Wednesday, October 05, 2011

ગુજરાતી પત્રકારત્વનો ધ્રુવ તારો એટલે ભૂપતભાઇ વડોદરિયા

ગુજરાતી પત્રકારત્વનો ધ્રુવ તારો એટલે ભૂપતભાઇ વડોદરિયા. બધા ગ્રહોતારા ફરતા રહે, પરંતુ ધ્રુવ તારો હંમેશ એક જ સ્થાને રહે છે. હજારોલાખો વર્ષથી તે અચલ છે, તેવી જ રીતે અનેક પ્રલોભનો, સંકટો વચ્ચે ભૂપતભાઇ વડોદરિયા ક્યારેય ડગ્યા નથી, પીછેહઠ કે સિદ્ધાંતોમાં બાંધછોડ કરી નથી એટલું જ નહીં, પરંતુ પત્રકારત્વનાં મૂલ્યો અને નિષ્ઠાને હંમેશ વળગી રહ્યા છે. ધ્રુવ તારાની જેમ ભૂપતભાઇ ગુજરાતી પત્રકારત્વમાં દિશાસૂચક રહ્યા છે. કોઇ વ્યવસાયી પત્રકાર સફળ તંત્રી બનીને પોતાનું દૈનિક સફળતાપૂર્વક ન ચલાવી શકે તે ઘર કરી ગયેલી માન્યતાને ભૂપતભાઇ વડોદરિયાએ ખોટી સાબિત કરી છે. સમભાવ મેટ્રો જનસત્તા લોકસત્તા જેવા દૈનિક અખબારો અને ‘અભિયાન’ સાપ્તાહિકના તંત્રી જ નહીં, પરંતુ એક સફળ સંચાલક તરીકે ગુજરાતના પત્રકારોને એક નવો રાહ ચિંધ્યો છે. તેમણે પુરવાર કરી આપ્યું છે કે વ્યવસાયી પત્રકાર પણ પોતાનું અખબાર શરૂ કરી સફળતાપૂર્વક ચલાવી પણ શકે છે. ભૂપતભાઇ વડોદરિયાનો જન્મ ૧૯ ફેબ્રુઆરી, ૧૯૨૯ના રોજ ધ્રાંગધ્રામાં થયો હતો. ત્રણ વર્ષની વયે જ પિતાની છત્રછાયા ગુમાવનાર ભૂપતભાઇ માટે તેમનાં માતા ચતુરાબહેન જ જીવનનો આદર્શ અને પ્રેરણાસ્ત્રોત બની રહ્યાં. ૧૯૫૫માં માત્ર ૨૬ વર્ષની વયે ‘ફૂલછાબ’ના તંત્રી બન્યા હતા. ૧૯૬૨માં અમદાવાદ આવ્યા અને વિવિધ દૈનિક અખબારોમાં કાર્ય કર્યું. તેમની ચિંતનાત્મક અને પ્રેરણાત્મક કોલમ ઘરેબાહિરે અત્યંત લોકપ્રિય બની હતી. ૧૯૮૨થી ૧૯૮૬ સુધી તેઓએ ગુજરાત રાજ્યના માહિતી નિયામક તરીકે સેવાઓ આપી હતી. કોઇ વ્યવસાયી પત્રકાર માહિતી નિયામક બન્યા હોય એવા અત્યાર સુધી એકમાત્ર ભૂપતભાઇ વડોદરિયા જ રહ્યા છે. ૧૯૮૬ના માર્ચમાં તેમણે ‘સમભાવ’ દૈનિકનો પ્રારંભ કર્યો. પત્રકારત્વમાં ભૂપતભાઇના આદર્શ ઝવેરચંદ મેઘાણી હતા. મેઘાણીની માફક જ ભૂપતભાઇએ પત્રકારત્વમાં નીડરતા અને સાહસિકતાનો પરિચય કરાવ્યો હતો. ગુજરાતી પત્રકારત્વમાં સંશોધનાત્મક પત્રકારત્વનો પાયો નાખનાર પણ ભૂપતભાઇ હતા. તેમણે ’૬૦ના દાયકામાં જાનના જોખમે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ચાલતી દાણચોરીની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. ભૂપતભાઇએ ગુજરાતી સાહિત્યને ચાર હાસ્યનવલકથાની ભેટ ધરી છે. ગુજરાતી સાહિત્યમાં રમણભાઇ નીલકંઠ અને ચુનીલાલ મડિયા પછી હાસ્ય નવલકથાના સર્જક તરીકે ભૂપતભાઇએ ખ્યાતિ મેળવી હતી. ગુજરાતી પત્રકારત્વમાં મૂલ્યનિષ્ઠા જાળવી રાખવાના ભૂપતભાઇ આગ્રહી હતા. તેમના તંત્રીપદ હેઠળનું ‘સમભાવ’ અખબારી જૂથ પત્રકારો માટે આશ્રયસ્થાન બની રહ્યું હતું.

