેઃ મારી માતાને ગુજરી ગયાંને તો વર્ષો વીતી ગયાં છતાં તે હજુ મારા મનમાં વિહરતી રહે છે. સ્વપ્નો અને પરોઢના સંધિકાળે તે મને ઢંઢોળે છે! ‘એ આળસુના પીર! ઊઠ, કામે લાગ! મને મેદાન છોડીને ભાગે એવો દીકરો ના ગમે! તું એવું ના કરીશ!’ મેં અહીં ભાવાર્થ આપ્યો છે, શબ્દશઃ ભાષાંતર કર્યું નથી. અમેરિકાની મોટી આર્થિક મંદીનો એ સમયગાળો હતો ત્યારે દરેક અમેરિકનનો આદર્શ જાણે સફળતા, મહત્ત્વાકાંક્ષા, ભૌતિક સમૃદ્ધિ, સામાજિક દરજ્જાની સીડી ઉપર ઊંેચાંમાં ઊંચાં પગથિયાં પર પહોંચી જવું એ હતો. રસેલ બેકરની ગરીબમહેનતુ અને મહત્ત્વાકાંક્ષી માતા પણ પુત્રને એ જ રાહ ચીંધે છે અને તેને આગળ ધકેલવા મથે છે પણ રસેલ બેકરે અહીં વ્યવસાયી જીવનની સફળતાની કથા આલેખી નથીવ્યક્તિ અને કુટુંબના જીવનની સાચી કથા કહી છે.
વારંવાર માતા ડોકાયા જ કરે છે. વારંવાર પુત્રની સામે માતાના શબ્દો અને સંકેતો પથદર્શક ચિહ્નો બનીને ખડા રહે છે. ખરેખર જિંદગીમાં આવું જ બને છે. આમાં કોઇ ભૂતપ્રેમની વાત નથી કે પરલોક સીધાવેલી વ્યક્તિ સાથે સંપર્ક સાધવાની વાત જ નથી. વાતો મૃતક વ્યક્તિ પોતાના પ્રિયજનોના મનમાં, જીવનમાં સૂક્ષ્મ હાજરીરૂપે કઇ રીતે ઊભરાતી રહે છે અને એને કઇ રીતે પ્રેરણાદોરવણી આપે છે તેની છે.

આ અનુભવ કંઇ માત્ર રસેલ બેકરનો નથી. ઘણા બધા માણસોને આવો અનુભવ થતો રહે છે. થોડાં વર્ષો પહેલાં એક સુશિક્ષિત બહેને મને કહ્યુંઃ ‘જીવનમાં કોઇ વાર ગૂંચ આવે છે ત્યારે ગમે તેટલા વિચાર કરું તો પણ તેનો કંઇ ઉકેલ સૂઝતો નથી. પછી એવું બને છે કે મને સ્વપ્ન આવે છેસ્વપ્નમાં મારા મૃત પિતાને હું જોઉં છું અને મને કંઇક સંદેશો આપે છે. આ સંદેશામાં મારી ગૂંચનો ઉકેલ હોય છે. હકીકત એ છે કે આવી રીતે મારી ઘણી ગૂંચો ઉકેલાઈ છે. વર્ષો પહેલાં પોતાની સફળ ધંધાદારી કારકિર્દી પોતે છોડી દઇને જીવનનો નવો રાહ કઇ રીતે નક્કી કર્યો તેનો ખુલાસો કરતાં એક મિત્રે કહ્યુંઃ ‘નાની ઉંમરે મને અણધારી સફળતા મળી. તદ્દન નિર્ધન સ્થિતિમાંથી બહાર નીકળીને હું પૈસાથી ઘેરાઇ ગયો, પણ હૃદયમાં ઊંડે ઊંડે અજંપો હતો. શું આ જ જીવન? પૈસા ખરેખર શું છે? માગો તે સુખ હાજર કરી આપવાની શક્તિ તેમાં છે એ વાત શું ખરેખર સાચી છે? માણસને પૈસા તમામ સુખોના મહામંત્ર જેવા લાગે છેપણ ખરેખર જીવનમાં કોઇક કીમતી ચીજ ખોવાઈ ગયેલી લાગે છે અને તે મેળવવા માટે જ્યારે માણસ પૈસાની ચાવી અજમાવવા જાય છે ત્યાં તેને ખબર પડે છે કે આ ચાવી અહીં નકામી છે. પૈસા મળે ત્યારે લાગે છે કે બસ, આ પૈસા હવે મારી પાંખો બનશે. હું આકાશમાં ઇચ્છું એટલો ઊંચો ઊડી શકીશ, પણ પછી ખબર પડે છે કે આ પૈસા મારી પાંખો નથી આ તો મારો બોજો છે, જે સાથે લઇને હું ઊડી શકું તેમ જ નથી! મારી પાસે પૈસા આવ્યા પણ મારા માટે સુખનો આ રસ્તો નથી એવું મને લાગ્યું. મનમાં ખૂબ મૂંઝાયો ત્યારે એક દિવસ સ્વપ્નમાંવહેલા પરોઢિયાના એક સ્વપ્નમાંમારી માતાને મેં જોઇ. માતાએ મને કહ્યુંઃ બચુ, તને રૂપિયા ગણવામાં ઝાઝો રસ ના હોય તો પછી નકામો રૂપિયા ન ગણ! તને આકાશના તારા ગણવાનો શોખ હોય તો આકાશના તારા ગણ! માતાએ આવું કહ્યું અને મારી આંખ ઊઘડી ગઇ. બસ, પછી મેં રૂપિયા ગણવાનું છોડી દીધું!

