Monday, June 25, 2012

તમારા કિસ્મતની લગામ તમારા હાથમાં લઈ લો


તમારા કિસ્મતની લગામ તમારા હાથમાં લઈ લો
-ભૂપતભાઇ વડોદરિયા


ચીલીના કવિ પેબ્લો નેરુદાનું એક કાવ્ય છેઃ ‘હું કદાચ તેને ચાહતો હતો, કદાચ હું તેને ચાહતો નહીં હોઉ, પ્રેમ બહુ ટૂંકો હતો પણ તેને ભૂલી જવાની વાત બહું લાંબી ચાલી!’

જુવાન માણસ પોતાની જિંદગીની એક કલ્પનામૂર્તિ ઘડે છે. જિંદગીની આ સ્વપ્નમૂર્તિને તે ચાહે છે. જિંદગીની એ આદર્શ મૂર્તિ અને વાસ્તવિક જિંદગી વચ્ચે અંતર વધતું જ જાય છે. પેલી મૂર્તિથી એ દૂર ને દૂર ચાલ્યો જાય છેે. એક વાર એ કલ્પનામૂર્તિને ખૂબ ચાહી હોય છે, પછી તેને ભૂલવા એ કોશિશ કરે છે. પેલી મૂર્તિ વારે વારે તેને યાદ આવ્યા કરે છે અને ભૂલવાની કોશિશ સ્વયં જ વધુ તીવ્ર યાદ બની જાય છે. અડધી જિંદગી વીતી ગયા પછી પણ એ મૂર્તિ વારે વારે મનની ક્ષિતિજ પર વીજળીની જેમ ઝબક્યા કરે છે.

માણસની જિંદગીના આદર્શ રૂપ એક હજાર હોઇ શકે છે. જિંદગીના આરંભે માણસ પોતાની જિંદગીની એક સો કલ્પના કુંડળી કાઢી શકે છે. સેલ્વેડોર ડાલી નામના ચિત્રકારે તેની આત્કથામાં લખ્યું છે  નાનો હતો ત્યારથી નેપોલિયન બનવાનું સ્વપ્ન હતું. ડાલી ચિત્રકાર બન્યો, નેપોલિયન તો ના બન્યો પણ અંગત સંબંધોમાં, દુનિયા સાથેના સંબંધોમાં તેનો વહેવાર લગભગ નાનકડા નેપોલિયન જેવો લાગે છે. જે કોઇ તેના પરિચયમાં આવે તેને એ પીડા જ આપે છે. બીજાને પીડા આપવામાં તેને કંઇક વિચિત્ર આનંદ આવે છે.

ઘણા બધા જાણ્યેઅજાણ્યે બીજાઓને. પોતાનાં આપ્તજનો સહિતના તમામ સંબંધીઓને નાની કે મોટી પીડા આપ્યા કરે છે. પોતાની ઇચ્છા મુજબનો એક હસીન ખ્યાલ પોતાની જિંદગી વિશે ઊભો કરવો તેમાં કાંઇ ખોટું નથી, પણ આ ખ્યાલ જિંદગીના છોડને બાંધી દેનારું એક લોખંડી પાંજરું બની જાય ત્યારે પોતાની જાત સાથે જ એક અથડામણ કરે છે. કેટલાક નક્કી કરેલા નકશામાં જિંદગીને આલેખી શકે છે, પણ આવું તો બહું થોડા માણસોની બાબતમાં જ બની શકે. મોટા ભાગના માણસો પોતાની જિંદગી સાથે એવી રીતે કામ પાડવાનું આવે છે કે જાણે રાત કાપવા માટે કોઇ ધર્મશાળામાં અજાણ્યા વટેમાર્ગુ સાથે ગંજીફાની બાજી રમવા બેઠા!

માણસ માટે ખાસ વિકલ્પો હોતા નથી અને તેણે પોતાના વિશે કરેલી પૂર્વકલ્પના મુજબની રમત તો તેગોઠવી જ શકતો નથી. સામાન્ય રીતે માણસ એવો અનુભવ કરે છે કે તેના કિસ્મતે, તેના સંજોગોએ, તેની લાચારીએ તેને બરાબર ડોકમાંથી પકડી લીધો છે અને જ્યાં દોરી જાય ત્યાં દોરાઇ જવું પડે છે, પણ ઇતિહાસમાં કેટલા બધા માણસોએ કિસ્મતની લગામ પોતાની ડોક કે મોંમાંથી કાઢી નાખીને પોતાના કિસ્મત ઉપર જ જાણે ચઢાવી દીધી છે. સર વોલ્ટર સ્કોટની ઐતિહાસિક નવલકથાઓમાં પાણીદાર અશ્વ કુદાવનારા નાયકોનાં રંગ નીતરતાં સાહસો વાંચનારને ખબર નથી હોતી કે વોલ્ટર સ્કોટ નાની ઉંમરે પગ વગરના થઇ ગયા હતા. સમરસેટ મોમની સરળ અને શબ્દકોશને પૂછવા જવું ના પડે તેવી રીતે વાંચી શકાતી પ્રવાહી શૈલીમાં ભીંજાઇ જનારા માણસને ખબર જ ના પડે કે મોમની પોતાની જીભ તોતડાતી હતી અને બહુ જ લાંબી કષ્ટદાયક કસરત કરીને તેણે પોતાની જીભને ઠીક ઠીક સીધી કરી હતી. માણસ જ્યારે પોતાના જીવનના આદર્શ ચરિત્રની કલ્પના કરવા બેસે છે ત્યારે ખરેખર તો તે આદર્શ સંજોગોની કલ્પના કરતો હોય છે. આદર્શ સંજોગો કદી સંભવી શકતા નથી એટલે આવા સંજોગોનો વિયોગ અનુભવીને એ રડે છે, પણ કેટલાય માણસો પ્રતિકૂળ સંજોગોની ભુલભુલામણીમાં કેમ આગળ જવું અગર આગળ ન જવાય ત્યારે પણ કઇ રીતે નાસીપાસ ના થવું અને ટકી રહેવું તેનો જ ખ્યાલ કરીને પોતાની જાતને ઘડે છે. આવો માણસ જિંદગીના ફળના જે કંઇ રસકસ છે તે ઠીક અંશે પામે છે. પાકી લીંબોળીની પણ એક મીઠાશ છે પણ પાકી લીંબોળી મોંમાં હોય ત્યારે દ્રાક્ષના વિચાર કરીને અને દ્રાક્ષ મોંમાં આવે ત્યારે પાકી લીંબોળીનો વિચાર કરીને કેટલાક મઝા મારી નાખે છે. જિંદગી જેમ જેમ ઉકેલાતી આવે તેમ તેમ તેનું ભરતગૂંથણ કરવું તેમાં મજા છે, પણ જિંદગીના આ તાણાવાણા સુતરાઉ કાપડના નહીં, રેશમના હોત તો સારું હતું, તેના વસવસામાં સુતરાઉની શોભા ખોઇ બેસવાનો કંઇ અર્થ નથી.

Saturday, April 14, 2012

સ્નેહની માયા


વિચારમંથન


સ્નેહની માયા
ભૂપતભાઇ વડોદરિયા


આ સંસાર આર્થિક લેવડદેવડનો જ કારોબાર નથી પણ માણસ માણસ વચ્ચેના સ્નેહ સંબંધનો કારોબાર છે, એટલે તો માણસને જીવન આટલું મીઠું લાગે છે. માત્ર વેપારી ગણતરીઓ ઉપર જ આ બધો કારોબાર ચાલતો હોત તો માણસ માણસ વચ્ચેના સંબંધની કોઇ મીઠાશ કે કોઇ ભીનાશ હોત નહિ મા ણસ માણસ વચ્ચે સ્નેહની માયા ન હોત તો જીવન કેવું હોત? માણસ માણસની માયા તો બરોબર છે, પણ પશુપંખીની વચ્ચે પણ એક માયા છે. જેમણે નિરીક્ષણ કર્યું છે એ જાણે છે કે જો સ્નેહ અને માયાના સંબંધ ન હોત તો જીવનમાં કોઇ રસકસ હોત જ નહિ. માયા ન હોત તો માણસોને પોતાનાં સંતાનો અંગે કોઇ પ્રકારનો લગાવ હોત નહિ. આપણે જોઇએ છીએ કે સ્નેહના સંબંધોની સાંકળ દૂર દૂર પહોંચે છે. આપણે કહીએ છીએ કે મારી માતા કે મારા પિતા અમુક વ્યક્તિ પ્રત્યે સ્નેહથી એવા બંધાયેલા હતા કે માબાપ મોજૂદ ન હોય તો પણ સંબંધોની દોરી તો ચાલ્યા જ કરે છે. કોઇ આપણને પૂછે કે આ બાળક સાથે તમારે શો સંબંધ? આપણે કહીએ છીએ કે મારી માસીને કે મારા કાકાને એને માટે ખૂબ સ્નેહભાવ હતો. આપણે જોઇએ તો ખબર પડે કે સ્નેહસંબંધનાં મૂળ બહુ ઊંડાં હોય છે. સંબંધની આ કડી આટલી અખંડ ના હોત તો માણસમાણસ વચ્ચેના સંબંધમાં આપણું અદમ્ય ખેંચાણ ના જ હોત.

એક ગૃહસ્થને કોઇએ પ્રશ્ન કર્યો કે આ યુવાન જે રીતે જીવી રહ્યો છે તો એને માટે તમને આવું આકર્ષણ કઇ રીતે હોઇ શકે? આપણે જવાબ દઇએ છીએ કે મારે તે મિત્ર સાથે સગા ભાઇ જેવો સંબંધ હતો. તેની પ્રત્યે મારી એક વણલિખિત જવાબદારી હું સ્વીકારું છું. કૌટુંબિક સંબંધ ના હોય કે બીજા કોઇ પ્રકારની સગાઇ પણ ના હોય તો પણ માણસ સ્વેચ્છાએ કેટલીક જવાબદારીઓ ઉઠાવી લે છે. એક ગૃહસ્થને કોઇએ એવો પ્રશ્ન કર્યો કે તમારો સગો દીકરો ધંધામાં કોઇ નુકસાન વહોરે તો તમે તેની જવાબદારી પાર પાડવા નૈતિક રીતે બંધાયેલા છો? પણ તમે જે યુવાન માટે આવી જવાબદારી સ્વીકારી રહ્યા છો એ તમારી કોઇ નૈતિક ફરજ નથી. એના પિતાએ તમારે માટે એવું કર્યું નથી કે એનો પુત્ર જે કંઇ ખોટ કરે તેની જવાબદારી તમારે ઉઠાવવાની હોય. એક સાચો કિસ્સો છે કે એક મિત્રના અવસાન પછી બીજા મિત્રે એની બધી જ આર્થિક જવાબદારીઓ વીકારી. મિત્રની જે મિલકત હતી તેની સાથે એને તો કશી લેવાદેવા નથી. કોઇ સમાન ભાગીદારી કે વાબદારી નહોતી જ. છતાં કેટલીક વાર માણસો આવા સ્નેહસંબંધોમાં આવી જવાબદારીઓ ઉઠાવે છે. બહુ જ નિકટના મિત્રની આર્થિક જવાબદારી માત્ર સ્નેહસંબંધને કારણે એને ઉઠાવવાની નથી જ. મિત્રની મિલકત એના વંશજો લઇ જાય અને આર્થિક જવાબદારી મિત્ર ઉઠાવે, માત્ર સ્નેહમાંથી ઊભી થયેલી લાગણીના કારણે જ. વ્યાવહારિક રીતે કે કાનૂની રીતે આવી કોઇ જવાબદારી એના માથે નથી. મરનાર માણસની સંપત્તિ એના વંશજોના અધિકારમાં ગઇ. મિત્રનો અધિકાર તો માત્ર તેની આર્થિક લેણદેણની જ જવાબદારી પોતાના માથે લેવા પૂરતો રહ્યો.

આમ જુઓ તો સ્નેહના નામે આ ખોટનો ધંધો જ કહેવાય છતાં માણસ માત્ર જૂના સંબંધની સગાઇને કારણે ખોટનો આ ધંધો કરે છે. આ સંસાર આર્થિક લેવડદેવડનો જ કારોબાર નથી પણ માણસ ાણસ વચ્ચેના સ્નેહ સંબંધનો કારોબાર છે,એટલે તો માણસને જીવન આટલું મીઠું લાગે છે. માત્ર ેપારી ગણતરીઓ ઉપર જ આ બધો કારોબાર ચાલતો હોત તો માણસ માણસ વચ્ચેના સંબંધની કોઇ મીઠાશ કે કોઇ ભીનાશ હોત નહિ.

Monday, March 26, 2012

સુખનાં સાધનો જ દુઃખનાં કારણો છે!


સુખનાં સાધનો જ દુઃખનાં કારણો છે!
ભૂપતભાઇ વડોદરિયા

અમેરિકાના સુપ્રતિષ્ઠિત વર્તમાનપત્ર ‘ધી ન્યૂયોર્ક ટાઇમ્સ’ના કટારલેખક અને પત્રકાર રસેલ બેકરે પોતાની આત્મકથા લખી છે. કથા તો એક ગરીબ કિશોર સંઘર્ષ કરતાં કરતાં કઇ રીતે અખબારી કારકિર્દીનાં ઊંચાં પગથિયાં ચઢે છે તેની છેપણ માત્ર તે કારકિર્દીની કથા નથી, જિંદગીની કથા છે. એકદમ વાસ્તવિક છે અને છતાં અત્યંત રમૂજી. રસેલ બેકરે પોતાની આત્મકથા કંઇક આવી રીતે શરૂ કરી છેઃ મારી માતાને ગુજરી ગયાંને તો વર્ષો વીતી ગયાં છતાં તે હજુ મારા મનમાં વિહરતી રહે છે. સ્વપ્નો અને પરોઢના સંધિકાળે તે મને ઢંઢોળે છે! ‘એ આળસુના પીર! ઊઠ, કામે લાગ! મને મેદાન છોડીને ભાગે એવો દીકરો ના ગમે! તું એવું ના કરીશ!’ મેં અહીં ભાવાર્થ આપ્યો છે, શબ્દશઃ ભાષાંતર કર્યું નથી. અમેરિકાની મોટી આર્થિક મંદીનો એ સમયગાળો હતો ત્યારે દરેક અમેરિકનનો આદર્શ જાણે સફળતા, મહત્ત્વાકાંક્ષા, ભૌતિક સમૃદ્ધિ, સામાજિક દરજ્જાની સીડી ઉપર ઊંેચાંમાં ઊંચાં પગથિયાં પર પહોંચી જવું એ હતો. રસેલ બેકરની ગરીબમહેનતુ અને મહત્ત્વાકાંક્ષી માતા પણ પુત્રને એ જ રાહ ચીંધે છે અને તેને આગળ ધકેલવા મથે છે પણ રસેલ બેકરે અહીં વ્યવસાયી જીવનની સફળતાની કથા આલેખી નથીવ્યક્તિ અને કુટુંબના જીવનની સાચી કથા કહી છે.
વારંવાર માતા ડોકાયા જ કરે છે. વારંવાર પુત્રની સામે માતાના શબ્દો અને સંકેતો પથદર્શક ચિહ્નો બનીને ખડા રહે છે. ખરેખર જિંદગીમાં આવું જ બને છે. આમાં કોઇ ભૂતપ્રેમની વાત નથી કે પરલોક સીધાવેલી વ્યક્તિ સાથે સંપર્ક સાધવાની વાત જ નથી. વાતો મૃતક વ્યક્તિ પોતાના પ્રિયજનોના મનમાં, જીવનમાં સૂક્ષ્મ હાજરીરૂપે કઇ રીતે ઊભરાતી રહે છે અને એને કઇ રીતે પ્રેરણાદોરવણી આપે છે તેની છે.

આ અનુભવ કંઇ માત્ર રસેલ બેકરનો નથી. ઘણા બધા માણસોને આવો અનુભવ થતો રહે છે. થોડાં વર્ષો પહેલાં એક સુશિક્ષિત બહેને મને કહ્યુંઃ ‘જીવનમાં કોઇ વાર ગૂંચ આવે છે ત્યારે ગમે તેટલા વિચાર કરું તો પણ તેનો કંઇ ઉકેલ સૂઝતો નથી. પછી એવું બને છે કે મને સ્વપ્ન આવે છેસ્વપ્નમાં મારા મૃત પિતાને હું જોઉં છું અને મને કંઇક સંદેશો આપે છે. આ સંદેશામાં મારી ગૂંચનો ઉકેલ હોય છે. હકીકત એ છે કે આવી રીતે મારી ઘણી ગૂંચો ઉકેલાઈ છે. વર્ષો પહેલાં પોતાની સફળ ધંધાદારી કારકિર્દી પોતે છોડી દઇને જીવનનો નવો રાહ કઇ રીતે નક્કી કર્યો તેનો ખુલાસો કરતાં એક મિત્રે કહ્યુંઃ ‘નાની ઉંમરે મને અણધારી સફળતા મળી. તદ્દન નિર્ધન સ્થિતિમાંથી બહાર નીકળીને હું પૈસાથી ઘેરાઇ ગયો, પણ હૃદયમાં ઊંડે ઊંડે અજંપો હતો. શું આ જ જીવન? પૈસા ખરેખર શું છે? માગો તે સુખ હાજર કરી આપવાની શક્તિ તેમાં છે એ વાત શું ખરેખર સાચી છે? માણસને પૈસા તમામ સુખોના મહામંત્ર જેવા લાગે છેપણ ખરેખર જીવનમાં કોઇક કીમતી ચીજ ખોવાઈ ગયેલી લાગે છે અને તે મેળવવા માટે જ્યારે માણસ પૈસાની ચાવી અજમાવવા જાય છે ત્યાં તેને ખબર પડે છે કે આ ચાવી અહીં નકામી છે. પૈસા મળે ત્યારે લાગે છે કે બસ, આ પૈસા હવે મારી પાંખો બનશે. હું આકાશમાં ઇચ્છું એટલો ઊંચો ઊડી શકીશ, પણ પછી ખબર પડે છે કે આ પૈસા મારી પાંખો નથી આ તો મારો બોજો છે, જે સાથે લઇને હું ઊડી શકું તેમ જ નથી! મારી પાસે પૈસા આવ્યા પણ મારા માટે સુખનો આ રસ્તો નથી એવું મને લાગ્યું. મનમાં ખૂબ મૂંઝાયો ત્યારે એક દિવસ સ્વપ્નમાંવહેલા પરોઢિયાના એક સ્વપ્નમાંમારી માતાને મેં જોઇ. માતાએ મને કહ્યુંઃ બચુ, તને રૂપિયા ગણવામાં ઝાઝો રસ ના હોય તો પછી નકામો રૂપિયા ન ગણ! તને આકાશના તારા ગણવાનો શોખ હોય તો આકાશના તારા ગણ! માતાએ આવું કહ્યું અને મારી આંખ ઊઘડી ગઇ. બસ, પછી મેં રૂપિયા ગણવાનું છોડી દીધું!