ગુજરાતમાં ઇન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ માટે પત્રકારોને તૈયાર કરવામાં ભૂપતભાઇનો ફાળો અનેરો છે. તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા પત્રકારોની સંખ્યા નાનીસૂની નથી.

ગુજરાતના પત્રકારત્વમાં નીડરતા, નિષ્પક્ષતા અને રચનાત્મક અભિગમ અને ગમે તેવા ચમરબંધીની શેહશરમ રાખ્યા વગર તટસ્થ સમાચારો આપવાનો તેમનો આદર્શ ગુજરાતના પત્રકારત્વમાં એક અનોખી ભાત પાડે છે. પત્રકાર કોઇ પણ અખબાર સાથે સંકળાયેલો હોય છતાં તેના વિકટ સમયે તેની પડખે ઊભા રહી તેના સંકટ અને દુઃખમાં ભાગ લઇ તમામ પ્રકારની મદદ કરવામાં ભૂપતભાઇની તોલે કોઇ આવી શકે તેમ નથી. અખબારી આલમની કોઇ પણ વ્યક્તિ કે પત્રકાર હોય તેના આંસુ લુછવામાં તેમણે ક્યારેય પાછું વાળીને જોયું નથી. ડાબા હાથે કરેલું કાર્ય તેમણે જમણા હાથને જણાવવા દીધું નથી તે તેમની આગવી વિશિષ્ટતા હતી. મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ તેમના લોહીમાં હતું. ક્યારેય મૂલ્યો સાથે બાંધછોડ તો ઠીક, પણ સમાધાન પણ ભૂપતભાઇ વડોદરિયાએ કર્યું નથી અને આ સિદ્ધાંતને ગમે તેવા વિકટ સમયમાં છોડ્યો નથી, ત્યજ્યો નથી. ભૂપતભાઇ પાસેથી પત્રકારત્વનો એકડો ઘૂંટીને સેંકડો પત્રકારો તૈયાર થયા છે, જેમાંના કેટલાક રાષ્ટ્રીય કક્ષાના અખબારના તંત્રીપદ સુધી પહોંચ્યા છે. આ ભૂપતભાઇની એક જ્વલંત સિદ્ધિ છે. ભૂપતભાઇનો જો ટૂંકમાં પરિચય આપવો હોય તો એમ કહી શકાય કે અભિપ્રાયનો નહીં, અનુભૂતિનો એ જીવ હતો. પત્રકારો સમેત સહુના તેઓ સદાય હામી રહ્યા હતા. સંવેદના તેમની ગળથૂથીમાં હતી. નીડર અને નિષ્પક્ષ તંત્રી અને સુપ્રસિદ્ધ લેખકસાહિત્યકાર તરીકે ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ જગતમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં ભૂપતભાઇ વડોદરિયાનું નામ ગૂંજે છે, સદાય ગૂંજતું રહેશે.