ઘણીવાર માણસ આવી રીતે રૂપિયા ગણવાનું છોડી દઇને આકાશના તારા જોવા કે ગણવા માંડે ત્યારે તેને તકલીફ પણ પડે છે, પણ તમે તકલીફને માત્ર ધીંગામસ્તી કરતાં બાળકો જ સમજીને તેની સાથે કામ પાડો ત્યારે તમારા કામમાં તે વિક્ષેપ પાડી શકતી નથી. દુઃખને દવા ગણીને પીનારાને એ એટલું કડવું લાગતું નથી. તેનો સ્વાદ કડવો લાગે તે છતાં તેને ગુણકારી ગણીને તે તેને સહી શકે છે. એથી ઊલટું, કશા ઉદ્દેશ વગર તમે સુખનાં ગમે તેટલાં સાધનો પેદા કરો પણ તમને એ સાધનો સુખ આપી શકતાં નથી. મોટા ભાગે સુખનાં એ સાધનો જ દુઃખનાં કારણો બની જતાં હોય છે.

ભાઇના પુસ્તકમાંથી (સમભાવ મેટ્રોમાંથી)

નિભ્રરન્તિની આખરી ક્ષણ, જે જીવનના ઉદ્વેગમાંથી મુક્ત કરે


નિભ્રરન્તિની આખરી ક્ષણ, જે જીવનના ઉદ્વેગમાંથી મુક્ત કરે
ભૂપતભાઇ વડોદરિયા

મનુષ્યના જીવનમાં નિભ્રરન્તિની એક ક્ષણ આવે છે. મારાં મનોચક્ષુ સમક્ષ બે છબી ખડી થાય છે. એક છબી એક જૈન સજ્જનની છે અને બીજી છે એક મહાન સ્વપ્નદ્રષ્ટાની.

જૈન સદગૃસ્થને જીવનમાં સુખ જ હતું, પૈસા ટકાની ક્યારેય ચિંતા ન હતી. એ માનતા કે હવે બેઉ દીકરા કમાતાધમાતા થયા છે તો મારે લીલાલહેર કરવા સિવાય કશું બાકી રહેતું નથી. પણ પત્ની ગુજરી ગઇ અને બન્ને વહુઓને સસરાનો સ્વભાવ અનુકૂળ ના લાગ્યો. ગૃહસ્થ એક નાની ખોલીમાં રહેવા જતા રહ્યા. એક દિવસ મને મળવા આવ્યા. કહેવા લાગ્યા કે, ‘તબિયત ખૂબ કથળી ગઇ છે. ખોલીમાં એકલો રહું છું. ડાયાબિટીસ છે, પણ ખાવાનો શોખ એવો ને એવો જ છે. વીશીનું ભાણું ભાવતું નથી. એક મિત્રની સાથે સમેત શિખરની જાત્રાએ જઇ રહ્યો છું, તમને મળવા આવ્યો છું, છેલ્લીવાર! ત્યાં જ દેહ પડી જાય એવું ઈશ્ચર પાસે માંગું છું. જિંદગી ખૂબ જોઇ, ખૂબ માણી, ઘણા ઉધામા કર્યા. કોઇને ચાહ્યા, કોઇની સાથે લડ્યા, પણ હવે મન શાંતિ ઝંખે છે. હવે નહીં મળું, છેલ્લી સલામ!’ એમની વાત સાંભળીને થયું કે ભખભખિયો માણસ, પેટમાં પાપ નહીં એટલે આવું બધું કહેતો હશે. બાકી એમ કોઇને માગ્યું મોત થોડું મળે છે? એ ગૃહસ્થ જાત્રાએ ગયા. બે એક મહિના વિત્યા હશે. એમના એક સંબંધી મને મળ્યા. મેં એમને પૂછયું કે પેલા સજ્જન જાત્રાએથી પાછા આવી ગયા? પેલા ભાઇએ નવાઇથી કહ્યું, ‘તમને કશી ખબર નથી? એ તો પાછા આવી ગયા પછી બે દિવસ આરામ કર્યો. ત્રીજા દિવસે નાહીને કપડાં પહેર્યા. એમને અચાનક છાતીમાં દુખાવો ઊપડયો એટલે મેં કહ્યું તમે સૂઇ રહો, હું દાક્તરને બોલાવી લાવું. તે કહે, ‘એમનું પણ કામ નથી. ઇશ્ચર એમને સુખી રાખે. માત્ર એક કામ કરો, મને નવકાર મંત્ર સંભળાવો!’ મેં મંત્ર સંભળાવ્યો અને એમણે આંખો ઢાળી દીધી. એ વખતે એમના ચહેરા પર મેં અવર્ણનીય શાંતિ જોઇ. હું કોઇ સારા જીવનાં દર્શન કરી રહ્યો હોઉં એમ મને લાગ્યું.’ શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાન્ત સ્વામી પ્રભુપાદની કીર્તિ ઇ.સ. ૧૯૬૫ પછી વિશ્ચવ્યાપી બની. ‘ઇસ્કોન’ ના સ્થાપક તરીકે સૌ તેમને ઓળખે છે. અમેરિકા ગયા ત્યારે ભાગ્યે જ કોઇએ માન્યું હશે કે કૃષ્ણભક્તોનો વિશ્ચવ્યાપી સંઘ રચવાનું તેમનું સપનું સાકાર થશે.