ઘણીવાર માણસ આવી રીતે રૂપિયા ગણવાનું છોડી દઇને આકાશના તારા જોવા કે ગણવા માંડે ત્યારે તેને તકલીફ પણ પડે છે, પણ તમે તકલીફને માત્ર ધીંગામસ્તી કરતાં બાળકો જ સમજીને તેની સાથે કામ પાડો ત્યારે તમારા કામમાં તે વિક્ષેપ પાડી શકતી નથી. દુઃખને દવા ગણીને પીનારાને એ એટલું કડવું લાગતું નથી. તેનો સ્વાદ કડવો લાગે તે છતાં તેને ગુણકારી ગણીને તે તેને સહી શકે છે. એથી ઊલટું, કશા ઉદ્દેશ વગર તમે સુખનાં ગમે તેટલાં સાધનો પેદા કરો પણ તમને એ સાધનો સુખ આપી શકતાં નથી. મોટા ભાગે સુખનાં એ સાધનો જ દુઃખનાં કારણો બની જતાં હોય છે.

ભાઇના પુસ્તકમાંથી (સમભાવ મેટ્રોમાંથી)

નિભ્રરન્તિની આખરી ક્ષણ, જે જીવનના ઉદ્વેગમાંથી મુક્ત કરે


નિભ્રરન્તિની આખરી ક્ષણ, જે જીવનના ઉદ્વેગમાંથી મુક્ત કરે
ભૂપતભાઇ વડોદરિયા

મનુષ્યના જીવનમાં નિભ્રરન્તિની એક ક્ષણ આવે છે. મારાં મનોચક્ષુ સમક્ષ બે છબી ખડી થાય છે. એક છબી એક જૈન સજ્જનની છે અને બીજી છે એક મહાન સ્વપ્નદ્રષ્ટાની.

જૈન સદગૃસ્થને જીવનમાં સુખ જ હતું, પૈસા ટકાની ક્યારેય ચિંતા ન હતી. એ માનતા કે હવે બેઉ દીકરા કમાતાધમાતા થયા છે તો મારે લીલાલહેર કરવા સિવાય કશું બાકી રહેતું નથી. પણ પત્ની ગુજરી ગઇ અને બન્ને વહુઓને સસરાનો સ્વભાવ અનુકૂળ ના લાગ્યો. ગૃહસ્થ એક નાની ખોલીમાં રહેવા જતા રહ્યા. એક દિવસ મને મળવા આવ્યા. કહેવા લાગ્યા કે, ‘તબિયત ખૂબ કથળી ગઇ છે. ખોલીમાં એકલો રહું છું. ડાયાબિટીસ છે, પણ ખાવાનો શોખ એવો ને એવો જ છે. વીશીનું ભાણું ભાવતું નથી. એક મિત્રની સાથે સમેત શિખરની જાત્રાએ જઇ રહ્યો છું, તમને મળવા આવ્યો છું, છેલ્લીવાર! ત્યાં જ દેહ પડી જાય એવું ઈશ્ચર પાસે માંગું છું. જિંદગી ખૂબ જોઇ, ખૂબ માણી, ઘણા ઉધામા કર્યા. કોઇને ચાહ્યા, કોઇની સાથે લડ્યા, પણ હવે મન શાંતિ ઝંખે છે. હવે નહીં મળું, છેલ્લી સલામ!’ એમની વાત સાંભળીને થયું કે ભખભખિયો માણસ, પેટમાં પાપ નહીં એટલે આવું બધું કહેતો હશે. બાકી એમ કોઇને માગ્યું મોત થોડું મળે છે? એ ગૃહસ્થ જાત્રાએ ગયા. બે એક મહિના વિત્યા હશે. એમના એક સંબંધી મને મળ્યા. મેં એમને પૂછયું કે પેલા સજ્જન જાત્રાએથી પાછા આવી ગયા? પેલા ભાઇએ નવાઇથી કહ્યું, ‘તમને કશી ખબર નથી? એ તો પાછા આવી ગયા પછી બે દિવસ આરામ કર્યો. ત્રીજા દિવસે નાહીને કપડાં પહેર્યા. એમને અચાનક છાતીમાં દુખાવો ઊપડયો એટલે મેં કહ્યું તમે સૂઇ રહો, હું દાક્તરને બોલાવી લાવું. તે કહે, ‘એમનું પણ કામ નથી. ઇશ્ચર એમને સુખી રાખે. માત્ર એક કામ કરો, મને નવકાર મંત્ર સંભળાવો!’ મેં મંત્ર સંભળાવ્યો અને એમણે આંખો ઢાળી દીધી. એ વખતે એમના ચહેરા પર મેં અવર્ણનીય શાંતિ જોઇ. હું કોઇ સારા જીવનાં દર્શન કરી રહ્યો હોઉં એમ મને લાગ્યું.’ શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાન્ત સ્વામી પ્રભુપાદની કીર્તિ ઇ.સ. ૧૯૬૫ પછી વિશ્ચવ્યાપી બની. ‘ઇસ્કોન’ ના સ્થાપક તરીકે સૌ તેમને ઓળખે છે. અમેરિકા ગયા ત્યારે ભાગ્યે જ કોઇએ માન્યું હશે કે કૃષ્ણભક્તોનો વિશ્ચવ્યાપી સંઘ રચવાનું તેમનું સપનું સાકાર થશે.

સ્વામીનું મૂળ નામ અભયચરણ. ૧૮૯૬ની ૧ સપ્ટેમ્બરે કલકત્તામાં જન્મ્યા હતા. એ વેપાર ધંધો કરતા હતા અને ૬૦ વરસની ઉંમરે એવા ઝંઝાવાતમાં સપડાયા કે શિરે મોટી ખોટ આવી પડી. પુત્રોને વેપાર ધંધા સોંપી દીધા. તેમની એકમાત્ર ઇચ્છા શ્રીમદ્ ભાગવતને અંગ્રેજીમાં ઉતારવાની હતી. લગભગ સિત્તેર વર્ષની ઉંમરે તદ્દન નિર્ધન અને બીમાર એવા માંડ અમેરિકા પહોંચ્યા. તે અગાઉ સ્વામીએ વૈરાગ્યનો અને એકલતાનો જે ભાવ અનુભવ્યો તે એમણે બંગાળીમાં એક કાવ્યરૂપે વ્યક્ત કર્યો છે. તેમાં પ્રારંભની કડીઓ આત્મલક્ષી છે. તેમાં મનુષ્યના હ્ય્દયનું, નિભ્રરન્તિની આખરી ક્ષણનું પ્રતિબિંબ છે, તે જુઓ.

‘વૃંદાવન ધામમાં હું એકાકી બેઠો છું. આ વૈરાગ્યભાવમાં મને ઘણા સાક્ષાત્કાર થાય છે. મારી પાસે મારાં પત્ની, પુત્રો, પુત્રીઓ, પૌત્રો, દોહિત્રો સર્વ છે, પણ પૈસો નથી, તેથી તે સર્વ નિષ્ફળ મહિમા છે. કૃષ્ણે ભૌતિક પ્રકૃતિનું નગ્ન સ્વરૂપ મને બતાવ્યું છે. એમણે મને બક્ષેલી શક્તિથી એ સર્વમાં આજે મને રસ રહ્યો નથી. કૃષ્ણે કહ્યું છે, ‘યસ્માહં અનુગૃહણામિ હરીષ્યે તદ્ધનંશનૈઃ’ (જેના પર હું કૃપા કરું છું તેનું ધન હું ધીમે રહી લઉં છું) પરમ કૃપાળુની આ કૃપા હું કેવી રીતે સમજી શકવાનો હતો? પત્ની, સગાં, મિત્રો, ભાઇઓ વગેરેએ મને નિર્ધન નિહાળી ત્યજી દીધો છે તે દુઃખદ છે, પણ હું એકલો બેસીને એ વાત પર હસું છું. આ માયાસંસારમાં હું ખરેખર કોને ચાહું છું? મારાં વત્સલ માતાપિતા ક્યાં ચાલ્યાં ગયાં? જે મારા સાચા આત્મીયજનો હતા તે વડીલો ક્યાં છે? કહો, તેમના સમાચાર મને કોણ આપશે?’ ‘એ કૌટુંબિક જીવનમાંથી તો માત્ર નામોની યાદી જ શેષ રહી છે.’ બસ, પછી સ્વામી અમેરિકા પહોંચે છે અને જીવનનું સાચું અને અંતિમ કાર્ય કરે છે. એમને વિશ્ચવ્યાપી કીર્તિ મળી, પણ માણસને કીર્તિ મળે કે ન મળે, તેણે આવું કામ શોધવું જ રહ્યું, જે તેને જિંદગીની બાહ્ય જટિલતાઓ અને ઉદ્વેગમાંથી મુક્ત કરી દે. પછી એને દુઃખ ભલે આવે પણ જીવન સરળ અને શાંત લાગે.

Sunday, November 20, 2011

‘મેક્સિમ્સ’ના થોડા નમૂના: La Rochefoucauld

‘મેક્સિમ્સ’ના થોડા નમૂના
ભુપતભાઇ વડોદરિયા

માણસની કોઈ ઉમદા ભાવનાની, તેના આદર્શની, તેની નૈતિક ઊંચાઈની કોઈ વાત કેટલાક માણસોને ગળે જ નથી તરતી. માણસના સ્વભાવ વિશે અધિક અંશે ઘણું બધું ખરાબ હોવાનું માનનારી વ્યક્તિને આપણે નિરાશાવાદીહતાશાવાદી ગણીએ છીએ, આવી વ્યક્તિઓને કેટલીક વાર કશું સીધું કે સારું દેખાતું જ નથી, તેને બધું જ આડુંઅવળું, ઊંધુંચત્તું અને પોલંપોલ જેવું લાગે છે, ત્રાંસી નજરે વ્યક્તિ કે સમુદાયને જોનારા માણસ અત્યંત અળખામણા બને છે. વક્રદર્શનની આવી વિશિષ્ટ દ્રષ્ટિવાળા માણસોમાંથી બહુ જ થોડા એવા નીકળે છે, જેમની વાણી કડવી લાગવા છતાં તેમાં કશુંક ગુણકારી સંભવી શકે છે.

સત્તરમા સૈકાની શરૂઆતમાં આવો એક માણસ જન્મ્યો હતો પૅરિસમાં. સોળસો તેરની સાલમાં પંદરમી સપ્ટેમ્બરે જન્મેલો લા રોસેફુકોલ્ડ (La Rochefoucauld) રાજવંશી ખાનદાનનો હતો. તેને આગળ ઉપર ડ્યૂકનો ખિતાબ પણ મળ્યો હતો. સોળ જ વર્ષની ઉંમરે પરણ્યો હતો. રાજદરબારની ખટપટોમાં ભાગીદાર અને શિકાર બંને બની ચૂક્યો હતો. લશ્કરમાં પણ સામેલ હતો. ૩૯ વર્ષની ઉંમરે લડાઈમાં જખ્મી બન્યો. ૬૭ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. બાવન વર્ષની ઉંમરે એણે જ્યારે ‘મેક્સિમ્સ’ (સૂક્તિઓ) પુસ્તિકા પ્રગટ કરી ત્યારે તેના સમકાલીનોને આંચકો લાગ્યો હતો. અર્વાચીન વાચકોને આજે કદાચ એવો આઘાત નહીં લાગે, વાચકને લાગશે કે આ ચિંતનલેખકે મનુષ્યસ્વભાવને બહુ જ કાળો ચીતર્યો છે, આવા આક્ષેપમાં જરૂર તથ્ય છે, પણ સાથેસાથે આ માણસ જે કંઈક કડવુંકાળું કહે છે તેમાં પણ કાંઈક હકીકત છે, તેનો ઇન્કાર પણ થઈ નહીં શકે. થોડાક જ શબ્દોમાં તે માનવસ્વભાવના કોઈ ને કોઈ ડાણને સ્પર્શી શકે છે, પકડી શકે છે.

‘મેક્સિમ્સ’ના થોડા નમૂના અહીં આપ્યા છે.

- માણસો ભલાઈ અને બુરાઈ બંનેને ભૂલી જતા હોય છે એટલું જ નહીં પણ જેણે પોતાનું ભલું કર્યંુ હોય તેને ધિક્કારતા હોય છે. જેણે પોતાનું ખરાબ કર્યું હોય તેને ધિક્કારવાનું બંધ કરી દે છે.

- બીજાઓનાં દુર્ભાગ્યો વેઠવાનું બળ આપણા સૌમાં હોય છે!

- દુર્ભાગ્ય કરતાં સદ્ભાગ્ય સહન કરવા માટે વધુ સદ્ગુણની જરૂર રહે છે.

- સૂર્ય સામે અને મોત સામે કોઈ સીધી નજરે તાકી શકતું નથી.

- આપણી આશાઓ પ્રમાણે આપણે વચનો આપીએ છીએ અને આપણી શક્તિ અનુસાર તેનું પાલન કરીએ છીએ.

- આપણે જાતે કલ્પના કરીએ છીએ એટલા સુખી કે દુઃખી આપણે ક્યારેય હોતા નથી.

- પરિણામ પરથી પ્રેમનું મૂલ્યાંકન કરવા જઈએ તો એમ જ લાગે કે પ્રેમ દોસ્તી કરતાં દુશ્મનાવટને વધુ મળતો આવે છે.

- દરેક માણસ પોતે સારા હૃદયનો હોવાનું કહે છે, કોઈ પોતાનું મન સારું હોવાનું કહી શકે તેમ નથી.

- દિલ હંમેશાં દિમાગને મૂર્ખ બનાવે છે.

- આપણી પોતાની જ ખુશામત આપણે કરીએ નહીં તો આપણે ભાગ્યે જ રાજી રહી શકીએ!

- બીજાઓની બાબતમાં ડાહ્યા થવાનું સહેલું હોય છે પણ આપણી પોતાની બાબતમાં ડાહ્યા થવાનું મુશ્કેલ હોય છે.

- પ્રશંસા સાંભળવાનો ઇન્કાર કરવો તેનો અર્થ બે વાર વખાણ સાંભળવાની માગણી કરવી છે.

- આવી પડનારાં દુર્ભાગ્યોની કલ્પનામાં આપણી બુદ્ધિ વાપરવા કરતાં ચાલુ દુર્ભાગ્યને પહોંચી વળવામાં આપણી બુદ્ધિ વાપરવાનું બહેતર છે. દંભ એટલે સદ્ગુણને દુર્ગુણે આપેલી સલામી!

- મોટા ભાગના માણસો માટે તેમની કૃતજ્ઞતાની લાગણીમાં વધુ લાભો ખાટવાની છાની ઇચ્છાથી વધુ કંઈ હોતું નથી.

- આપણી નાની ત્રુટિઓ આપણે એકદમ કબૂલ કરીએ છીએ, અને એમ કરીને આપણે બીજાઓને એવું સમજાવવા માગતા હોઈએ છીએ કે આપણામાં કોઈ મહાન ત્રુટિઓ નથી.

- ભાગ્યની મહેરબાની જેમને મળી નથી હોતી તેમને ભાગ્ય ખરેખર આંધળું લાગે છે. ભાગ્યની સાથે કામ પાડવાનો તરીકો એક જ છે, તબિયતની બાબતમાં આપણે આ જ તરીકો અજમાવીએ છીએ ઃ તબિયતની જેમ જ ભાગ્ય સારું હોય ત્યારે તેને માણો, ભાગ્ય ખરાબ હોય ત્યારે ધીરજ રાખો અને અંતિમ ઇલાજનો આશરો કદી ન લો!

- આપણાં ઉત્તમમાં ઉત્તમ કાર્યો પાછળના મૂળ હેતુઓની જગતને જાણ થતી હોત તો આપણે તેને માટે શરમાઈ મરતા હોત!

__________________________________
This has been Bhupatbhai's reading of Literature.

In English:

La Rochefoucauld, Maxims, translated, with an introduction, by Leonard Tancock.(New York and London: Penguin Books, 1984) The editor also includes the brief self-portrait of La Rochefoucauld, and another verbal portrait by Cardinal de Retz. Tancock's is still the best complete translation in English.