-ગિરીશ ત્રિવેદી

(In unicode fonts from Sambhaav)

શબ્દોના સાધકની ચિરવિદાય

શબ્દોના સાધકની ચિરવિદાય
(in Unicode from Sambhaav)

ગુજરાતી પત્રકારત્વમાં હંમેશાં દીવાદાંડી બની રહેલા અને સમભાવ મીડિયાના ધરોહર સમા શ્રી ભૂપતભાઇ વડોદરિયાનો તા.૦૪/૧૦/૨૦૧૧ મંગળવારની રાત્રે ૯.૪૫ કલાકે ૮૨ વર્ષની વયે દેહાંત થયો છે. ગુજરાતી પત્રકારત્વમાં સૌથી નાની વયે ફુલછાબમાં તંત્રી બન્યાનું ગૌરવ હાંસલ કરનાર ભૂપતભાઇ પત્રકાર ઉપરાંત ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. તેમની ‘પ્રેમ એક પૂજા’ નવલકથાને ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. સંસ્કાર એવોર્ડ સહિત અનેક પારિતોષિકથી ભૂપતભાઇની સાહિત્યિક સેવાઓની કદર થતી રહી હતી. તેમણે ગુજરાત રાજ્ય માહિતી નિયામકપદે પણ યશસ્વી કામગીરી કરી હતી. ‘પ્રભાત’, સંદેશ અને ગુજરાત સમાચારમાં પણ તેમણે પત્રકાર તરીકે કારકિર્દીનું ખેડાણ કર્યું હતું. સાહિત્ય ક્ષેત્રે તેમના પચાસથી વધુ પુસ્તકો પ્રસિદ્ધ થઇ ચૂક્યાં છે. તેઓ સમભાવમેટ્રો, જનસત્તા, લોકસત્તા અને સાપ્તાહિક અભિયાનના તંત્રી હતા. ભૂપતભાઇના ચાર સંતાનો રાજેનભાઇ, શૈલેષભાઇ, મનોજભાઇ, કિરણભાઇ સહિત સમભાવ મીડિયા પરિવાર સમસ્ત પત્રકારજગત અને સાહિત્યજગતને ભૂપતભાઇની ચિરવિદાયથી કદી ના પૂરી શકાય તેવી ખોટ હંમેશાં રહેશે.

પત્રકારત્વસાહિત્યજગતની તેજસ્વી કલમ પોઢી ગઈઃ નરેન્દ્ર મોદી

ગુજરાતી પત્રકારત્વની દીવાદાંડી અને ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ઠ સાહિત્યકાર તથા સમભાવ મીડિયા હાઉસની ધરોહર સમાન સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાના પાર્થિવદેહને આજે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પિત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાનાં પરિવારજનોને દુઃખની આ ઘડીમાં દિલસોજી અને સાંત્વના પાઠવી હતી. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નવ વાગ્યે સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા અને તેમના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વર્ગસ્થની પત્રકારત્વની સેવાઓને બિરદાવીને કહ્યું હતું કે, ‘‘ગુજરાતના પત્રકારત્વ અને સાહિત્યજગતની દેદીપ્યમાન અને તેજસ્વી કલમ આજે પોઢી ગઇ છે. સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાએ ખૂબ નાની વયે પત્રકારત્વ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. વિશ્વ સાહિત્ય અને અખબારો અંગે તેમણે જવાબદારી સ્વીકારી હતી. ગુજરાતને તેમણે અખબારો પણ આપ્યાં, ખબર પણ આપી અને ખબર પણ લીધી છે. ચિંતન અને મનન દ્વારા આવનારી પેઢીને અનેક રત્નો આપ્યાં છે. સરસ્વતીના ઉપાસકને હું આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું.


મૃત્યુ પછીની ગતિ ની ચીંતા! -ભુપતભાઇ વડોદરિયા

મૃત્યુ પછીની ગતિ ની ચીંતા!
-ભુપતભાઇ વડોદરિયા

એક સંબંધીએ કહયુ ‘મે જે કાઇ ઝંખ્યુ અને માગ્યુ તે બધુ મળયુ છે. છ્તા કેટ્લીવાર એવુ લાગે છે કે મારા સાનુકુર્ સંજોગો ને હિસાબે જે ખુશાલીની લાગણી મનમા ટ્કી રહેવી જોઇએ તે ટ્કી રહેતી નથી. મને સતત બિનસલામતી ની લાગણી સતાવ્યા કરે છે. ખરેખર તો સંપુર્ણ સુરક્ષિતતાની લાગણી થવી જોઇએ. તેને બદલે બિનસલામની લાગે છે. આનુ કારણ સમજાતુ નથી. આનો ઇલાજ શુ તેની કશી ખબર નથી. મારા આ સંબંધી પૈસેટકે અતિ સુખી છે. મિલકત સારી છે. ધંધામાં સ્થિર છે. સમાજમા પ્રતિત્ત પણ છે. એમને બિનસલામતીની લાગણી રહ્યા કરે છે ને તેથી બેચેની પેદા થાય છે.