સ્વામીનું મૂળ નામ અભયચરણ. ૧૮૯૬ની ૧ સપ્ટેમ્બરે કલકત્તામાં જન્મ્યા હતા. એ વેપાર ધંધો કરતા હતા અને ૬૦ વરસની ઉંમરે એવા ઝંઝાવાતમાં સપડાયા કે શિરે મોટી ખોટ આવી પડી. પુત્રોને વેપાર ધંધા સોંપી દીધા. તેમની એકમાત્ર ઇચ્છા શ્રીમદ્ ભાગવતને અંગ્રેજીમાં ઉતારવાની હતી. લગભગ સિત્તેર વર્ષની ઉંમરે તદ્દન નિર્ધન અને બીમાર એવા માંડ અમેરિકા પહોંચ્યા. તે અગાઉ સ્વામીએ વૈરાગ્યનો અને એકલતાનો જે ભાવ અનુભવ્યો તે એમણે બંગાળીમાં એક કાવ્યરૂપે વ્યક્ત કર્યો છે. તેમાં પ્રારંભની કડીઓ આત્મલક્ષી છે. તેમાં મનુષ્યના હ્ય્દયનું, નિભ્રરન્તિની આખરી ક્ષણનું પ્રતિબિંબ છે, તે જુઓ.

‘વૃંદાવન ધામમાં હું એકાકી બેઠો છું. આ વૈરાગ્યભાવમાં મને ઘણા સાક્ષાત્કાર થાય છે. મારી પાસે મારાં પત્ની, પુત્રો, પુત્રીઓ, પૌત્રો, દોહિત્રો સર્વ છે, પણ પૈસો નથી, તેથી તે સર્વ નિષ્ફળ મહિમા છે. કૃષ્ણે ભૌતિક પ્રકૃતિનું નગ્ન સ્વરૂપ મને બતાવ્યું છે. એમણે મને બક્ષેલી શક્તિથી એ સર્વમાં આજે મને રસ રહ્યો નથી. કૃષ્ણે કહ્યું છે, ‘યસ્માહં અનુગૃહણામિ હરીષ્યે તદ્ધનંશનૈઃ’ (જેના પર હું કૃપા કરું છું તેનું ધન હું ધીમે રહી લઉં છું) પરમ કૃપાળુની આ કૃપા હું કેવી રીતે સમજી શકવાનો હતો? પત્ની, સગાં, મિત્રો, ભાઇઓ વગેરેએ મને નિર્ધન નિહાળી ત્યજી દીધો છે તે દુઃખદ છે, પણ હું એકલો બેસીને એ વાત પર હસું છું. આ માયાસંસારમાં હું ખરેખર કોને ચાહું છું? મારાં વત્સલ માતાપિતા ક્યાં ચાલ્યાં ગયાં? જે મારા સાચા આત્મીયજનો હતા તે વડીલો ક્યાં છે? કહો, તેમના સમાચાર મને કોણ આપશે?’ ‘એ કૌટુંબિક જીવનમાંથી તો માત્ર નામોની યાદી જ શેષ રહી છે.’ બસ, પછી સ્વામી અમેરિકા પહોંચે છે અને જીવનનું સાચું અને અંતિમ કાર્ય કરે છે. એમને વિશ્ચવ્યાપી કીર્તિ મળી, પણ માણસને કીર્તિ મળે કે ન મળે, તેણે આવું કામ શોધવું જ રહ્યું, જે તેને જિંદગીની બાહ્ય જટિલતાઓ અને ઉદ્વેગમાંથી મુક્ત કરી દે. પછી એને દુઃખ ભલે આવે પણ જીવન સરળ અને શાંત લાગે.