Read more on this character here:

Thursday, November 10, 2011

જૂની કડવાશને જતી કરીએ

જૂની કડવાશને જતી કરીએ
ભૂપતભાઇ વડોદરિયા

વૃદ્ધ સુમતિચંદ્ર પાસે એક યુવાન મદદ માગવા આવ્યો છે. એ યુવાન સુમતિચંદ્રની બહેનનો દીકરો છે. ઘણા વર્ષે ભાણેજ મામાને મળવા આવ્યો છે. ભાણેજ મોં ખોલીને કશું કહેતો નથી પણ એક પત્ર મામાના હાથમાં મૂકે છે. સુમતિચંદ્રે એ પત્ર વાંચ્યો, ફાડીને કચરાની ટોપલીમાં નાખ્યો. તેમણે પોતાના કોટમાંથી એક હજાર રૂપિયા કાઢીને એ યુવાનને આપ્યા. ક્ષોભભરી નજરે પણ આભારવશ હૈયે એ જુવાન વિદાય થયો. એના ગયા પછી તુરંત જ સુમતિચંદ્રનાં પત્ની ભાગીરથીબહેન દીવાનખાનામાં આવ્યાં. તેમના પતિને પૂછ્યું, ‘કોણ હતું?’ સુમતિચંદ્રે ટૂંકો જવાબ આપ્યોઃ ‘બહેનનો મહેશ હતો. મેં તો તેને ચાપાણીનું પણ પૂછ્યું નહીં! મને એમ કે તમે અંદર સૂતાં હશો.’ પત્નીએ કડવું હસીને કહ્યું, ‘હું તો જાણતી જ હતી અને તમારા મામાભાણેજની લીલા જોઈ! તમને શું કહેવું એ મને સૂઝતું નથી. શું તમને કશું જ યાદ નથી? તમારી આ બહેન પાસે વર્ષો પહેલાં જ્યારે મેં આપણી દીકરી માટેતેની ફી અને કોલેજના ચોપડા માટેમાત્ર ત્રણસો રૂપિયા જ માગ્યા હતા ત્યારે તમારાં બહેન અને બનેવીએ પૈસા આપવા તો દૂર રહ્યા, પણ એવું મહેણું માર્યું હતું કે ‘સ્થિતિ નથી તો દીકરીને શું કામ આગળ ભણાવો છો! છેવટે દીકરીને તો પરણાવીને સાસરે જ મોકલવી છે ને?’ ત્યારે આપણી સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેઓની સ્થિતિ ખૂબ સારી હતી. આજે તમે તમારી એ બહેનના દીકરાને કંઈ સવાલજવાબ કર્યા વિના નગદ એક હજાર આપી દીધા! બહેને ચિઠ્ઠીમાં ચાર લીટી લખી અને ભાઈનું દિલ પીગળી ગયું! ખેર, એ ચિઠ્ઠી ફાડીને ફેંકી શું કામ દીધી? હું તે કોઈને વાંચી સાંભળાવત!’ સુમતિચંદ્રે કહ્યું, ‘‘મારી સગી બહેનનો દીકરો છે, આજે મુશ્કેલીમાં આવી પડ્યો ને પોતાની મા પાસે ચિઠ્ઠી લખાવીને આવ્યો! બનેવી તો આજે હયાત નથી. ભૂતકાળમાં કોઈ સગાંસંબંધીએ આપણી સાથે ભલે ગમે તેવો વહેવાર કર્યો હોય, એ સગાંસંબંધી મુશ્કેલીમાં આવી પડે અને આપણી મદદ માગે ત્યારે આપણી શક્તિ મુજબ મદદ આપવી. આપણી ત્રેવડ ન હોય તો ના પણ પાડીએ, પણ મદદની શક્તિ છે. મદદ માગનારની ભીડની સચ્ચાઈમાં પણ કાંઇ શંકા નથી ત્યારે જૂની વાત યાદ કરી તેને નનૈયો ભણાવે એ શું સારું છે? મને તો એ વાતનો આનંદ છે કે ઈશ્વરે મને કોઈને પણ બે પૈસાની મદદ કરવાની શક્તિ આપી! હું પરમાત્માનો એટલો આભાર માનું છે કે મારે મારી બહેનના દીકરાને મદદ કરવાની વેળા આવી ત્યારે જૂની કડવાશે મારો હાથ રોકી ન રાખ્યો! મારી બહેનના પત્રમાં ‘લાચારી’ અને પોતે અગાઉ કરેલા વહેવારનો ‘પસ્તાવો’ પણ હતાં! એ ચિઠ્ઠી સંઘરીને આપણે શું કરવું હતું? હું તો માનું છું કે પોતાની ભીડની ક્ષણે પોતાનો હાથ બીજે ક્યાંક લંબાવવાને બદલે જૂની વાત ભૂલીને સગા ભાઈ પાસે જ મદદ માગવા જેટલી ‘ઉદારતા’ પણ તેણે બતાવી. ભગવાને જ એના અંતરમાં આવી પ્રેરણા મૂકી હશે! તે મારી ઓળખાણના બીજા કોઈ પણ વેપારી પાસે મદદ માગવા જઈ શકી હોત. કદાચ તેને મદદ મળી પણ હોત અને એને મદદ કરનારે હસતાં હસતાં મને સંભળાવ્યું પણ હોત કે ‘તમારાં બહેન બિચારાં મારી પાસે મદદ માટે આવ્યાં હતાં! મેં તેને મદદ તો કરી પણ મિત્ર, તમે બહેનનું મુદ્દલ ધ્યાન નથી રાખતા કે શું?’ એણે આવું કહ્યું હોત તો શરમથી મારું માથું ઝૂકી જાત! હું શું ત્યારે એ માણસ સમક્ષ એવો ખુલાસો કરત કે મારા નબળા સમયમાં મેં મારી દીકરી માટે કોલેજની ફીચોપડીના પૈસા માગ્યા ત્યારે મારાં બહેનબનેવીએ મને મદદ નહોતી કરી એટલે અત્યારે હવે હું એમને શું કામ મદદ કરું? તે વખતે મારાં બહેનબનેવીનું વર્તન જો ગેરવાજબી હતું તો આજે હું એવું જ વર્તન કરું તો તે કઈ રીતે વાજબી ગણાય? ‘‘એમ વિચાર કરીએ તો આપણા અત્યંત વિકટ સમયમાં તારા સગા ભાઈએ આપણી સાથે કેવો વહેવાર કર્યો હતો? આજે આપણે જે સ્નેહભર્યો સંબંધ તેમની સાથે નિભાવીએ છીએ તે સંબંધ ભૂતકાળની વાતો યાદ કરીએ તો ટકી શકે ખરો?

જીવન આવું જ છે. બધી સમયની લીલા છે. સમય એક સારા શક્તિમાન મનુષ્યને ભિખારીનાં કપડાં પહેરાવે છે અને સમય ફરી કોઈ વાર એ જ માણસને ધનવાનનો પોશાક પહેરાવે છે. એ દિવસોમાં તારા સગા ભાઈએ જે વહેવાર કર્યો હતો તેે પણ ત્યારે તો ખૂબ ખટક્યો હતો. મારી સગી બહેને જે વહેવાર આપણી સાથે કર્યો હતો તે તનેમને પણ ખૂબ ખટક્યો હતો, પણ માણસે યાદ રાખવું જ પડે છે કે સ્મૃતિઓનો પણ એક વિવેક છે. સારા પ્રસંગની શોભા પર વીતી ગયેલી વાતનો પડછાયો પાડવાથી આપણું સુખ ઘટે, ખારું બને તે વધે નહીં, તેમાં કોઈ મીઠાશ ન મળે.’’

Wednesday, October 05, 2011

ગુજરાતી પત્રકારત્વનો ધ્રુવ તારો એટલે ભૂપતભાઇ વડોદરિયા

ગુજરાતી પત્રકારત્વનો ધ્રુવ તારો એટલે ભૂપતભાઇ વડોદરિયા. બધા ગ્રહોતારા ફરતા રહે, પરંતુ ધ્રુવ તારો હંમેશ એક જ સ્થાને રહે છે. હજારોલાખો વર્ષથી તે અચલ છે, તેવી જ રીતે અનેક પ્રલોભનો, સંકટો વચ્ચે ભૂપતભાઇ વડોદરિયા ક્યારેય ડગ્યા નથી, પીછેહઠ કે સિદ્ધાંતોમાં બાંધછોડ કરી નથી એટલું જ નહીં, પરંતુ પત્રકારત્વનાં મૂલ્યો અને નિષ્ઠાને હંમેશ વળગી રહ્યા છે. ધ્રુવ તારાની જેમ ભૂપતભાઇ ગુજરાતી પત્રકારત્વમાં દિશાસૂચક રહ્યા છે. કોઇ વ્યવસાયી પત્રકાર સફળ તંત્રી બનીને પોતાનું દૈનિક સફળતાપૂર્વક ન ચલાવી શકે તે ઘર કરી ગયેલી માન્યતાને ભૂપતભાઇ વડોદરિયાએ ખોટી સાબિત કરી છે. સમભાવ મેટ્રો જનસત્તા લોકસત્તા જેવા દૈનિક અખબારો અને ‘અભિયાન’ સાપ્તાહિકના તંત્રી જ નહીં, પરંતુ એક સફળ સંચાલક તરીકે ગુજરાતના પત્રકારોને એક નવો રાહ ચિંધ્યો છે. તેમણે પુરવાર કરી આપ્યું છે કે વ્યવસાયી પત્રકાર પણ પોતાનું અખબાર શરૂ કરી સફળતાપૂર્વક ચલાવી પણ શકે છે. ભૂપતભાઇ વડોદરિયાનો જન્મ ૧૯ ફેબ્રુઆરી, ૧૯૨૯ના રોજ ધ્રાંગધ્રામાં થયો હતો. ત્રણ વર્ષની વયે જ પિતાની છત્રછાયા ગુમાવનાર ભૂપતભાઇ માટે તેમનાં માતા ચતુરાબહેન જ જીવનનો આદર્શ અને પ્રેરણાસ્ત્રોત બની રહ્યાં. ૧૯૫૫માં માત્ર ૨૬ વર્ષની વયે ‘ફૂલછાબ’ના તંત્રી બન્યા હતા. ૧૯૬૨માં અમદાવાદ આવ્યા અને વિવિધ દૈનિક અખબારોમાં કાર્ય કર્યું. તેમની ચિંતનાત્મક અને પ્રેરણાત્મક કોલમ ઘરેબાહિરે અત્યંત લોકપ્રિય બની હતી. ૧૯૮૨થી ૧૯૮૬ સુધી તેઓએ ગુજરાત રાજ્યના માહિતી નિયામક તરીકે સેવાઓ આપી હતી. કોઇ વ્યવસાયી પત્રકાર માહિતી નિયામક બન્યા હોય એવા અત્યાર સુધી એકમાત્ર ભૂપતભાઇ વડોદરિયા જ રહ્યા છે. ૧૯૮૬ના માર્ચમાં તેમણે ‘સમભાવ’ દૈનિકનો પ્રારંભ કર્યો. પત્રકારત્વમાં ભૂપતભાઇના આદર્શ ઝવેરચંદ મેઘાણી હતા. મેઘાણીની માફક જ ભૂપતભાઇએ પત્રકારત્વમાં નીડરતા અને સાહસિકતાનો પરિચય કરાવ્યો હતો. ગુજરાતી પત્રકારત્વમાં સંશોધનાત્મક પત્રકારત્વનો પાયો નાખનાર પણ ભૂપતભાઇ હતા. તેમણે ’૬૦ના દાયકામાં જાનના જોખમે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ચાલતી દાણચોરીની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. ભૂપતભાઇએ ગુજરાતી સાહિત્યને ચાર હાસ્યનવલકથાની ભેટ ધરી છે. ગુજરાતી સાહિત્યમાં રમણભાઇ નીલકંઠ અને ચુનીલાલ મડિયા પછી હાસ્ય નવલકથાના સર્જક તરીકે ભૂપતભાઇએ ખ્યાતિ મેળવી હતી. ગુજરાતી પત્રકારત્વમાં મૂલ્યનિષ્ઠા જાળવી રાખવાના ભૂપતભાઇ આગ્રહી હતા. તેમના તંત્રીપદ હેઠળનું ‘સમભાવ’ અખબારી જૂથ પત્રકારો માટે આશ્રયસ્થાન બની રહ્યું હતું.

ગુજરાતમાં ઇન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ માટે પત્રકારોને તૈયાર કરવામાં ભૂપતભાઇનો ફાળો અનેરો છે. તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા પત્રકારોની સંખ્યા નાનીસૂની નથી.

ગુજરાતના પત્રકારત્વમાં નીડરતા, નિષ્પક્ષતા અને રચનાત્મક અભિગમ અને ગમે તેવા ચમરબંધીની શેહશરમ રાખ્યા વગર તટસ્થ સમાચારો આપવાનો તેમનો આદર્શ ગુજરાતના પત્રકારત્વમાં એક અનોખી ભાત પાડે છે. પત્રકાર કોઇ પણ અખબાર સાથે સંકળાયેલો હોય છતાં તેના વિકટ સમયે તેની પડખે ઊભા રહી તેના સંકટ અને દુઃખમાં ભાગ લઇ તમામ પ્રકારની મદદ કરવામાં ભૂપતભાઇની તોલે કોઇ આવી શકે તેમ નથી. અખબારી આલમની કોઇ પણ વ્યક્તિ કે પત્રકાર હોય તેના આંસુ લુછવામાં તેમણે ક્યારેય પાછું વાળીને જોયું નથી. ડાબા હાથે કરેલું કાર્ય તેમણે જમણા હાથને જણાવવા દીધું નથી તે તેમની આગવી વિશિષ્ટતા હતી. મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ તેમના લોહીમાં હતું. ક્યારેય મૂલ્યો સાથે બાંધછોડ તો ઠીક, પણ સમાધાન પણ ભૂપતભાઇ વડોદરિયાએ કર્યું નથી અને આ સિદ્ધાંતને ગમે તેવા વિકટ સમયમાં છોડ્યો નથી, ત્યજ્યો નથી. ભૂપતભાઇ પાસેથી પત્રકારત્વનો એકડો ઘૂંટીને સેંકડો પત્રકારો તૈયાર થયા છે, જેમાંના કેટલાક રાષ્ટ્રીય કક્ષાના અખબારના તંત્રીપદ સુધી પહોંચ્યા છે. આ ભૂપતભાઇની એક જ્વલંત સિદ્ધિ છે. ભૂપતભાઇનો જો ટૂંકમાં પરિચય આપવો હોય તો એમ કહી શકાય કે અભિપ્રાયનો નહીં, અનુભૂતિનો એ જીવ હતો. પત્રકારો સમેત સહુના તેઓ સદાય હામી રહ્યા હતા. સંવેદના તેમની ગળથૂથીમાં હતી. નીડર અને નિષ્પક્ષ તંત્રી અને સુપ્રસિદ્ધ લેખકસાહિત્યકાર તરીકે ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ જગતમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં ભૂપતભાઇ વડોદરિયાનું નામ ગૂંજે છે, સદાય ગૂંજતું રહેશે.

-ગિરીશ ત્રિવેદી

(In unicode fonts from Sambhaav)

શબ્દોના સાધકની ચિરવિદાય

શબ્દોના સાધકની ચિરવિદાય
(in Unicode from Sambhaav)

ગુજરાતી પત્રકારત્વમાં હંમેશાં દીવાદાંડી બની રહેલા અને સમભાવ મીડિયાના ધરોહર સમા શ્રી ભૂપતભાઇ વડોદરિયાનો તા.૦૪/૧૦/૨૦૧૧ મંગળવારની રાત્રે ૯.૪૫ કલાકે ૮૨ વર્ષની વયે દેહાંત થયો છે. ગુજરાતી પત્રકારત્વમાં સૌથી નાની વયે ફુલછાબમાં તંત્રી બન્યાનું ગૌરવ હાંસલ કરનાર ભૂપતભાઇ પત્રકાર ઉપરાંત ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. તેમની ‘પ્રેમ એક પૂજા’ નવલકથાને ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. સંસ્કાર એવોર્ડ સહિત અનેક પારિતોષિકથી ભૂપતભાઇની સાહિત્યિક સેવાઓની કદર થતી રહી હતી. તેમણે ગુજરાત રાજ્ય માહિતી નિયામકપદે પણ યશસ્વી કામગીરી કરી હતી. ‘પ્રભાત’, સંદેશ અને ગુજરાત સમાચારમાં પણ તેમણે પત્રકાર તરીકે કારકિર્દીનું ખેડાણ કર્યું હતું. સાહિત્ય ક્ષેત્રે તેમના પચાસથી વધુ પુસ્તકો પ્રસિદ્ધ થઇ ચૂક્યાં છે. તેઓ સમભાવમેટ્રો, જનસત્તા, લોકસત્તા અને સાપ્તાહિક અભિયાનના તંત્રી હતા. ભૂપતભાઇના ચાર સંતાનો રાજેનભાઇ, શૈલેષભાઇ, મનોજભાઇ, કિરણભાઇ સહિત સમભાવ મીડિયા પરિવાર સમસ્ત પત્રકારજગત અને સાહિત્યજગતને ભૂપતભાઇની ચિરવિદાયથી કદી ના પૂરી શકાય તેવી ખોટ હંમેશાં રહેશે.

પત્રકારત્વસાહિત્યજગતની તેજસ્વી કલમ પોઢી ગઈઃ નરેન્દ્ર મોદી

ગુજરાતી પત્રકારત્વની દીવાદાંડી અને ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ઠ સાહિત્યકાર તથા સમભાવ મીડિયા હાઉસની ધરોહર સમાન સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાના પાર્થિવદેહને આજે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પિત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાનાં પરિવારજનોને દુઃખની આ ઘડીમાં દિલસોજી અને સાંત્વના પાઠવી હતી. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નવ વાગ્યે સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા અને તેમના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વર્ગસ્થની પત્રકારત્વની સેવાઓને બિરદાવીને કહ્યું હતું કે, ‘‘ગુજરાતના પત્રકારત્વ અને સાહિત્યજગતની દેદીપ્યમાન અને તેજસ્વી કલમ આજે પોઢી ગઇ છે. સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાએ ખૂબ નાની વયે પત્રકારત્વ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. વિશ્વ સાહિત્ય અને અખબારો અંગે તેમણે જવાબદારી સ્વીકારી હતી. ગુજરાતને તેમણે અખબારો પણ આપ્યાં, ખબર પણ આપી અને ખબર પણ લીધી છે. ચિંતન અને મનન દ્વારા આવનારી પેઢીને અનેક રત્નો આપ્યાં છે. સરસ્વતીના ઉપાસકને હું આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું.


મૃત્યુ પછીની ગતિ ની ચીંતા! -ભુપતભાઇ વડોદરિયા

મૃત્યુ પછીની ગતિ ની ચીંતા!
-ભુપતભાઇ વડોદરિયા

એક સંબંધીએ કહયુ ‘મે જે કાઇ ઝંખ્યુ અને માગ્યુ તે બધુ મળયુ છે. છ્તા કેટ્લીવાર એવુ લાગે છે કે મારા સાનુકુર્ સંજોગો ને હિસાબે જે ખુશાલીની લાગણી મનમા ટ્કી રહેવી જોઇએ તે ટ્કી રહેતી નથી. મને સતત બિનસલામતી ની લાગણી સતાવ્યા કરે છે. ખરેખર તો સંપુર્ણ સુરક્ષિતતાની લાગણી થવી જોઇએ. તેને બદલે બિનસલામની લાગે છે. આનુ કારણ સમજાતુ નથી. આનો ઇલાજ શુ તેની કશી ખબર નથી. મારા આ સંબંધી પૈસેટકે અતિ સુખી છે. મિલકત સારી છે. ધંધામાં સ્થિર છે. સમાજમા પ્રતિત્ત પણ છે. એમને બિનસલામતીની લાગણી રહ્યા કરે છે ને તેથી બેચેની પેદા થાય છે.