એક તદન ગરીબ માનસે પોતાની પાસે આવેલી ઠીક ઠીક રકમ બતાવીને કહ્ય “જ્યા જ્યા ગયો ત્યાં ત્યાં કોઇએ બે તો કોઇએ પાંચ રુપિયાની મદદ કરી. હુ ગરીબ છુ પણ મારે રુપિયાની ખાસ જરુર નથી. મને સતત ભય લાગ્યા કરે છે કે કોઇક રક્ષણ આપે તો સારુ! આ માણસને આ બધા પ્રષ્નો પુછવા છતા તે ખરેખર પોતાની ઉપર કોઇ વાસ્તવિક જોખમ હોવાનુ બતાવી શકયો નહી. આમ કોઇ જોખમ નથી ને લુટાઇ જવાનો ભય નથી, કે જેના પડ્છાયાની ચીંતા કરવી પડે. કોઇ નક્કર ભયની વાત નથી, પણ મનની અંદર બિનસલામતીની એક લાગણી સતત સરવર્યા કરે છે અને તેને ચેન પડતુ નથી.

તાજેતરમા મશહુર લેખક ફ્રાંસ કાફકાનો પત્ર વહેવાર વાંચયો. પોતાની પ્રિયતમાને અમુક સમય માટેની વિવાહિતા ફેલિસ પર્ન પત્રો તેમા છે. કાફ્કાએ આ પ્રેમ પત્રોમા પોતાની જાતને સંપુર્ણ ખલ્લી કરી છે. એમા કાફ્કાની બિનસલામાતી ની લાગણી વારમવાર કહે છે કે, હું દુબળામા દુબળો માણસ છુ. ફેલીસને એ ચાહે છે ખરો પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ શકતો નથી. કાફ્કા કહે છે કે મારા પોતના એક્લાના જીવતર પુરતી તબિયત ચાલે તેવી છે, પણ લગ્ન કરી શકુ એવી તબિયત નથી. હકીકતે કાફ્કાનો પત્રવહેવાર પોકરી પોકારીને એક વાત કહે છે કે, તેને બિનસલામતીની ઉંડી લાગણી પરેશાન કર્યા કરે છે. તેને સતત ડર રહ્યા કરે છે કોઇ જોખમની સ્થિતિ ઉભી થાય નહિ. તે માટે મોટેભાગે તે એકાંત પસંદ કરે છે અને શક્ય હોય તેટ્લે અંશે પોતાના નાનકડા કમરામાંજ રહે છે. છ્તા બંધિયાર જગાનુ પણ એક જોખમ હોય છે. એટ્લે ગમે તે મોસમમા એ બારી ખુલ્લી રાખીને સુવે છે. ખાસ ઉંઘતા પણ નથી, કેમકે, ઉઘવુ એટ્લે અસહાય અને બિનસલામત બની જવુ! ઉંઘવું એટ્લે પોતાનુ માથુ અજાણ્યા ખોળામાં મુકી દેવુ.