એક તદન ગરીબ માનસે પોતાની પાસે આવેલી ઠીક ઠીક રકમ બતાવીને કહ્ય “જ્યા જ્યા ગયો ત્યાં ત્યાં કોઇએ બે તો કોઇએ પાંચ રુપિયાની મદદ કરી. હુ ગરીબ છુ પણ મારે રુપિયાની ખાસ જરુર નથી. મને સતત ભય લાગ્યા કરે છે કે કોઇક રક્ષણ આપે તો સારુ! આ માણસને આ બધા પ્રષ્નો પુછવા છતા તે ખરેખર પોતાની ઉપર કોઇ વાસ્તવિક જોખમ હોવાનુ બતાવી શકયો નહી. આમ કોઇ જોખમ નથી ને લુટાઇ જવાનો ભય નથી, કે જેના પડ્છાયાની ચીંતા કરવી પડે. કોઇ નક્કર ભયની વાત નથી, પણ મનની અંદર બિનસલામતીની એક લાગણી સતત સરવર્યા કરે છે અને તેને ચેન પડતુ નથી.

તાજેતરમા મશહુર લેખક ફ્રાંસ કાફકાનો પત્ર વહેવાર વાંચયો. પોતાની પ્રિયતમાને અમુક સમય માટેની વિવાહિતા ફેલિસ પર્ન પત્રો તેમા છે. કાફ્કાએ આ પ્રેમ પત્રોમા પોતાની જાતને સંપુર્ણ ખલ્લી કરી છે. એમા કાફ્કાની બિનસલામાતી ની લાગણી વારમવાર કહે છે કે, હું દુબળામા દુબળો માણસ છુ. ફેલીસને એ ચાહે છે ખરો પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ શકતો નથી. કાફ્કા કહે છે કે મારા પોતના એક્લાના જીવતર પુરતી તબિયત ચાલે તેવી છે, પણ લગ્ન કરી શકુ એવી તબિયત નથી. હકીકતે કાફ્કાનો પત્રવહેવાર પોકરી પોકારીને એક વાત કહે છે કે, તેને બિનસલામતીની ઉંડી લાગણી પરેશાન કર્યા કરે છે. તેને સતત ડર રહ્યા કરે છે કોઇ જોખમની સ્થિતિ ઉભી થાય નહિ. તે માટે મોટેભાગે તે એકાંત પસંદ કરે છે અને શક્ય હોય તેટ્લે અંશે પોતાના નાનકડા કમરામાંજ રહે છે. છ્તા બંધિયાર જગાનુ પણ એક જોખમ હોય છે. એટ્લે ગમે તે મોસમમા એ બારી ખુલ્લી રાખીને સુવે છે. ખાસ ઉંઘતા પણ નથી, કેમકે, ઉઘવુ એટ્લે અસહાય અને બિનસલામત બની જવુ! ઉંઘવું એટ્લે પોતાનુ માથુ અજાણ્યા ખોળામાં મુકી દેવુ.

માણસ ભર ઉંઘ મા હોય ને કઇક આફત બહારથી કે અન્દરથી ઉતરી પડે તો? તમે ઉંઘતા હો અને કોઇ તમારી ઉપર હુમલો કરી શકે. તમે ઉંઘમા ભાન વિનાના હો અને કોઇ ઝેરી જીવજતુ કરડી શકે! બહારની જોખમ ની વાત તો ઠીક છે, માણસના શરીરની અન્દ્ર ક્યા ઓછા શત્રુ છુપાયા છે! ખુબ લાડ લડાવેલા આ હ્ર્દયનો પણ શો ભરોસો. એ પણ ક્યારેક પાંસરીની પાછળ કઇક શ્વાસની ગડબડ ઉભી કરી ના શકે? ઉઘની અવસ્થામા પણ અન્દરના કોઇ કોઇ જોખમોનો ડર હોઇ શકે છે. ફ્રાંસ કાફ્ડા તો મહાન સર્જક હતો. એટલે તેની સાચીકે માની લીધેલી શારીરિક-માનસિક પીડા, તેની મુઝવણો, તેની ચિંતાઓને તેના જાતજાતના ડરની લાગણીઓમાથી વાર્તાઓ વણાય છે. અને આ બધી બળતરામાથી સરજનનો એક વિચિત્ર સંતોશ જન્મે છે. કોઇક સરસ વાર્તા લખ્યા પછી તે થાકેલી સ્થિતિમા પણ અસાધારણ ખુશાલીની લાગણી અનુભવે છે. પણ પેલી બિનસલામતીની લાગણીનો સમગ્ર રીતે વિચાર કરીયે ત્યારે આપણા આશ્ચર્ય વચ્ચે આપણને ખબર પડે છે કે, કેટલા બધા ચેહરાની પાછર ડરની આ લાગણી સંતાઇને બેઠી હોય છે. પોતાને બિનસલામતીની લાગણી સતાવ્યા કરે છે તે કબુલ કરવાની હિમત પણ ચાલતી નથી. કોઇ પોતની બિનસલામાતીની લાગણીના ઇલાજ તરીકે એકાંત શોધે છે. તો કોઇ વળી ભીડ્મા ભય ઓછા ગણીને ગાઢ સોબતમા સંતાય છે. કદાચ ભીડ અને ભાષામા ભળી જવાનુ ઘણા બધા માણસોને ગમે છે અને તેનુ એક કારણ આ પણ હોઇ શકે છે.

બિનસલામતીની લાગણીનો વિચાર એક અગર બીજા માણસને સતાવતો રહે છે. કોઇને વળી આથિક બિનસલામાતીની લાગણી પીડા આપે છે. નોકરી પુરી થશે અને નિવ્રુત થવુ પડશે, પછી હુ શુ કરીશ? આજનુ આ જીવણધોરણ કઇ રીતે જાળવી રાખીશ? કોઇને નિવ્રુતિ દુર હોય છે તો બઢતીની ચિંતા થાય છે. આ પણ આથિર્ક બિનસલામતીની લાગણી છે. કોઇને ધન્ધો ભાંગી પડવાની, ધંધો બંધ થઇ જવાની, ખોટ જવાની ચિંતા રહ્યા કરે છે. કોઇને રોકાણ કરવાની પોતાની અશક્તિ સતાવે છે. આમા પણ આર્થિક બિંનસલામાતીની લાગણી બોલે છે. અમેરિકાના એક મહામાલદાર ઉધ્યોગપતિ રોક્ફોલરે કબુલ કરેલુ છે કે , નવા નવા ધન્ધાનુ વિસ્તરણ કરવાની તેની સાહસિકતાનુ મુળ આર્થિક બિનસલમતી ની લાગણીમા પડેલુ હતુ. ન કરે નારાયણને ચાલુ ધંધો ભાંગી પડે તો? ગાય દુધ આપે છે પણ કાલે વસુકી નહી જાય તેની શી ખાતરી? ચાલો એક નવી ગાય પણ વસાવી લઇએ. ધીકતા ધંધામાં હોવા છતા નવા ધંધાનો જન્મ થાય છે.

આર્થિક બિનસલામાતીની લાગણી જેવીજ સામાજીક બિનસલામાતીની લાગણી કેટ્લાકને પીડે છે. આબરુ જશે તો? પ્રતીત નહી સચવાય તો? કૈક બદનામી કે ફજેતી આવી પડશે તો? આવી લાગણીથી પીડાતા ગ્રુહસ્થો સતત સંતાનો પર ચાંપતી નજર રાખે છે. ક્યાંક દીકરી પ્રેમ લગ્નની ફજેતી કરીને આબરુ ઢોળી નાખે. ક્યાંક દીકરો પરનાતમા કોઇ ઉતરતી ન્યાતિકે કોમની કન્યાના ગળામા પુષ્પમાળા આરોપીને પ્રતિત્ત્ને ધુરધાણી કરી નાખે!

કેટલાક વળી લાગણી વિષયક બિનસલામાતી સતાવે છે. પોતાની પત્ની કે પોતાનો પતિ પોતાને ચાહવાનુ બંધ કરી દેશે તો? મિત્રોમા ફેરવી લેશો તો? સંબંધીની ઇર્ષયા કઇક કારસ્તાન ઉભુ કરશો તો? માણસને સતત સ્નેહ્ની ભુખ છે, તે ઇચ્છે છે કે થોડીક નિકટની વ્યક્તિઓના ભાવમા કઇ ફરક ના પડે. તેને પોતાની હદયની ચાહવાની શક્તિમા શંકા છે. એટલે બિજાઓના હદયની આવી શક્તિમા પણ શંકા પડે છે. આ બધાની શંકાથી તેઓ પ્રેમ અને વફાદારીના પોતાના દાવા બુલન્દ રીતે રજુ કરવાની સાથે ચોપાસ શંકાભરી નજરે જાંચ તપાસ ચલાવે છે. કોઇ વળી પોતાની તબિયતની બાબતમા બિનસલામાતીની લાગની પિડ્યા કરે છે. કેંનસરની વાત વાંચે ત્યારે તેના લક્ષણોની ખાનગી તપાસ પોતાના શરીરમા કરે છે. હદયરોગની જાણકારી મેળવે ત્યાં પોતાના હૈયાની કોઇક દગાખોરીની તપાસ આદરે છે. તબિયત પરના જાતજાતના આવા આવા જોખમોની એક અસ્પષટ ભયભીતતા તેમને સતાવે છે. આ બધાજ શંકાઓનુ ગ્રાંડ ટોટલ પોતના આયુષ્યની લામ્બી ટુકી રેખાની ચિંતારુપે હાજર થાય છે. શરીર અંગે કોઇ ખાસ ફરિયાદ ના હોય ત્યારે અકસ્માતનો ભય રહે છે. ટ્રેનોનો અકસમાત, વિમાન અકસમાત, જાહેર રસ્તા પરના અકસ્માત એક વ્યક્તિગત શક્યતા બનીને તેમની પોતાની યાત્રાનુ શંકાસ્પદ ભાથુ બની જાય છે. પોતાનો સામાનના દાગીના વારેવારે ગણ્યા કરે છે. પણ પેલો મુખ્ય દાગીનો તો શંકાના ભય્નો હોય છે.

પોતનુ મ્રુત્યુ કેવી રીતે, કયા અને કયા સંજોગોમા થશે તેની ચિંતા કેટ્લાક્ને બિનસલામાતીની લાગણી આપે છે. તો વરી આમાથી કેટ્લાકને પોતાના મ્રુત્યુ પછી પોતાની શી દશા થશે - માત્ર શરીરનીજ નહિ, પણ પોતાના આત્માની એની ચિંતા થાય છે. સમરસેટ મોમ કહે છે કે, માણસના ઘણા બધા ડર અને બિનસલામાતીની લાગણીઓની કલ્પના હુ કરી શકુ છુ, પણ મ્રુત્યુ પછીની ગતિની ચિંતા કરનારાઓના ડરની લાગણી હુ સમજી શકતો નથી. તમે જ્યારે નહિ હો ત્યારે કઇજ નહિ હોય. મ્રુત્યુ પછીની આવી ચિંતાને વર્તમાન ડરના રુપમા ચીતરવાનો શો અર્થ?

___________________________

ભુપતભાઇ વડોદરિયા આજે આ દુનિયામાં નથી અને આજે સવારે તેમણે હંમેશ માટે વિદાય લીધી છે. કાલે રાતના એવું લાગતુ હતુ કે તે હમણા ઉંઘમાંથી ઉઠીને બોલશે પણ તેમ મનને ના મનાવાય - ભગવાન તેમના આત્માને શાંતી આપે તેજ પ્રભુને પ્રાર્થના. તેમનું હાસ્ય અને પ્રેરણા સદા આપણી સાથે રહેશે અને તેમની યાદ દિલમાં સાથે રહેશે. ભાઇએ મને ગુજરાતી લખવા માટે પ્રોત્સાહન આપ્યું હતુ અને તેના લીધે આ બ્લોગ મેં શરૂ કર્યો હતો તે વાંચકો અને તેમના ચાહકો સુધી હું તેમનુ લખાણ પહોંચાડવાનો પ્રાયાસ સતત સમય મળે ત્યારે કરીશ. - So, stay tuned.
- ilaxi

Tuesday, September 20, 2011

‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ - ભુપતભાઇ વડોદરિયા

‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’
ભુપતભાઇ વડોદરિયા

જે ઈન ઓસ્ટીનની નવલકથા ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ ઇંગ્લેન્ડમાં પ્રથમ વાર પ્રગટ થઈ ત્યારે તરત જ તે લોકપ્રિય થઈ હતી. આજે પોણા બસો વર્ષ પછી તેને વાચકો મળ્યા જ કરે છે. આમ જુઓ તો એક પ્રેમપરિણયની કથા છે તેમાં ઈમીલી બ્રોન્ટેની ‘વુધરિંગ હાઈટ્સ’નું તોફાન નથી કે તેમાં શાર્લોટ બ્રોન્ટેની ‘જેઈન આયર’ની મસ્તી પણ નથી. છતાં આજે પણ આ નવલકથા હાથમાં લેનારા વાચકને તે વાંચવાની મજા પડે છે, ખળભળ વહેતાં ઝરણાંની જેમ કથા આગળ વધે છે. અહીં તહીં આંટીઘૂંટી, ગેરસમજ અને રહસ્યના નાના મોટા ખડક ગોઠવાયેલા છે. પણ એની કથાના પ્રવાહમાં ક્યાંય અંતરાય નડતો નથી. કશું જ અસામાન્ય નથી અને છતાં તેની સામાન્યતામાંથી સાર્વજનિકતાનું એક નક્કર તત્ત્વ ઊપસી આવે છે એટલે ઇંગ્લેન્ડની એક તદ્દન નાનકડી દુનિયાની વાત આખી દુનિયાને રસપ્રદ લાગે છે. સમરસેટ મોમે એવું કહ્યું છે કે આકૃતિનો એક મોટો ગુણ તેની સુવાચ્યતા ‘રિડેબિલિટી’ છે પણ નિઃશંક એ મોટો ગુણ હોવા છતાં આપણે વીસમી સદીના વાચકો જાણીએ છીએ કે આજકાલ તો જાહેર ખબરો પણ રસપ્રદ અને સુવાચ્ય હોય છે. માત્ર આ જ ગુણને કારણે જેઈન ઓસ્ટીનની નવલકથા આટલું લાંબંુ જીવી ના શકે! ઐતિહાસિક નવલકથાઓના વિશ્વપ્રસિદ્ધ અંગ્રેજી લેખક વોલ્ટર સ્કોટનો એ જમાનો હતો અને સ્કોટે પોતે કહ્યું છે કે, જેઈન ઓસ્ટીને એક વિરલ સિદ્ધિ હાંસલ કરી છે. હું તો અસામાન્ય પાત્રો અને અસામાન્ય નાટ્યાત્મક પરિસ્થિતિઓની વાર્તાઓ લખું છું અને વાચકોને તે મનોહર લાગે પણ જેઈન ઓસ્ટીન તો તદ્દન સામાન્ય પરિવારની સામાન્ય સંસારકથા લખે છે અને તે કેટલી બધી મનોહર બની રહે છે!

મારી દ્રષ્ટિએ ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ની નવલકથાના આટલા લાંબા આયુષ્યનું કારણ એ છે કે તેનું કથાબીજ યુવકયુવતીઓની પ્રણયઝંખના અને લગ્નેચ્છાના સનાતન વિષયનું છે. બીજું, લેખિકા કોઈ અસામાન્ય પ્રેમની વાત કહેતી નથી. એક સરેરાશ સામાન્ય યુવકયુવતીની વાત કહે છે. અસામાન્યતા તેમના પ્રેેમમાં નથી, અસામાન્યતા તેમના વ્યક્તિત્વની વિશેષતામાં છે. વ્યક્તિત્વની આ વિશેષતાને જીવંત રીતે ઉપસાવવાની કલા જેઈન ઓસ્ટીન પાસે છે. નવલકથાની નાયિકા એલિઝાબેથ બેનેટ આપણી નજર સામે આજે પોણા બે સૈકા પછી પણ ખડી કરીએ ત્યારે તે આજની કોઈ પણ ગરીબ કે સામાન્ય સ્થિતિની પણ સ્વમાની અને ચતુર કન્યાથી જુદી લાગતી નથી. ગરીબ મધ્યમ વર્ગની કે અમીર ઘરની કોઈ પણ યુવતીને એલિઝાબેથ થવું ગમેે એલિઝાબેથ જેવી અભિમાની છોકરી થવું ના ગમે તો એની મોટી બહેન જેઈન થવું ગમેે. કોઈ ને, લીડિયા થવું ગમે કે કોઈને મેરી કે કીટ્ટી થવું પણ ગમે.

ટૂંકમાં લેખિકાએ એક લગ્નોન્મુખ યુવતીની બરાબર નાડ પકડી છે. જેઈન ઓસ્ટીનને પોતાની જિંદગીમાં જે પ્રેમ ના મળ્યો, લગ્નનું જે સૌભાગ્ય ના મળ્યું તેની ખોટ પૂરવા જાણેે તેણે પોતાની મનોસૃષ્ટિમાં બે પુરુષ ઉત્પન્ન કર્યા! શ્રીમંત ગર્વિષ્ઠ જુવાન ડાર્સી અને બીંગલી. બીંગલી અને ડાર્સી બંને મિત્રો છે, પણ બંનેના સ્વભાવમાં દોન ધ્રૂવનું અંતર છે. બીંગલી શ્રીમંત પણ ભલો, નરમ અને સરળ છે જ્યારે ડાર્સી ગર્વિષ્ઠ, જટિલ, કઠોર પણ અંદરથી પ્રેમભૂખ્યો અને ઉમરાવ દિલનો છે. જેઈન ઓસ્ટીનના મોટા ભાગનાં પાત્રો એકદમ પ્રતીતિકર અને ઓળખી શકાય તેવાં છે. પાંચ પુત્રીઓના પિતા શ્રીમાન બેનેટ અને માતા શ્રીમતી બેનેટને આજે પણ એક મધ્યમ વર્ગના પરિવારનાં પ્રૌઢ દંપતી તરીકે ઓળખી શકાય છે. પાંચ દીકરીઓ છે. દીકરો નથી, દીકરો ના હોવાથી મકાનની મિલકત ભત્રીજા શ્રી કોલીન્સને જ જાય તેમ છે. આવાં માબાપે આજે પણ લાયકપૈસે ટકે સુખી યુવકોની નિરંતર શોધ કર્યા જ નથી કરતા? આપણે જાણીએ છીએ કે પ્રેમના આકર્ષણનું પ્રથમ રૂપ ઘણી વાર એકબીજા પ્રત્યેના અણગમાના મુખભાવમાં પ્રગટ થાય છે. ડાર્સી અને એલિઝાબેથ વચ્ચે તણખા ઝરે છે. ડાર્સી નૃત્યના સાથીદાર તરીકે એ એલિઝાબેથને પોતાને યોગ્ય ગણતો નથી. એની ટીકા એલિઝાબેથના કાને પડે છે અને બંને વચ્ચે એક ઠંડું યુદ્ધ શરૂ થાય છે. જે છેવટે પ્રેમના એકરારમાં પરિણમે છે. એલિઝાબેથની મોટી બહેન જેઈન અને બીંગલેની જોડી રચાઈ રહી છે. તેની પાર્શ્ચભૂમિકામાં આ બીજી રોમાંચક જોડી રચાય છે. એ જ કથાનાં નાયકનાયિકા બને છે પણ સ્વાભાવિક રીતે જ પહેલો સંબંધ મોટી બહેનનો જ ગોઠવાય એટલે એમાં માબાપે ‘ગોઠવેલા’ સંબંધનું તત્ત્વપ્રધાન લાગે. એની પડખે આ પ્રથમ તિરસ્કાર અને પછી ઉત્કટ આકર્ષણની કથા વધુ સહજ અને સુંદર લાગે છે અને મુખ્ય કથા તરીકે ઊપસી આવે છે. જેઈન ઓસ્ટીન પાત્રોના માનસિક પૃથ્થકરણમાં જતી નથી. રોજિંદા જીવનના તરંગોની સંજ્ઞા દ્વારા એ પાત્રોને ખડાં કરે છે. ક્યાંય મહોરા કે કઠપૂતળી જેવાં એ લાગતાં નથી. જેઈન ઓસ્ટીનની સૃષ્ટિ સપાટી ઉપરની છે. તેમાં દરિયાઈ પેટાળની રમ્યતારુદ્રતા નથી, પણ છતાં તે છીછરાપણામાંથી બચી જાય છે, કેમ કે સપાટી સાચી અને જિંદગીના નક્કર દેહ સાથે ચામડીની જેમ મઢાયેલી છે.

__________________

ભાઇનો આ ખુબ જુનો લેખ છે.

તેમનો અંગ્રેજી સાહિત્યા પ્રત્યેનો પ્રેમ આજે પણ એક પ્રેરણા છે. તેમના રૂમમાં મુકેલા કબાટમાં એક સાહિત્યનો ખજાનો છે અને મને યાદ છે કે હજુ મારે તેનુ લિસ્ટ બનાવવાનું છે! ભાઇ આ પુસ્તકો ને ખુબ પ્રેમથી વાંચતા અને આ અનુભવો લખતા. ઓફીસમાં તેમને મળવા નુ મન થાય ત્યારે અચુક ભાઇ અંગ્રેજી સાહિત્યની વાત કર્તા. તેમનો શોખ માત્ર અંગ્રેજી નહિ પણ ગુજરતી સાહિત્યા નો ખુબ રહેતો અને તેમની વાતોમાં એક ગજબ ઉત્સાહ હોતો અને આંખમા ચમક. આજે ભાઇ ની તબિયત સારી નથી અને મારી હિંમત નથી કે હું તેમને જોઇ શકું - એક ડર છે એક સ્વજન ખોવનો - ભગવાન તેમને ખુબજ સરસ સ્વર્ગ બતાવે અને ભાનુબેન્ નો સાથ આપે - ગોડ બ્લેસ હીમ અને આવુજ તેમનુ નિર્દોષ સ્મિત સદા આપણા દિલમા રહે..

Friday, April 15, 2011

મારી પત્નિ મારા માટે ભગ્યની દેવી બની

મારી પત્નિ મારા માટે ભગ્યની દેવી બની
ભુપતભાઇ વડોદરિયા


આપણી સંસ્ક્રૂતિમાં આદર્શ પત્નિ ના જે ગુણો દર્શાવામાં આવ્યા છે તેમાં 'ભોજનેષુ માતા' અને 'કાર્યેષુ મંત્રી' એવા ગુણોનો સમાવેશ થાય છે. જે પત્નિ પતિને માતાની જેમ સ્નેહ પુર્વક ભોજન કરાવે છે અને જે પત્નિ પતિના કાર્ય માં મંત્રી જેવુ કામ કરે. રશિઆના મહાન નવલકથાકર ફાઇડોર દોસ્તોવશ્કિને મોટી ઉંમરે જે પત્નિ મળી - ઉંમરમાં નાની પ્ણ ગુણોમાં ઘણી મોટી. ક્રાઇમ એન્ડ પનિષમેન્ટ અને બ્રધર્સ કેરેમેસિવ જેવી મહાન નવલકથાઓ લખનારા આ રશિયન લેખક ના સેક્રેટરી તરિકે - સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવનાર આ યુવતિ ના પ્રેમ માં પડી પછી લગ્ન કર્યા. દોસ્તોવસ્કી દેવાના ડુંગર નીચે દટાઇ ગયા હતા. નાણા ભીડમાં રહેતા આ મહાન સર્જકનું શોષણ કરવામાં પ્રકાશકોએ કશુ બાકી રાખ્યુ ન હતુ. આર્થિક ભીડમાથી અન્નાએ તેના પતિને મુક્ત કર્યા.


દોસ્તોવસ્કીએ જાતે કહ્યું છે કે 'મારી પત્નિ મારી આર્થિક તંગીમાં થી ઉગારીને જાતેજ મારી નવલકાથાઓને છપાવીને પુસ્તકવિક્રેતાઓ દ્વારા પ્રસ્તુત કર્યા. મોડી રાત સુધી લેખકની પ્રવ્રુતિમાં રહીને સવારે હું મોડો ઉઠતો ત્યારે મારી પત્નિ પુસ્તક વિક્રેતા સાથે લાભકારક સોદો કરવાની કડકુટ દેવી બની. મારી આંખમા આંસુ આવી જતા. ખરેખર તે મારા માટે મારી ભાગ્યની દેવી બની. દોસ્તોવસ્કીનું શોષણ માત્ર પ્રકાશકોજ કરતા નહતા. તેના ઉદાર સ્વભાવનો લાભ લઇને સગાં સંબંધી પણ તેને પરેશાન કરતા. આ બધાજ બંધનોમાં થી તેમની પત્નિએ તેમને મુક્ત કરાવ્યા. મોટી ઉંમર હોવા છતા એક થી વધુ અર્થમાં તે એક આદર્શ પત્નિ બની. આ રશિયન સમાજની વાત છે.


આપણે ભારતીય સમાજની આજની સ્થિતિનો વિચાર કરીએ તો આપણે જોઇએ છે કે આજે પત્નિ 'કાર્યેષુ મંત્રી' બની રહેવાને બદલે એથી વધુ નાણાં કમાવવાની ફરજ પાડનારી એક વ્યક્તિ બની ગઇ છે. પુરતી કમાણિ ના હોય તો કેટલાક કિસ્સામાં તે સીધી કે આડકતરી એવી સુચના આપે છે કે 'કોઇપણ રીતે નાણા લાવો' લાંચરૂશવત લઇને પણ પૈસા મેળવો. બે નોકરી કરીને પણ નાણા લાવો. પત્નિના મનમાં બીજાઓની દેખાદેખી બહુ છે. તે અમુક સ્તરનું ઉંચા મધ્યમ વર્ગનુ ધોરણ પ્રાપ્ત કરવામાં ઉત્સુક છે. આ ઊંચા ધોરણમા જોઇ શકાય છે કે તેને રસોઇ કરવામાં ખાસ રસ નથી. તેને પતિના કાર્યમાં કોઇ દિલ્ચસ્પી હોતી નથી. આપણી જુની કહેવત છે કે 'માતા પુર્ત્રને આવતો જોઇને સંતોષ માને છે અને પત્નિ તો પતિ કાંઇ લઇને આવે તેની અપેક્ષા રાખે છે બીજી બાજુ, આજે અનેક પરિવારમાં પતિની કમાણી અપૂરતી હોય તો પુરક કમાણી માટે પત્નિ બહાર નોકરી કરી કે કોઇ પણ રીતે કમાવવાની કોશીશ કરે છી. આમાં કશુ ખોટું નથી. આમાં સ્ત્રી પોતાની કાર્યશક્તિ બતાવે છે અને આર્થિક સ્વતંત્રતા નો થોડો અનુભવ પણ કરી શકે છે. છતાં આમ એક પરિણામ એક એવું આવે છે કે સ્ત્રી બરાબર ઘર નથી સંભાળી શક્તી કે નથી પોતાના બાળકોનુ શોષણ-શિક્ષણ પર પુરુ ધ્યાન આપી શક્તી. ઘણા બધા કિસ્સામાં સ્ત્રીઓની નાજુક પ્રક્રુતિને કારણે તે તબિયત અને અન્ય રીતે વધુ સહન કરવુ પડે તેવુ દેખાય છે.

ઊંચા જીવનનો 'મોહ' આટલો બધો વધી ગયો છે કે 'સંતોષ' એજ સાચ સુખ તેવી વાતો જુની લાગે છે અને 'અસંતોષ' આગળને આગળ જવાનો અજંપો આપણને પ્રગતિનું એક લક્ષણ લાગે છે. આમાં કામાણી વધે છે. જીવનધોરણ બેશક ઉંચું આવ્યાનો અહેસાસ થાય છે પણ ઘરની સુખશાંતિનું શુ? કેટલાય એવા ઘર છે કે બાળકોની આંખ સામે માતા પિતા હાજર હોય એવું ઓછુ બને છે. કેટલાક કિસ્સામાં બાળકો નોકરના પનારે પડ્યા હોય છે અને ઘણાં બધા કિસ્સામાં માતા પિતાની હાજરી સ્થૂર હાજરીજ બાળકોને જોવા મળે છે. બાળક તોફાન કરે કે કોઇ ફરિયાદ લઇને આવે ત્યારે મા બાપનું ધ્યાન જાય છે. બકી બધુ રામ ભરોસે ચાલતુ હોય તેવુ લાગે છે.

ક્યાંક પત્નિ વગર પગારનો ઢસરડો કરતી કામવારી જેવા વેષમા દેખાય છે તો ક્યાંક માત્ર 'બોસ' સાહેબ ના રૂપ માં દેખાય છે. જીવનધોરણ ઉંચું થતું દેખાય છે અને ઘર ભાંગી પડેલુ દેખાય છે. 'પ્રૂથ્વિ નો છેડો ઘર' એ વાત જાણે કે ખોટી પડતી લાગે છે. તો કેટલીવાર નિત્ય પ્રવાસી ના રાતવાસી જેવુ બની જાય છે. અન્ન ગિરોરોવીસ દોસ્તોવસ્કિએ પતિ ના ઘર ને તથા તેની બહારની દુનિયાના બંને મોરચા સંભાળ્યા - એટલુજ નહીએ પણ પોતાના જીવનને એક પ્રેમ -રોમાંચક કથા બનાવવાની ધુનમાં જે કોઇ સંબંધો યુવતિઓ સાથે બાંધ્યા તે બધા સંબંધો અન્નાએ પતિને છોડાવ્યા. તે બધી સ્ત્રીઓ સાથે ખરેખર શી સગાઇ છે તેનુ ભાન તેમને કરાવ્યું . પુરી સહનશીલતાથી, પુરા ધૈર્યથી, પતિને ઠપકો ના આપ્યો - તેને કદી તરછોડ્યો નહી બધા તબક્કા વચ્ચે ભીંસાતા બિમાર પતિને ટેકો આપ્યો - એક આધાર આપ્યો. મોટા ટોણા માર્યા વગર પતિને ભાન કરાવ્યુ કે આ સંબંધોમાં સ્વાર્થ સીવાય કશું નથી. એ સંબંધો છીછરા અને કામચલાઉ છે.બધી વ્યક્તિઓ કોઇ આધાર શોધી રહી છે. એ બદલામાં કશું આપી શક્તી નથી અને આપી શકે તેમજ નથી.

દોસ્તોવસ્કિને વાઇ ની બિમારી હતી. એ રોગ 'એપોલેપ્સીમા' તમ્મર આવતા. મોમાં થી ફીણ નિકળે અને શમી જાય પછી નિર્બળ બની પથારીવશ રહેતા. અન્ના ના સ્નેહ અને સમર્પણથી દોસ્તોવ્સ્કિની તબિયાત પ્રમાણમાં સારી બની અને આ લાગણીપ્રધાન લેખક પર બહારથી આવેલા હુમલાઓની સામે તે રક્ષા કવચ બની હી.

એવોજ એક કિસ્સો એલિઝાબેથ બ્રાઉનીંગનો છે.એલિઝાબેથ પતિ કરતા એક વધુ શક્તિશાળી કવિ હતા. તેની કવિતાની તુલનામાં રોબર્ટ બ્રાઉનીંગ ની કવિતા થોડા ઉતરતા સ્તરની લાગે પણ એલિઝાબેથ અપંગ - બંને પગ જાણે ખોટા પડી ગયા હતા. પથારીમાં પડી રહેતી અને ઉઠવાની શક્તિ નહતી અને ઉભા થવાનુ મન થતુ નહી.રોબર્ટ બ્રાઉનીંગ તેની જિંદગીમાં આવ્યો અને પોતાન પ્રેમ અને વફાદારી વડે તેને ઉભી કરી. વિમ્પોલસ્ટ્રીટમાં તેનુ નિવાસસ્થાન હતુ અને તેના પિતા ખુબજ શક્તિશાળી અને કડક હતા. પુત્રી પર ખુબજ અંકુશ. ચાલી નહી શક્તી પ્રેયસીને પથારીમાંથી બેઠી કરી રોબર્ટ બ્રાઉનીંગ અને એલિઝાબેથ નાસી ગયા. પ્રેમ પંખીડા ઉડી ગયા અને લગ્ન કરી સુખી બન્યા.

આપણે ત્યાં આ પ્રકારના કિસ્સા ઓછા નથી. ભલે સ્ત્રી પુરુષ ના નામો જાણીતા ના હોય પણ ક્યાંક પતિએ તો ક્યાઅ પત્નીએ જીવનસાથીના જીવનમાં રસરંગ અને પ્રાણ પુર્યા હોય. હીંદીના મહાન લેખક પ્રેમચંદજી દેવાદાર અને શરાબી. તેમની પત્ની શીવરાનીદેવીએ ક્યારેક માતાની કઠોરતાથ તો ક્યારેક પ્રયસીના ધૈર્ય થી અને ક્યારેક પત્નિ ના વ્યહ્વારૂ બુદ્ધી થી તેમનુ જીવન બદલી નાંખ્યુ. જાણીતા શાયર મિર્ઝા ગાલીબની પત્નિનો સાથ અને સહારો કેટલો બધો હતો? ગાલીબે અનેક દિલ્ચસ્પ ગઝલો લખી છે - તેમની પ્રેમાળ - સહનશીલ પત્ની એક ખુદ તેમના માટે ગઝલ હતી. તેના સાથ વગર ગાલીબની ગઝલો મુરઝાઇ જાત - ગાલીબની પ્રતિભાને ઓછી આંકવાની વાત નથી - પ્રતિભા પણ કોઇ જીવનદાયક તુલસીક્યારામાં જ પુર્ણ કળાએ ખીલે છે તે હકિકત છે અને અહી સ્વિકાર કરવામાં આવે છી.

___________________

ભાઇનો આ ખુબ જુનો લેખ છે જે આજે પણ હકિકતને દર્શાવ છે. કહે છે 'અનુભવી આંખ'- ભાઇ પણ ભાનુબેન ના સાથ અને સહકારથી, તેમના ઘણા ધૈર્ય અને યોગદાન,ત્યાગથી જીવન તરી ગય.....


ખરેખર. માતા પિતા સંસારને સુંદર બનવવા આગળ વધી રહ્યા છે. ઘણી વખત દોડાદોડીમાં અને કમાવવાની ઉત્સુકતા અને મોંઘવારીમા પુરુ પાડવામા, સારુ ખાવાનુ, પહેરવાનુ, હરવા ફરવાનું અને કમ્ફર્ટ મેળવવામાં ઘણું ગુમાવી પણ દેવાય છે. તમારા પ્રતિભાવ આવ્કાર્ય છે - કોમેન્ટ બોક્ષમાં જણાવો. ગુજરતી લખવામાં કોઇ ભુલ ચુક હોય તો માફ કરશો - ઉનિકોડમ આ લેખ ટાઇપ કર્યો છે જે ગુગલ બ્લોગર સર્વિસને આભારી છે.

Thursday, January 20, 2011

કાર્લ માર્ક્સ

કાર્લ માર્ક્સ
-ભુપતભાઇ વડોદરિયા

સામ્યવાદી ક્રાંતિની ગીતા કે બાઈબલ ગણાતા પુસ્તક ‘દાસ કેપિટલ’નો પ્રથમ ખંડ કાર્લ માર્ક્સે ઈ.સ. ૧૮૬૫ના ડિસેમ્બર માસની આખરમાં તૈયાર કર્યો હતો ત્યારે કાર્લ માર્ક્સની ઉંમર ૪૭ વર્ષની હતી. લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમમાં ભાગ્યે જ કોઈ માણસે વાંચનઅધ્યયનમાં આટલી એકાગ્રતાથી તપ કર્યું હશે. કાર્લ માર્ક્સને દાળરોટીની ચિંતા, મકાનના ભાડાની ચિંતા અને છતાં તેનો નિશ્ચય અડગ. તેની આંખની પીડા, માથાનો દુખાવો, આખા શરીરે ફોલ્લા, પેટમાં દર્દ, ગળામાં દર્દતેની નાનીમોટી બીમારીઓની વિગતો વાંચીએ ત્યારે તાજુબી થાય કે આટઆટલી પીડા વચ્ચે આ માણસ જીવ્યો તે તો સમજ્યા, પણ એ આટલું કામ કઈ રીતે કરી શક્યો તે સમજવું મુશ્કેલ પડે તેવું છે. કાર્લ માર્ક્સ એના વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ પર તૂટી પડતો પણ પતિ તરીકે અને ત્રણ પુત્રીઓના પિતા તરીકે તે અત્યંત પ્રેમાળ હતો. તેણે હિંસક ક્રાંતિની હિમાયત કરી પણ એનું પોતાનું જીવન નિરુપદ્રવી ભદ્રસમાજની કોઈ પણ વ્યક્તિના જીવન જેવું જ હતું. તેનાં કોઈ સ્વપ્નો સિદ્ધ થતાં તેણે તેની સગી આંખે જોયાં નહીં પણ તેના મૃત્યુ પછી પાંત્રીસ વર્ષમાં જ રશિયામાં ૧૯૧૭માં ક્રાંતિ થઈ અને એક્સો વર્ષમાં તો તેના નામે દુનિયાના ઘણા બધા મુલકોમાં રાજપલટા થયા.