માણસ ભર ઉંઘ મા હોય ને કઇક આફત બહારથી કે અન્દરથી ઉતરી પડે તો? તમે ઉંઘતા હો અને કોઇ તમારી ઉપર હુમલો કરી શકે. તમે ઉંઘમા ભાન વિનાના હો અને કોઇ ઝેરી જીવજતુ કરડી શકે! બહારની જોખમ ની વાત તો ઠીક છે, માણસના શરીરની અન્દ્ર ક્યા ઓછા શત્રુ છુપાયા છે! ખુબ લાડ લડાવેલા આ હ્ર્દયનો પણ શો ભરોસો. એ પણ ક્યારેક પાંસરીની પાછળ કઇક શ્વાસની ગડબડ ઉભી કરી ના શકે? ઉઘની અવસ્થામા પણ અન્દરના કોઇ કોઇ જોખમોનો ડર હોઇ શકે છે. ફ્રાંસ કાફ્ડા તો મહાન સર્જક હતો. એટલે તેની સાચીકે માની લીધેલી શારીરિક-માનસિક પીડા, તેની મુઝવણો, તેની ચિંતાઓને તેના જાતજાતના ડરની લાગણીઓમાથી વાર્તાઓ વણાય છે. અને આ બધી બળતરામાથી સરજનનો એક વિચિત્ર સંતોશ જન્મે છે. કોઇક સરસ વાર્તા લખ્યા પછી તે થાકેલી સ્થિતિમા પણ અસાધારણ ખુશાલીની લાગણી અનુભવે છે. પણ પેલી બિનસલામતીની લાગણીનો સમગ્ર રીતે વિચાર કરીયે ત્યારે આપણા આશ્ચર્ય વચ્ચે આપણને ખબર પડે છે કે, કેટલા બધા ચેહરાની પાછર ડરની આ લાગણી સંતાઇને બેઠી હોય છે. પોતાને બિનસલામતીની લાગણી સતાવ્યા કરે છે તે કબુલ કરવાની હિમત પણ ચાલતી નથી. કોઇ પોતની બિનસલામાતીની લાગણીના ઇલાજ તરીકે એકાંત શોધે છે. તો કોઇ વળી ભીડ્મા ભય ઓછા ગણીને ગાઢ સોબતમા સંતાય છે. કદાચ ભીડ અને ભાષામા ભળી જવાનુ ઘણા બધા માણસોને ગમે છે અને તેનુ એક કારણ આ પણ હોઇ શકે છે.

બિનસલામતીની લાગણીનો વિચાર એક અગર બીજા માણસને સતાવતો રહે છે. કોઇને વળી આથિક બિનસલામાતીની લાગણી પીડા આપે છે. નોકરી પુરી થશે અને નિવ્રુત થવુ પડશે, પછી હુ શુ કરીશ? આજનુ આ જીવણધોરણ કઇ રીતે જાળવી રાખીશ? કોઇને નિવ્રુતિ દુર હોય છે તો બઢતીની ચિંતા થાય છે. આ પણ આથિર્ક બિનસલામતીની લાગણી છે. કોઇને ધન્ધો ભાંગી પડવાની, ધંધો બંધ થઇ જવાની, ખોટ જવાની ચિંતા રહ્યા કરે છે. કોઇને રોકાણ કરવાની પોતાની અશક્તિ સતાવે છે. આમા પણ આર્થિક બિંનસલામાતીની લાગણી બોલે છે. અમેરિકાના એક મહામાલદાર ઉધ્યોગપતિ રોક્ફોલરે કબુલ કરેલુ છે કે , નવા નવા ધન્ધાનુ વિસ્તરણ કરવાની તેની સાહસિકતાનુ મુળ આર્થિક બિનસલમતી ની લાગણીમા પડેલુ હતુ. ન કરે નારાયણને ચાલુ ધંધો ભાંગી પડે તો? ગાય દુધ આપે છે પણ કાલે વસુકી નહી જાય તેની શી ખાતરી? ચાલો એક નવી ગાય પણ વસાવી લઇએ. ધીકતા ધંધામાં હોવા છતા નવા ધંધાનો જન્મ થાય છે.

આર્થિક બિનસલામાતીની લાગણી જેવીજ સામાજીક બિનસલામાતીની લાગણી કેટ્લાકને પીડે છે. આબરુ જશે તો? પ્રતીત નહી સચવાય તો? કૈક બદનામી કે ફજેતી આવી પડશે તો? આવી લાગણીથી પીડાતા ગ્રુહસ્થો સતત સંતાનો પર ચાંપતી નજર રાખે છે. ક્યાંક દીકરી પ્રેમ લગ્નની ફજેતી કરીને આબરુ ઢોળી નાખે. ક્યાંક દીકરો પરનાતમા કોઇ ઉતરતી ન્યાતિકે કોમની કન્યાના ગળામા પુષ્પમાળા આરોપીને પ્રતિત્ત્ને ધુરધાણી કરી નાખે!