સંસારમાં બહુ થોડા પુરુષોને માર્ક્સની પત્ની જેની જેવી પત્ની મળી હશે. બહુ થોડા પુરુષોને ફ્રેડરિક એંજલ્સ જેવો મિત્ર મળ્યો હશે. બહુ થોડા માણસોને માર્ક્સ જેવાં બુદ્ધિતેજ અને વેધક દ્રષ્ટિ પ્રાપ્ત થયાં હશે. બીજી બાજુ ગરીબી, માંદગી અને તરેહતરેહની કમનસીબીઓ તેના પલ્લે પડી હતી. આપણા જવાહરલાલ નહેરુની જેમ કાર્લ માર્ક્સને પ્લુરસીના રોગે ખૂબ તંગ કર્યા હતા. માર્ક્સનાં ફેફસાંમાં ગાંઠ જામી ગઈ હતી અને તેમાંથી લોહી પડવા માંડ્યું હતું. મૃત્યુનું તાત્કાલિક કારણ કદાચ એ હતું કે બે જ મહિના પહેલાં માર્ક્સની પ્યારી પુત્રી કેન્સરથી મૃત્યુ પામી હતી અને તેનો જબરો આઘાત તેને લાગ્યો હતો. સવા વર્ષ પહેલાં માર્ક્સની પત્ની ખૂબસૂરત જેની પણ કેન્સરથી મૃત્યુ પામી હતી ત્યારે કાર્લ માર્ક્સ એટલો બધો માંદો પડી ગયો હતો કે જેનીની સ્મશાનયાત્રામાં સામેલ થઈ શક્યો નહોતો. જેની અને કાર્લ માર્ક્સે પ્રેમલગ્ન કર્યાં હતાં. જેની કાર્લ માર્ક્સથી ચાર વર્ષ મોટી હતી. કાર્લ માર્ક્સ એમનાં માતાપિતાનાં આઠ સંતાનોમાં એક હતા. તેમના પિતા માનતા કે કાર્લમાં કોઈક ‘દાનવ’ વસે છે અને પુત્રના ભવિષ્યની ચિંતા તેમનું કાળજું કોરતી હતી. પિતાનો અંદાજ સાચો હતો. કાર્લ માર્ક્સમાં કોઈ રુદ્રશક્તિ વિરાજતી હતી. કાર્લ માર્ક્સ જ્યાં જાય ત્યાં કંઈ ને કંઈ હલચલ ઊભી કરે એટલે પછી તેની હકાલપટ્ટી થાય એટલે તે કોઈ બીજા શહેરમાં જઈ વસે. કાર્લ માર્ક્સે દૈનિક અખબાર પણ કાઢ્યું હતુંએક વર્ષ ચલાવી શકાયું.એંજલ્સ પોતાના મિત્ર કાર્લ માર્ક્સની શક્તિ અને સ્થિતિ પિછાની ગયો હતો એટલે ઈ.સ. ૧૮૫૦માં એંજલ્સ માન્ચેસ્ટર રહેવા ગયો. પિતાના ધંધામાં પડ્યો. એ નાણાં કમાવા માગતો હતો, કારણ કે તે કાર્લ માર્ક્સને નાણાકીય મદદ કરવા માગતો હતો. અંત સુધી એંજલ્સે માર્ક્સને ટકાવી રાખ્યો અને માર્ક્સના મૃત્યુ પછી એંજલ્સે માર્ક્સની પુત્રીઓને પોતાની મિલકતમાંથી ભાગ આપ્યો. કાર્લ માર્ક્સ વિદ્યાર્થી કાળથી ધૂમ્રપાન કરતા હતા. આખી રાત જાગીને વાંચનલેખન કરે અને એમાં સિગારેટનો સહારો લે. પાછળનાં વર્ષોમાં કાર્લ માર્ક્સ કહેતા કે ‘દાસ કેપિટલ’ ગ્રંથમાંથી એટલી કમાણી પણ થઈ નથી કે એ લખવા માટે પીધેલી સિગારેટનો ખર્ચ પણ નીકળે! લંડનમાં બે ઓરડીનું નાનકડું ઘર (ભાડાનું), ફર્નિચરમાં ખાસ કશું નહીં. એક પણ ખુરશી કે ટેબલ સાજું નહીંબધું જ ભાંગેલું, તૂટેલું અને ભંગાર. કોલસાનો ધુમાડો અને સિગારેટનો ધુમાડો!

દરિદ્રતાનો આ દરબાર! પણ અહીં જ માર્ક્સના હાસ્યના અને કટાક્ષના પડઘા ઊઠતા અને અહીં જ ક્રાંતિકારી પરિવર્તનના ખ્યાલોના પડછંદા ગાજી ઊઠતા! કાર્લ માર્ક્સની છાતી ઉપર જિંદગી જાણે ચઢી બેઠી હતી! પણ જલદી હાર કબૂલે એવો આ માણસ નહોતો. એનો દમ ઘૂંટતી જિંદગી એની છાતી ઉપરથી ઊતરી ત્યારે જાતે જ શરમાઈને જાણે બદલાઈ ગઈ હતી - માર્ક્સ માટે નહીં પણ દુનિયાના લાખો લોકો માટે!

Friday, July 16, 2010

દરેક માણસમાં કુદરતે જીવનશક્તિનીમનોબળની અનામત ટાંકી મૂકેલી છે.

મનોબળ
- ભુપતભાઇ વડોદરિયા


મો ટા ચમરબંધીની શેહમાં પણ નહીં આવતો એક અડીખમ માણસ બિછાનામાં અસહાય બનીને પડ્યો છે. જીભનું કેન્સર છે. પાકેલા ટામેટા જેવી જીભ પ્રવાહી કે બીજું કશું પેટમાં જવા દેતી નથી. કેન્સરના નિષ્ણાત તબીબો મસલતો કરે છે, શસ્ત્રક્રિયાનો તખ્તો તૈયાર કરે છે. આપ્તજનો આંસુ સારે છે. એ માણસની આંખમાં પણ આંસુ જ હોવાં જોઈતાં હતાં, પણ એ આંસુ આઘાતની લાગણીથી થીજી ગયાં છે. માણસ ધનિક છે, પણ અત્યારે તગડા બેન્ક બેલેન્સના જોરે તે કોઈને આંકડો ભર્યા વગરનો કોરો ચેક આપે તોય બદલામાં કોઈ તેની પીડા લઈ શકે તેમ નથી, કોઈ તેનો રોગ લઈ શકે તેમ નથી. આવરદાના ઝંખવાઈ રહેલા કોડિયામાં કોઈ નવી વાટ કે નવું દિવેલ મૂકી શકે તેમ નથી.

રોગ કે માંદગીનો ભોગ બનેલા માણસને પહેલી જ વાર ‘પહેલું સુખ તે જાતે નીરોગી’નો મર્મ સમજાય છે. પણ રોગથી બચી જવું તે માણસના હાથની વાત નથી. મોતની જેમ રોગ પણ એક ગૂઢ હસ્તી છે. દાક્તરો તેનો પાર પામવા જરૂર મથે છે, રોગોની સામે ટક્કર પણ લે છે. પણ સદ્ભાગી કે દુર્ભાગી મનુષ્યના પલ્લામાં આ કે તે રોગ શા માટે આવે છે તેનો ભેદ કોઈ સમજાવી શકતું નથી. કોઈ કહે છે કે આ તો પૂર્વજન્મનાં પાપ, કોઈ કહેશે કે માણસ અહીં જે કરે છે તેનાં ફળ અહીં જ ભોગવે છે. ઉપર કોઈ અલગ સ્વર્ગ નથી. સ્વર્ગ અને નરક આ સંસારમાં જ છે અને આ જિંદગીમાં જ તે જોવાનાં છે. વાત પૂર્વજન્મની હોય કે આ જન્મની. શ્રીમદ્ રાજચંદ્ર જેવાને કેન્સરનો રોગ આવે તે માની શકાતું નથી. જેના આ અવતારમાં ધાર્મિકતા તેની પૂર્ણ કળાએ વિકસી હોય, આટલી જુવાન વયમાં જેણે આટલી સિદ્ધિ મેળવી હોય તેનો આગલો જન્મ શું સાવ ધર્મવંચિત હોઈ શકે? માની શકાતું નથી અને છતાં સાચું છે કે રોગ ધર્માત્માઓને પણ છેડતો નથી. ગરીબ કે તવંગર, પાપી કે પુણ્યશાળી, બાળક કે જુવાન કોઈને તે છોડતો નથી. કોઈ કહે છે કે દાક્તરો વધ્યા તેમ રોગ પણ વધ્યા.

જૂના જમાનામાં આટલા બધા રોગ ક્યાં હતા? આજે તો જાતજાતના રોગ ફાટી નીકળ્યા છે. સંભવ છે કે જૂના જમાનામાં પણ આજના જેવા જ રોગો હશે, પણ તેનું નિદાન થતું નહીં હોય. સવાલ થાય કે રોગ સામે માનવી આટલો લાચાર હોય તો શું એણે સતત ફફડાટથી જીવવું? શંકાશીલ બનીને જીવવું? મોંમાં ચાંદાં પડે એટલે કેન્સરનો ભય પામીને દાક્તર પાસે દોડવું? એક ગૂમડંુ ન મટે એટલે, ડાયાબિટીસ છે તેવો વહેમ કરીને કોઈ નિષ્ણાતની ફી ખરચવી? વાંસામાં દુખાવો થાય કે તરત હૃદયરોગના આવી રહેલા હુમલાનો ભય માનીને કાર્ડિયોગ્રામ કરાવવા દોડવું? માણસે વાજબી સંભાળ અને તકેદારી રાખવી જોઈએ તથા વખતસરના ઉપચારો કરવા જોઈએ. પણ રોગની ભડક સેવવાથી માણસનું જીવન અકારણ પીડાકારક બની જાય છે. માણસ માત્ર દાક્તર કે દવાની મદદથી રોગનો મુકાબલો કરી શકતો નથી. જરૂર પડે ત્યાં દાક્તરનો સાથ માગો કે દવા લો, પણ રોગની સામે તમારી જીવનશક્તિને પણ બરાબર કામે લગાડો. માણસની ઇચ્છાશક્તિ, અડગ મનોબળ પોતે જ એક દવા છે. આ હકીકત છે. દાક્તરોએ ‘હોપલેસ’ કહીને છોડી દીધેલા કેસોમાં માણસો અદમ્ય મનોબળથી બેઠા થયાના કિસ્સા જોયા છે. ગંભીર રોગ હોય, પીડાનો વીંછી ઘડી વાર જંપતો ન હોય ત્યારે ઈશ્વરને અને મનોબળને કામે લગાડો. તેની તાકાત કેટલી મોટી છે તેનું ભાન થયા વગર નહીં રહે.

દરેક માણસમાં કુદરતે જીવનશક્તિનીમનોબળની અનામત ટાંકી મૂકેલી છે. તેને કામે લગાડો. કેટલાક રોગ એવા હોય છે કે માણસને પથારીવશ થવું પડે. શરીરને ભલે પથારીમાં રાખો, પણ મનને પથારીમાં રાખવું નહીં. તે રોગથી હારીને સૂઈ ન જાય તે ખાસ જોવાનું છે. જેઓ મનથી રોગના શરણે જાય છે તેમની હાર નિશ્ચિત છે. જેઓ મનને અડગ રાખે છે, રોગની શરણાગતિ સ્વીકારતા નથી અને રોગને મારી હઠાવવાની પ્રતિજ્ઞા અકબંધ રાખે છે તે વહેલામોડા જીતી જાય છે. કોઈ કિસ્સામાં છેવટે જીત ન પણ થાય, તોય શું? રોગને તાબે થઈને લાચારીથી મોતને આધીન થવું અને બહાદુરીથી લડતાં લડતાં મોતને ભેટવું એમાં મોટો ફરક છે.

- Restarting the column after a long gap, gives me joy to present once again my choice picks articles of Bhupatbhai Vadodaria. Dada often says now, 'Do I know you' but talking of his old good days, his eyes twinkle as he remembers all the columnists he loved most. He helds some of the books close to his heart - picks up, arranges the books and place beside his bed. Reminds me of his words 'દરેક માણસમાં કુદરતે જીવનશક્તિનીમનોબળની અનામત ટાંકી મૂકેલી છે.'

Saturday, March 13, 2010

આંખમાં અમી તો દુનિયા ગમી: Thoughts to Ponder

A friend sent me this email forward and I thought of sharing these thoughts to ponder upon:



* હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.

* જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.

* પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.

* નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.

* શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.

* બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?

* આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.

* એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.

* જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.

* પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.

I could not blog Bhai's articles lately - no excuses but busy schedules and moreover, my anti virus removes the fonts from my computer again and again! I will have to sort for online Gujarati writing board I guess!

Btw, Freesouls and now Kidsfreesouls - There is lot more on this rolling down since years...
Keep in tuned.

- ilaxi

Monday, September 07, 2009

ધનની માયા

ધનની માયા
- ભુપતભાઇ વડોદરિયા

તાજેતરમાઁ જ નોકરીમાઁથી નિવૂત થયેલા એક સ્નેહીએ પૂછ્યુઁ, “તમને નથી લાગતુઁ કે આજકાલ યુવાનો સમક્ષ બીજો કોઇ આદર્શ જ નથી - એકજ આદર્શ કે આકાઁક્ષાથી એ દોર્વાય છે અને તે એ કે કોઇ પણ રીતે શ્રીમઁત થવુઁ ! યુવાનો પૈસાને જ આટલુઁ બધઁ મહત્વ કેમ આપે છે તે મને સમજાતુઁ નથી!”

સ્નેહીની વાતમાઁ જરૂર તથ્ય છે પણ તેને માટે યુવાનોને દોષ દેવો નકામો છે. યુવાનો સગી આઁખે જુવે છે કે અત્યારે દરેક માણસને સારા માણસ બનવામાઁ બહુ રસ નથી, પણ સફળ માણસ થવામાઁ વધુ રસ છે અને સફળ થવુઁ એટલે પૈસાદાર થવુઁ એવી સમજ એમણે કેળવી છે. તેઓ જોવે છે કે અત્યારે કોઇપણ પ્રશ્નમાઁ માણસ નૈતિકતાના દ્રષ્ટિકોણને તદન ગૌણ સમજે છે. એનુઁ કારણ પણ સ્પષ્ટ છે. પૈસાની બાબતમાઁ હવે ચોખ્ખો રૂપિયો અને મેલો રૂપિયો એવો કોઇ ભેદ રહ્યો જ નથી. આ પરસેવાની કામાણીનો રૂપિયો અને આ હાથચાલાકીનો રૂપિયો એવો કોઇ ભેદ રહ્યો નથી. સોનાને વળી કાટ કેવો? રૂપિયાને વાળી ડાઘ કેવો? પૈસા એટલે પૈસા! અત્યારે આપણને પૈસાનીજ બોલબાલા નજરે પડે છે. અત્યારે જ આવુઁ છે તેમ માનવુઁ પણ ખોટુઁ છે. અગાઉ પણ વધતા ઓછા પ્રમાણમાઁ પૈસાનુઁ પ્રભુત્વ તમામ સામજોમાઁ રહેતુઁ, તે એક નકારી ન શકાય તેવી હકીકત છે.

પૈસાથી શુઁ નથી મળતુઁ? બધુઁ જ પૈસાથી ખરીદાય છે તે યુવાનો સગી આઁખે જુએ છે. પછી તેમને પૈસાના અસાધારણ ચમત્કારમાઁ શ્રદ્ધા બેસી જાય તેની નવાઇ શુઁ આમાઁ યુવનોને દોષ દેવો નકામો છે અને આ કે તે માણસ સામે આઁગળી ચીઁધવાનો પણ કોઇ અર્થ નથી. આખી પદ્ધતિમાઁ જ એવુઁ કઁઇક છે કે આ વિષચક્રમાઁથી જેઓ બચી જવા મથે છે તેઓ તેમાઁથી બચી ગયા પછી સઁતોષની સાચી લાગણી અનુભવી શકતા નથી. એક સરકારી કર્મચારી લાઁબી નોકરીના અઁતે નિવૂત થયા. કદી તેમણે હોદા પર હતા ત્યારે કોઇની એક પાઇ પણ લીધી નહોતી. હોદા પર હતા ત્યારે તેમણે તેમના ખાતા સાથે જેમને કામ પડ્તુઁ હતુઁ તે હઁમેશા કઁઇ ને કઁઇ મદદ કરવા હાથ લઁબાવતા, પણ સરકારી કર્મચારી વિનયપૂર્વક તેનો ઇન્કાર જ કરતા. નિવૂત થયા પછી તેમના કુટુઁબમાઁ ગઁભીર માઁદગી અવી પડી. પચાસ હજાર રૂપિયા જેવો ખર્ચ પુત્રના ઓપરેશન અને દવા સારવારમાઁ થાય તેમ હતો. આ ભાઇએ કશુઁ વધારાનુઁ ધન તો મેળવ્યુઁજ નહોતુઁ. એટલે એમને માટે આવો બઁદોબસ્ત કરવાનુઁ મુશ્કેલ હતુઁ.

તેમણે જેમની પાસે પૈસા ઉછીના માગ્યા તેમણે કહ્યુઁ કે તમને જ્યારે પૈસા મળી શકે તેમ હતા ત્યારે તો લીધા નહી. હવે તમને કોણ આપે? આવુઁ કહેનાર ભાઇ જ અગાઉ કહેલુઁ કે આપણો સઁબઁધ હૈયાનો સઁબઁધ છે. - હોદ્દાનો સઁબઁધ નથી. પણ અત્યારે હવે એજ કહી રહ્યા હતા તેનો અર્થ એટલો જ હતો કે હોદ્દાના અઁતની સાથે હૈયાના સઁબઁધનો પણ અઁત આવી ગયો હતો!

નિવૂત સરકારી કર્મચારીએ પછી પોતાના પુત્રની શસ્ત્રક્રિયા તથા દવા સારવાર માટે પૈસાની વ્યવસ્થા તો કરી જ, પણ તેમના મનમાઁ વારઁવાર એવો પ્રશ્ન ઊઠ્યા કરતો - પોતે આખી જિઁદગી ચોખ્ખા હાથ રાખ્યા હતા, તેમ કરીને પોતે સારુઁ કર્યુ હતુઁ? પોતે હઁમેશા સ્વચ્છ રહ્યા તે જ સારુઁ અને સાચુઁ હતુઁ? જમણે એથી ઊલટો વહેવાર કર્યો એમની સ્થિતિ આવી કટોકટીના પ્રસઁગોમાઁ વધુ સુગમતાભરી જ જોવા મળી અને એમને કશી શિક્ષા માણસે કે કુદરતે કરી જ નથી! માણસેકે ભગવાને પોતાની પ્રામાણિકતાની કોઇ કદર કરી હોય તેમ દેખાતુઁ નથી! ટૂઁકમાઁ એ ભાઇ પોતે જ એક શઁકામાઁ ઘેરાઇ ગયા. પછી આમાઁ માણસો હ્રદયનુઁ કઁઇક સમાધાન શોધે છે તેમ તેમણે પણ શોધ્યુઁ. પણ પ્રશ્ન તેમનો એકલાનો નહોતો. દરેક માણસને આવો પ્રશ્ન થાય છે.
એ વાત સાચી છે કે સદગુણ અને સત્કર્મ એ પોતે જ તેનો એક અમુલ્ય બદલો છે અને તેના માટે બીજા કોઇ પણ બદલા કે ઇનામની આશા રાખવી જ નહીઁ જોઇએ. પણ આ સાચુઁ હોવા છતાઁ માણસ તો આખરે માણસ જ છે અને તેથી તેના મૂલ્યાઁકનના ત્રાજવા પ એની જિઁદગીના પ્રસઁગોના પ્રતિકુળ પવનના સપાટાઓની અસર થયા વગર રહેતી નથી.

માણસ જો શાઁતિથી વિચાર કરે તો તેને ભાન થયા વગર રહે નથીઁ કે પૈસાથી સુખ કે શાઁતિ મળે શકતાઁ નથી. તેનાથી કોઇ સાચી સફળતા મળવાનો ખ્યાલ પણ ખોટો છે. દુનિયાની નજરે આપ્ણે આ બધી બાબતોને જ્યારે જોઇએ ત્યારે આપણને એક આભાસ થાય છે, એક દષ્ટિભ્રમ થાય છે. આ દુનિયામાઁ તદ્દન ગરીબ ફકીર જેવો માણસો તેમની આત્મજ્યોતને લીધે યાદગાર બન્યા છે. શ્રીમઁતોને પોતાનુઁ નામ નોઁધાવવા માટે ગઁજાવર દાન કરવાઁ પડે છે અને પથ્થરની તક્તીમાઁ નામ કોતરાવવાઁ પડે છે. એથી ઊલટુઁ ઇશ્વરના બઁદાઓના, દરિદ્રનારયાણના સેવકોના અને શુદ્ધ સર્જકતાના ઉપાસકોનાઁ નામ માણસના હ્યદયમાઁ અને અખઁડ સ્મૂતિમાઁ કોતરાયાઁ છે.

Monday, July 06, 2009

જીવનસફરમાઁ સ્વાર્થને કોઇજ સ્થાન નથી

જીવનસફરમાઁ સ્વાર્થને કોઇજ સ્થાન નથી
- ભુપતભાઇ વડોદરિયા


એક માણસ ફરિયાદ કરે છે: હુઁ તદ્દન એકલો પડી ગયો છુઁ. જાણે કોઇની સાથે કઁઇ સઁબઁધજ રહ્યો નથી. કોઇને કહુઁ તો નવાઇ લાગે, પણ પત્નીએ પણ મને લગભગ છોડી દીધો છે. એકજ બઁગલામાઁ અમે સાથે રહીએ છીએ અને એકજ ડાઇનિઁગ ટેબલ પર સાથે જ જમીએ છીએ પણ એ બાદ્ કરતાઁ અમારી વચ્ચે જાણે કશી નિકટતા રહી નથી. અમારો સઁબઁધ ‘દુરથી સલામ’ નો જ બાકી રહ્યો છે. પત્નીએ પતિ છોડી દીધો છે અને ઇશ્વ્રરની પાછળ પડી છે! જે કોઇ મઁડળી જાત્રાએ જતી હોય તેમાઁ અમારાઁ શ્રીમતી સામેલ થઇ જવાનાઁ! જાણે એ ઘરથી દૂર જ ભાગવા માગે છે. પુખ્તવયના સઁતાન એક પછી એક દૂર ચાલ્યાઁ ગયાઁ! કોઇ ધઁધા માટે, કોઇ નોકરી માટે. કોઇ કોઇ વાર ઢળતી સાઁજે વિચાર આવે છે કે, હુઁ તો ખબર ન પડી તેમ સાવ એકલો પડી ગયો. એક સમય એવો હતો કે હુઁ ધઁધામાઁ અને ધન કમાવામાઁ એટલો મશગૂલ હતો કે મને કોઇના માટે કશો જ સમય નહોતો. આજે મને પુષ્કળ સમય છે ત્યારે પત્ની, સઁતાનો, સગાઁસઁબઁધી, મિત્રો કોઇને મારા માટે સમયજ નથી.

તાજેતરમાઁ એક એવી ઘટના બની કે તેનો વિચાર કરુઁ છુઁ ત્યારે હસ્વુઁ કે રડવુઁ તે જ નક્કી કરી શકતો નથી. એક દૂરનો ભાણેજ. એને માટે મને કઁઇક લાગણી હતી. તાજેતરમાઁ એકલતાની મારી લાગણી એટલી તીવ્ર બની કે મને કલાક-બે કલાક એ ભાણેજ સાથે ગાળવાનુઁ મન થયુઁ. હુઁ એને ઘરે ગયો તો મળ્યો નહી. એની ઓફિસે ગયો તો ક્યાઁક બહાર ગયો હતો. હુઁ હવે તો તેને મળવા તલપાપડ બન્યો, પણ હુઁ તેને શોધવા ફરુઁ અને એ મને મળે જ નહિ, જાણે મારાથી દૂર ભાગે. એક દિવસ મેઁ એની પત્નીને પુછ્યુઁ :”હુઁ એને મળવા માટે વારઁવાર ધક્કા ખાઉઁ છુઁ અને એ મને મોઁ દેખાડતોજ નથી. એને મારો સઁદેશો તમે આપ્યો હતો કે નહોતો આપ્યો? હુઁ આટલી બધી વાર ધક્કા ખાઇ ગયો તો એક વાર તો મારે ઘેર આવીને મને મળી ગયો હોત! મને સમજાતુઁ નથી કે એ કેમ મોઁ છુપાવે છે? ભાણેજની પત્નીએ કઁઇક સઁકોચ સાથે કહુયુઁ : મામા, એવુઁ નથી, પણ વર્ષો પહેલાઁ તમે તેમને રકમ આપેલી તેની ગોઠવણ તે કરી શક્યા નથી. તેમણે કહ્યુઁ છે કે એ રકમની વ્યવસ્થા એ કરીજ રહ્યા છે. જેવી રકમ તેમના હાથમાઁ આવશે કે તરત તમને મળશે.

મારે માથુઁ કૂટવુઁ કે શુઁ કરવુઁ? એ વાતને વર્ષો વીતી ગયાઁ હતા. માર એ દુરના ભાણેજને મેઁ એક સમયે કોઇ રકમ આપ્યાની વાત પણ હુઁ ભુલી ગયો હતો અને અત્યારે હુઁ મારા ભાણેજને શોધતો હતો તે તો માત્ર તેની સોબત માટે તેને શોધતો હતો. હુઁ કાઁઇ જુની રકમની વસુલાત માટે તેની પાછળ પડ્યો નહોતો. મૂળ વાત તો એની એજ છે, જે મને મુઁઝવે છે. હુઁ સાવ એકલો પડી ગયો છુઁ. આ એકલતાના અઁધારા કૂવામાઁથી મને કોઇ બહાર કાઢે. આવી પીડા અનુભવી રહેલા અને એકલા પડી ગયાની ફરિયાદ કરનારા માણસ જો પોતાની અઁદર જ ડોકિયુઁ કરે તો તેને ભાન થયા વગર રહે નહી કે પોતાની આવી હાલતનુઁ અસલ કારણ તો એ જ છે કે પોતે મોટા ભાગની જિઁદગી એક કોચલામાઁ જ જીવ્યા છે. તે કદી પોતાની બહાર નીકળ્યા જ નથી. એ પોતાનામાઁ અને પોતાના વેપાર-ધઁધા કે વ્યવસાયમાઁ જ ગળાડુબ રહ્યા છે. તેમણે કદી બીજા કોઇ માણસમાઁ રસ જ લીધો જ નથી. તેમણે દરેક માણસને પોતાની જીવન-શતરઁજના એક નાના કે મોટા પ્યાદારૂપે જ જોયા છે. સ્વહિતની, સ્વાર્થની રમત હવે પોતે બઁધ કરી છે અને હવે તેઓ ખરેખર ખેલદિલીના મેદાનમાઁ માત્ર જીવનના આનઁદ માટે જ રમવા બહાર પડ્યા છે, પણ તેમાઁ ભાગ લેવા કોઇ આવતુઁ નથી. માણસ ખરેખર જીવનનો રસ અઁત સુધી જીવઁત રાખવા માગતો હોય તો તેણે પોતાની જાતમાઁ જ ગળાડુબ રહેવાને બદલે બહાર નીકળીને જીવવુઁ પડે છે. બીજા માણસોમાઁ રસ લેવો પડે છે અને બીજા માણસોના જીવનમાઁ સામેલ થવુઁ પડે છે. પોતાન જ કોચલામાઁ ‘સલામતીપુર્વક’ જીવવા માગનારનો વહેવાર એવો હોય છે કે હુઁ જેને જેને બોલાવુઁ તે બાધાઁએ મારા ત્યાઁ સારા-માઠા પ્રસઁગે અચૂક હારજ થૈ જવુઁ જોઇએ. બાકી હુઁ કોઇને ઘેર સારા કે માઠા પ્રસઁગે ન પણ જાઉઁ. મારી પાસે એટલો સમજ જ નથી. તમારી પાસે સમય નથી અને તમે બીજાને મુદલ સમય આપી શકો તેમ નથી તો બીજુઁ કોઇ પણ તમને શુઁ કામ સમય આપે? સુખી માણસોએ કોઇ ને કોઇ પ્રસઁગે સગાઁસઁબઁધીકે મિત્રોને બસો પાઁચસો રૂપિયાની મદદ કરી હોય તો એમ માને છે કે તે માણસ આપણા તાબામાઁ આવી ગયો. સુખી માણસ પુછે છે, “એલા, અમે તને પૈસા આપીએ અને તુઁ અમને સમય પણ આપી ન શકે?” પણ પેલા માણસ મોઢેથી નહી તો પણ મનોમન એવો જવાબ આપે છે કે તમે જે પૈસા આપ્યા તે તમને પાછા આપી દઇશુઁ. તમે અમને કઁઇ સમય આપ્યો નથી એટલે અમે સમય આપીએ એવી આશા-અપેક્ષા કરો તે વાજબી નહી!
________________________________

મને એવુઁ લાગે છે કે ભાઇએ લખ્યુઁ છે એમ, “તે કદી પોતાની બહાર નીકળ્યા જ નથી. એ પોતાનામાઁ અને પોતાના વેપાર-ધઁધા કે વ્યવસાયમાઁ જ ગળાડુબ રહ્યા છે. તેમણે કદી બીજા કોઇ માણસમાઁ રસ જ લીધો જ નથી.” અને આવુઁ દરેક માનવી ના સારા વર્ષોમાઁ બનતુઁ હોય છે અને આખરે ધઁધો ધીરો પડે કે ઉઁમર થાય છે અને તેને લોકોની ખોટ સાલે છે અને એ ઘરના સભ્ય પોતાના કામમાઁ મશ્ગુલ બને છે અને સમય ફાળવી શકતા નથી. આથીજ માણસને એકલવાયુ લાગતુ હોય છે. આથીજ આપણે સમજવાનુ છે, મુજ વીતી તુજ વીતશે અને સમય કાઢી જ્યારે પણ શક્ય બને, ઘરના માણસો સાથે, વડિલની સાથે બે શબ્દ વાત કરવી, તેમને શુઁ કહેવુઁ છે સાઁભળવુ અને બને તો તેમની સાથે તમારી વાત શેર કરો. તેમને એકલવાયુઁ નહી લાગે. ઘાણાઁ લોકો એટલા કામમાઁ ડુબેલા રહે છે કે પતિ-પત્ની એકબીજા સાથે વાત પણ કરવાનો સમય નથી કે બાળકો સાથે પણ સમય પસાર નથી કરતા. એક સાથે થોડી પલ વિતાવવી જરુરી છે.

Monday, February 09, 2009

અને આને કહેવાય વાયબ્રંટ ગુજરાતના પ્રણેતા

ઘણાઁ સમયથી અહીઁ બ્લોગ ના મૂકાયો પણ મને ખાત્રી છે કે Kidsfreesouls પર તમે ફોલો કરતા હશો.

નરેન્દ્ર મોદી વિષે અને વાયબ્રઁટ ગુજરાતની સફળતા પર વાઁચકોની ઇ-મેલ ગુજરાતની પ્રગતી ની પ્રશઁસા કરે છે. તેવોજ એક લેખ અહીઁ મુકેલ છે જે તમને વાઁચવો ગમશે અને ગુજરાતની જનતા શુઁ વિચારે છે તેની ઝાઁખી કરાવશે.

તમારી કોમેન્ટસ આવ્કાર્ય છે. તમે શુઁ વિચારો છો, જરૂર જાણાવશો.

અને આને કહેવાય વાયબ્રંટ ગુજરાતના પ્રણેતા
- કલા અમીન”તડ અને ફડ - (વીકેંડર સાપ્તાહિક)

પાઁચથી છ કરોડની વસતી જેમને જઁગી બહુમતીથી છેલ્લા 3 વખતથી ચૂટી કાઢે છે તેવા બહુર્મુખી, પતિભાશાળી, કર્તવ્યનિષ્ઠ, ઇમાનદાર, ગુજરાતના ગૌરવસમા, જેનુઁ દેશ અને પરદેશમાઁ ખુબજ માન છે - સનમાન છે, તેવાઁ મુખ્ય પ્રધાન મેળવવા ગુજરાત સદભાગી છે, એવાઁ આપણા લાડીલા ગુજરાતના નાથને ‘પોતાના કામો’ જનતા સુધી બરાબર પહોઁચતા કરવાની પૂરી તક તો લેવા દો. આજ સુધી કોઇ પણ “વડા પ્રધાન” જે નથી કરી શક્યા અને જેનો પર્યાય છે, ફ્ક્ત આપણા લોખઁડી પુરુષ સરદાર શ્રી વલ્લભભાઇ પટેલ અને આન્ધ્ર વાળા શ્રી ચઁદ્રાબાબુ નાયડુ.

આ સાથેજ તમે કહેશો કે ‘ભાઇસાબ, સરદાર પોતેજ લોખઁડી પુરુષ હતાઁ. પોતાની આસપાસ બ્લેક કમાન્ડોની જાળી ઉભી કરીને નહોતા ફરતા. તો, તેનો જવાબ પણ આપણી પાસે છે. અને તે છે, આપણા વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરાજીનો અઁજામ. ના ભાઇ, એવા અઁજામ માટે આપણે તૈયાર નથી. જે સારુ કામ કરે, તેના દુશ્મનો તો હોયજ. વિઘ્નસઁતોષી તો હોયજ. સુર્ય સામે થૂકનારા તો ઘણા હોય, પણ તે થૂક કોની પર પડે, તે તો આપણે જાણીએજ છીએ.

હવે મુળ વાત પર આવીએ. એમણે શાસનની દોર પકડી પછી ગોધરાકાઁડ જેવો કમનસીબ બનાવ બની ગયો. જેના કારણે તેમના હીતશત્રુઓને તેમના માથે માછલા ધોવાની તક મળી ગઇ હતી. પણ, હાથ-કઁગનને આરસીની શી જરૂર! જેનો જવાબ દર વખતે યોજાતી ચૂટણીના પરિણામોજ આપી દે છે. વાઁકુ બોલનારા બધાય ચૂપ થઇ જાય છે. ચૂટણીના પ્રચાર વખતે, તેઓ શ્રી, જ્યારે ગુજરાતની બહાર જાય છે ત્યારે, ઘણાઁ લોકો એવુઁ બોલતા હોય છે કે, “ભાઇ ઘર બળતુઁ મુકીને પડોશીને ત્યાઁ આગ ઓલવવા શા માટે જાવ છો?”

“ઘરના ઘઁટી ચાટે અને ઉપાધ્યાયને આટો” એવુઁ આપણા મુખ્ય પ્રધાન શા માટે કરતા રહે છે. તમે જાણો છોને કે સારુ કામ કરવુઁ હોય તો માણસ પાસે સમજ સાથે સત્તા પણ જરૂરી છે. “ઉતર્યો અમલદાર કોડીનો” એટલે જો એમનો પક્ષ બહુમતી ના મેળવે તો તેમની સત્તા પાછી હાલકડોલક થઇ જાય અને પછી “આપણુઁ ગુજરાત” “મેગાસીટી ગુજરાત” એવા સુત્રને તેઓશ્રી ફળિભૂત કેવી રીતે કરી શકે? માટે, એ જે વખતે જે કરે તે ખુબજ જરૂરી હોય છે અને એ વખતે પણ તેઓશ્રી ગુજરાતને રેઢુઁ નથી મુકતા. ગુજરાતનુઁ હિત તો તેમના હૈયે વસેલુ છે. તેઓ સતત ગુજરાતની ગતિ વિધિ પર ધ્યાન રાખતા હોય છે, તેના સઁપર્કમાઁ રહેતા હોય છે.

અલગ અલગ રાજ્યોના મુખ્ય પ્રધાનો પર તેમના પ્રભુત્વની જરૂર છે જે તેમણે પુરી કરી છે અને કરતા રહે છે. આવા બાહોશ મુખ્ય પ્રધાન ગુજરાતને મળ્યા છે તો તેમની રીતે આગવી સૂઝ પ્રમાણે આડખીલી બન્યા વગર કામ કરવા દો.