કેટલાક વળી લાગણી વિષયક બિનસલામાતી સતાવે છે. પોતાની પત્ની કે પોતાનો પતિ પોતાને ચાહવાનુ બંધ કરી દેશે તો? મિત્રોમા ફેરવી લેશો તો? સંબંધીની ઇર્ષયા કઇક કારસ્તાન ઉભુ કરશો તો? માણસને સતત સ્નેહ્ની ભુખ છે, તે ઇચ્છે છે કે થોડીક નિકટની વ્યક્તિઓના ભાવમા કઇ ફરક ના પડે. તેને પોતાની હદયની ચાહવાની શક્તિમા શંકા છે. એટલે બિજાઓના હદયની આવી શક્તિમા પણ શંકા પડે છે. આ બધાની શંકાથી તેઓ પ્રેમ અને વફાદારીના પોતાના દાવા બુલન્દ રીતે રજુ કરવાની સાથે ચોપાસ શંકાભરી નજરે જાંચ તપાસ ચલાવે છે. કોઇ વળી પોતાની તબિયતની બાબતમા બિનસલામાતીની લાગની પિડ્યા કરે છે. કેંનસરની વાત વાંચે ત્યારે તેના લક્ષણોની ખાનગી તપાસ પોતાના શરીરમા કરે છે. હદયરોગની જાણકારી મેળવે ત્યાં પોતાના હૈયાની કોઇક દગાખોરીની તપાસ આદરે છે. તબિયત પરના જાતજાતના આવા આવા જોખમોની એક અસ્પષટ ભયભીતતા તેમને સતાવે છે. આ બધાજ શંકાઓનુ ગ્રાંડ ટોટલ પોતના આયુષ્યની લામ્બી ટુકી રેખાની ચિંતારુપે હાજર થાય છે. શરીર અંગે કોઇ ખાસ ફરિયાદ ના હોય ત્યારે અકસ્માતનો ભય રહે છે. ટ્રેનોનો અકસમાત, વિમાન અકસમાત, જાહેર રસ્તા પરના અકસ્માત એક વ્યક્તિગત શક્યતા બનીને તેમની પોતાની યાત્રાનુ શંકાસ્પદ ભાથુ બની જાય છે. પોતાનો સામાનના દાગીના વારેવારે ગણ્યા કરે છે. પણ પેલો મુખ્ય દાગીનો તો શંકાના ભય્નો હોય છે.

પોતનુ મ્રુત્યુ કેવી રીતે, કયા અને કયા સંજોગોમા થશે તેની ચિંતા કેટ્લાક્ને બિનસલામાતીની લાગણી આપે છે. તો વરી આમાથી કેટ્લાકને પોતાના મ્રુત્યુ પછી પોતાની શી દશા થશે - માત્ર શરીરનીજ નહિ, પણ પોતાના આત્માની એની ચિંતા થાય છે. સમરસેટ મોમ કહે છે કે, માણસના ઘણા બધા ડર અને બિનસલામાતીની લાગણીઓની કલ્પના હુ કરી શકુ છુ, પણ મ્રુત્યુ પછીની ગતિની ચિંતા કરનારાઓના ડરની લાગણી હુ સમજી શકતો નથી. તમે જ્યારે નહિ હો ત્યારે કઇજ નહિ હોય. મ્રુત્યુ પછીની આવી ચિંતાને વર્તમાન ડરના રુપમા ચીતરવાનો શો અર્થ?

___________________________

ભુપતભાઇ વડોદરિયા આજે આ દુનિયામાં નથી અને આજે સવારે તેમણે હંમેશ માટે વિદાય લીધી છે. કાલે રાતના એવું લાગતુ હતુ કે તે હમણા ઉંઘમાંથી ઉઠીને બોલશે પણ તેમ મનને ના મનાવાય - ભગવાન તેમના આત્માને શાંતી આપે તેજ પ્રભુને પ્રાર્થના. તેમનું હાસ્ય અને પ્રેરણા સદા આપણી સાથે રહેશે અને તેમની યાદ દિલમાં સાથે રહેશે. ભાઇએ મને ગુજરાતી લખવા માટે પ્રોત્સાહન આપ્યું હતુ અને તેના લીધે આ બ્લોગ મેં શરૂ કર્યો હતો તે વાંચકો અને તેમના ચાહકો સુધી હું તેમનુ લખાણ પહોંચાડવાનો પ્રાયાસ સતત સમય મળે ત્યારે કરીશ. - So, stay tuned.
- ilaxi