“ વાયબ્રંટ ગુજરાત” આ શબ્દ પર હસવા વાળા લોકોને આ છેલ્લા 2009 ના વાયબ્રઁટ ગુજરાતની ગાથાએ તો ચૂપજ કરી દીધા છે. દેશની તેમજ પરદેશની મોટી મોટી હસ્તીઓ સર્વે શ્રી અનીલ અઁબાણી, સુનીલ મિત્તલ, રતન ટાટા, ઇત્યાદીએ, જેના ભરપેટ વખાણ કર્યા છે તો તેમાઁ કાઁઇક તો વજુદ હશેજને?એ લોકો કાઁઇ અમથા જ એવા વિધાન શા માટે કરે?

તો તેમેને તેમની રીતે કામ કરવા દો. હવનમાઁ હાડકા શા માટે નાઁખો છો? અને અત્યારે હિસાબ માઁગવાનો સમય નથી. ‘રોટલા ખાવને ભાઇ. રોટલા ઘડતી વખતે કેટલી વાર ટપટપ કર્યુઁ, તેનુઁ તમારે શુઁ કામ છે?” સાચુઁ કહેજો હોઁ....ગુજરાતનો નકશો બદલાઇ નથી ગયો?

તે હેઁ ભાઇ, કોઇ ખોટી વાત તો નથી કરીને? અને તમને એવુઁ લાગ્યુઁ હોય તો તમારી મરજી. મને જે લાગ્યુઁ તે મેઁ કહ્યુઁ અને તે મારી મરજી. હુઁ આપણાઁ એ ગુજરાતના તાજને લાખ લાખ સલામ કરુઁ છુઁ અને ભગવાનને પ્રાર્થના કરુઁ છુઁ કે “ગુજરાતનુઁ ભલુઁ ઇચ્છ્નાર અને કરનાર, આપણાઁ લાખેણા, લાડીલા મુખ્યપ્રધાનને દિર્ઘાયુ બક્ષે અને દિર્ઘકાળ સુધી ગુજરાતની જનતાને એમનો સથવારો સાઁપડે. જો જો પછી ગુજરાતનો ડઁકો પૂરી દુનિયામાઁ વાગશી.

- કલા અમીન

Saturday, October 04, 2008

જે વધુ નાણાઁ ભેગાઁ કરે છે તે પોતાની જિઁદગીમાઁ માત્ર આળસનુઁ વાવેતર કરે છે

જે વધુ નાણાઁ ભેગાઁ કરે છે તે પોતાની જિઁદગીમાઁ માત્ર આળસનુઁ વાવેતર કરે છે
ભૂપતભાઇ વડોદરિયા

અમેરિકામાઁ આજે ફરી મહાત્મા થોરોના જીવનમાઁ અને લાખાણોમાઁ નવી પેઢીને રસ જાગ્યો છે. ‘નવી દુનિયા’નો એ અનોખો ફિરસ્તો હતો. વધુ પૈસા, વધુ વૈભવ અને વધુ સગવડ માટે દોડી દોડીને થાકેલા માણસો થોરોની જિઁદગી તરફ પાછા વળે છે. થોરો ધૂની માણસ હતો. કેટલાકને ચક્રમ પણ લાગેલો પણ બહુ નક્કર માણસ હતો. એ પોતાની જિઁદગીનો સાચો માલિક હતો.

એક મિત્રે આમઁત્રણ મોક્લ્યુઁ. તેના જવાબમાઁ થોરોએ લખ્યુઁ : દોસ્ત, મારી જાત સાથેના મારા રોકાણો એટલા બાધા છે કે મારાથી નહિ અવાય. પોતાની જાત સાથેનાઁ રોકાણો! આજે માણસને એકલા પડતાઁ બીક લાગે છે. કઁટાળો આવે છે અને થોડીક વધુવાર માણસ એકલો પડી જાય તો તરત શેરીમાઁ કે વધુ આગળ જઇને વધુ મોટી ભીડમાઁ સોબતનુઁ સ્નાન કરવા માઁડે છે. પણ થોરોને પોતાની જાત સાથેનાઁ ખુબ રોકાણો છે, કેમકે તે સતત પોતાની જાતની સુધારણામાઁ રોકાયેલો છે. તેને કોઇ પણ કામ કુશળતાથી કરવુઁ ગમે છે. એને આવી કુશળતા પ્રાપ્ત કરવી છે પણ તે કારીગર તરીકેની પોતાની કામાણી વધારવા માટે નહીઁ. એને વધુ પૈસા કમાઇ લેવામા રસ નથી. ઇ.સ. 1845 માઁ થોરોની ઉઁમર 28 વર્ષની હશે. આ ઉઁમરે માણસ ઠરીઠામ થવાનુઁ વિચારે. કાઁઇક વાઁધો જમાવવામાઁ તલપાપડ થાય. પણ 28 વર્ષનો થોરો પાઁચ પાઉંન્ડની મૂડી સાથે, કોઇ સઁબઁધીની કુહાડી ઉછીની લઇને પોતાની જિઁદગીને એક નવા સાહસિક પ્રયોગ તરિકે અજમાવવા આગળ વધે છે. વોલ્ડન પોન્ડ પાસેના જઁગલમાઁ જાય છે. પોતાની ઝૂઁપડી બાઁધે છે અને મકાઇ બટેટાની ખેતીમાઁ લાગી જાય છે. થોરો ખેડૂત છે પણ શોખથી ખેડૂત બન્યો છે. એમ તો શોખથી એ ઘણુઁ બધુ બન્યો છે. તે પેન્સિલો બનાવે છે, તે લાકડા પણ ફાડે, લેખો પણ લખી નાઁખે. એને જાતજાતના કસબ શીખવાનો ઉમઁગ છે અને દરેક કામમાઁ તે પ્રવીણ બન્યો છે. પણ આવી કુશળતા તેને વધુને વધુ કમાણીના ભાગરૂપે જોઇતી નથી.

થોરોને કોઇ શિખામણ આપી બેસે. જુવાનીનુઁ રળેલુઁ અને પરોઢિયાનુઁ દળેલુઁ! જુવાન છો, થોડુઁ બરાબર કામાઇ લો, પછી નિરાઁતે જીવી શકાશે, પછી ઓળતાઁ જે પુરા કરવા હોય તે કરજો. પણ થોરો વધુ પૈસા ભેગા કરી લેવામાઁ કે કામાઇ લેવામાઁ માનતો નથી. તે તો સ્પષ્ટ કહે છે કે, ‘વધુ નાણાઁ ભેગા જે કરે છે તે પોતાની જિઁદગીમા માત્ર આળસનુઁ વાવેતર કરે છે. તમારી વાજબી જરૂરીયાતો કરતા તમારી પાસે વધુ નાણાઁ હશે ત્યારે તમારે શુઁ કરવાનાઁ? એકવાર જો તકલીફ વગળની સરળ-સલામત જિઁદગીનો ખ્યાલ મનમાઁ ઘૂસી ગયો તો તમે બરાબર જીવવાનુઁજ ભુલી જવાના! થોરો કહે છે કે, ‘મારી અફલાતૂન દફમવિધિની બાઁયધારી આપતી વીમાની પોલિસી જેવી જિઁદગી મને મઁજૂર નથી. મારે મન જિઁદગી એક સાહસ છે.’ રોજરોજનુઁ સાહસ. મારે આ જિઁદગી અને આ દુનિયા, આ ધરતી અને આ આકાશ બરાબર માણવા છે. જઁગલમાઁ કે ઝાડીમાઁ, કોઇ નદી કે ઝરણાઁ ના કાઁઠે થોરોને સાવ સાદુઁ, તાજુઁ પાણી અને તાજી હવા નશો ચઢાવે છે. તે ચા પણ પીતો નથી અને કોફી પણ પીતો નથે. તમાકુ પણ તેને જોઇતી નથે. મસ્તરામ જેવો માણસ છે.

તેને સગવડ કે શોખની, આ કે તે ચીજ ખરીદી લેવાની તલાવેલી નથી. થોરો કહે છે કે માણસે માની લીધેલાઁ જિઁદગીના ક્ષુલ્લક સુખો ખરિદવાઁ હુઁ મારી જિઁદગીનો કીઁમતી સરસામાન વેચી મારનારાઓમાઁનો એક નથી. તમે જ્યારે કોઇ ચીજ ખરીદો છો ત્યારે તમારી જિઁદગીનો એક નાનો ટુકડો પણ વેચી બેસો છો. જિઁદગી એક મોટા લાલઘૂમ તડબુચ જેવી છે. માણસો એક નજીવી સગવડની ચીજ માટે તડબુચની મોટી ડગરીજ વેચી મારે છે અને પછી પસ્તાય છે. સગવડની એક ચીજ ખરીદો છો ત્યારે તમે જોઇ શકતા નથી કે તમારી જિઁદગીના દડામાઁથી કેટલાઁ બધા સ્વાસના દોરા તમારે તેની પર વીઁટવા પડ્યા છે.

થોરો આત્માસુધારણામાઁ રચ્યો પચ્યો રહે છે. તે પોતાના કામમાઁ જ મશગૂલ છે પણ તે આખી દુનિયાને ભૂલી જઇને પોતાના આત્મકલ્યાણમાઁ ડૂબી ગયેલો એકલપેટ્ટો માણસ નથી. એ તો પોતાની જિઁદગીનો એક નમૂનો બનાવી રહ્યો છે પણ સાથે સાથે તે બીજા માણસોને રસ્તો પણ ચીઁધી રહયો છે. બીજા માણસોના દુખ દર્દ ને વિટઁબણામાઁ તે ભાગીદાર બને છે. તે કહે છે કે આ પ્રૂથ્વી પર માણસની જિઁદગી એક હાડમારી નથી. તમે ધારો તો તેને વાજબી કિઁમતે એક શોખની સફર બાનાવી શકો છો.

આપણાઁ રાષ્ટ્રપિતા માહાત્મા ગાઁધીને પ્રભાવિત કરનાર હેનરી ડેવિડ થોરો, મેસેચ્યુયેટ્સ - કોનકોર્ડમાઁ થોરો ઇ.સ. 1817 ની 12 જુલાઇએ જન્મ્યો હતો. 45 વર્ષની ઉઁમરે ઇ.સ. 1862 માઁ તે મે મહિનાની 6 તારીખે મ્રૂત્યુઁ પામ્યો. 45 વર્ષમાઁ તે કેટલુઁ બધુ જીવ્યો - સાર્થક રીતે!
********************************************
આ એક ખુબજ સમજ આપે તેવો લેખ છે જે મારા સમભાવ આર્ચાઇવમાઁથી (2001), ઉનીકોડમાઁ ટાઇપ કરીને મુકેલ છે. જિઁદગીની ભાઁગદોડ હવે આવશ્યક માણસે બનાવી દીધી છે ત્યારે આ લેખ કોઇ અણસાર કરે છે.

Thursday, June 26, 2008

મારે વાતચીત કરવી છે!

મારે વાતચીત કરવી છે!
- ભુપતભાઇ વડોદરિયા

જર્મન ફિલસૂફ નિત્સી લગ્નને એક લાઁબી વાતચીત કહી છે. લગ્ન શુઁ કામ, જીવન ખુદ એક લાઁબી વાતચીત નથી? એક સ્ત્રી અને એક પુરુષ દિવસ-રાત સાથે રહે તો એકબીજા સાથે વાતચીત કર્યા વગર તોઅ જીવી જ ના શકે. જ્યાઁ વાતચીત ઓછી કે નહીઁવત હશે ત્યાઁ તરત બઁનેને ગૂઁગળામણ જેવુઁ લાગશે અને એમની એ ગૂઁગળામણ બીજાઓને પણ દેખાયા વગ નહીઁ રહે.

પશ્ર્ચિમના સુખી મનાતા દેશોમાઁ પરિણીત સ્ત્રી-પુરુષો અને એમનાઁ સઁતાનોમાઁ આટલુઁ બધુઁ ડિપ્રેશન - મનની મઁદી હોવાનુઁ કારણ એકજ માનવામાઁ આવે છે કે ત્યાઁ ઝાઝી વાતચીત નથી. સઁવાદ નથી! કામકાજ સિવાયની વાત જ નહીઁ. લાઇફ ઇઝ બિઝ્નેસ! બિઝનેસ ઇઝ બિઝનેસ! લવ ઇઝ ઓલ્સો બિઝનસ! પણ વાણીના અભિષેક વિના તો પ્રેમની માત્ર મૂઁગી મૂઁગી ચેષ્ટા પણ શોભાવિહીન બની જવાનુઁ જોખમ રહે છે. પુરુષને કાઁઇક કહેવુઁ છે, સ્ત્રીને કાઁઇ કહેવુઁ છે, બાળકને પણ કાઁઇક કહેવુઁ છે. જ્યાઁ વાતચીત છે, કહેનારા અને સાઁભળનારા મોજુદ છે. ત્યાઁ ગૂઁગળામણ ઓછી હોય છે. આવાઁ કુટુઁબોમાઁ બીજા જે કાઁઇ સુખદુ:ખ હોય તે, વાતાવરણમાઁ ગૂઁગળામણ નહીઁ હોય. એકાઁતની આ અકળામણ હકીકતે જીવનરસની પ્યાસ છે - માણસની માણસ માટેની ભૂખ છે.

એ વાત સાચી કે વાણીના અઁત: સ્ત્રોતનાઁ તળ તાજાઁ કરવા માટે મૌનની જરૂર પડે છે. વાણીની શુદ્વિ અને સમૂદ્વિ માટે મૌન આવશ્યક છે. પણ વાણીનો પાર પામી ગયેલા માટે આવુઁ મૌન અમુલ્ય - સામાન્ય માનવીઓ માટે તો વાતચીત કોઇ વિકલ્પ જ નથી. વાતચીતનો અર્થ પણ માત્ર બોલબોલ કર્યા કરવુઁ એવો સઁકુચિત બનાવી દેવાનો નથી. માણસની માણસ સાથીની સગાઇના એક સઁવાદ રૂપે જ તેનુઁ ખરુઁ મહત્વ છે.
માણસ માણસની સાથે ખુલ્લા દિલે સઁવાદ કરે તો તેનો સૌથી મોટો લાભ એ છે કે તે પોતે જ પોતાની જાતને વધુ સારી રીતે સમજવાની કોશિશ કરી શકે છે અને તેનુઁ મન પણ હળવુઁ થાય છે. કેટલા બધા માણસો, પોતાને વિષે બીજા શુઁ અભિપ્રાય બાઁધશે એ બીકે સઁકોચવશ પોતાના મોઁને સીવીને બેસી જાય છે. નહીઁ કહેલી વાતો હૃદય ઉપર બોજ બની જાય છે. પછી અઁદર આ રીતે જમા થયેલી વરાળથી કોઇ વાર ઉપરનુઁ ઢાઁકણ ફાટે છે અને એમની વાણીના એ વિસ્ફોટ, ઉશ્કેરાટ અને આક્રમકતાથી સાઁભળનારા દઁગ થઇ જાય છે. અરે, આટલા શાઁત, ઓછાબોલા માણસને આ એકાએક શુઁ થઇ ગયુઁ?

માણસ મૂઁગો જ રહે તો તેને મૂઁઝારો થાય. તેને મોઁ ખોલ્યા વગર ચાલતુઁ નથી અને દિલ ખોલ્યા વિના પણ ચાલતુઁ નથી. તેને વાત કરવા માટે પણ કોઇક ઠેકાણુઁ જોઇએ છે. તમે કોઇ મનોચિકિત્સક કે જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટરને પણ પૂછશો તો તે તમને કહેશે કે દર્દીઓ તરીકે તેમની સમક્ષ આવતા માણસો કઁઇક કહેવા આવ્યા હોય છે. ઘણાઁ કેસમાઁ તો કોઇ ગઁભીર રોગ નથી હોતો - મનની ગૂઁગળામણ હોય છે - પોતાની વાત સાઁભળે તેવા બે કાનનો ખપ તેમને હોય છે. કોઇ કોઇની પીડા તો લઇ શકતુઁ નથી પણ પોતાની પીડા કોઇક સાઁભળે તો જાણે એનાથી પણ કાઁઇક રાહત થતી હોય છે. જનરલ પ્રેક્ટિસ કરતા કોઇ ડોક્ટર પાસે જતા દર્દીઓને તેમની તકલીફ ની વાત કરતાઁ તમે સાઁભળશો તો તમને તાજુબી થશે કે તેમાઁ શારીરિક પીડાની ખરેખરી વિગત કરતાઁ ઘણુઁ વિશેષ તેઓ કહ્યા વિના રહી શકતા નથી !

એક સિત્તેર વર્ષનાઁ સઁબઁધી અમદાવાદમાઁ વર્ષોથી રહેતા તેમના સુખી શ્રિમઁત પુત્રને ઘેર રહેવા આવ્યા. પુત્રે વ્રૂદ્વ પિતાને કહ્યુઁ : બાપુ, હવે વતનમાઁ તમારે શુઁ કામ છે? આપણે ત્યાઁ શો વહિવટ કરવાનો છે? તમે અહીઁજ રહી જાઓને. નહીઁતર પણ વતનમાઁ તમે શુઁ કરો છો? કઁઇ કરવાનુઁ તો છે જ નહીઁ !

દીકરાની લાગણીને માન આપીને એ પિતા થોડા દહાડા રોકાયા - મૂઁગા રહ્યા. પછી એક દિવસ તેમણે પુત્રને વિનઁતીના સુરે કહ્યુઁ, ભાઇ, હવે જાઉ ! તુઁ મને જવા દે. મારી કોઇ ચિઁતા કરીશ નહીઁ. તબિયત બગડશે અગર બીજી કાઁઇ વાત હશે તો હુઁ તને તરત જ જાણ કરીશ.

પુત્રને પિતાનો આવો અચાનક નિર્ણય સમજાયો નહીઁ. પુત્રે પુછ્યુઁ, પણ બાપુ, અહીઁ તમને અગવડ શી છે? આપણા વતનના ગામમાઁ એવી સગવડ શુઁ છે કે જે સગવડ તમને અહીઁ નથી? અહીઁ તમને આ ગમે તેવુઁ શુઁ કારણ છે? એવુઁ કાઁઇ હોય તો મને કહો તો આપણે તેનો ઇલાજ કરીઇ.

પિતાએ કહ્યુઁ, ભાઇ, આપણા વતનના ગામમાઁ ખાસ કાઁઇ સગવડ નથી અને અહીઁ તારે ઘેર તો બસ બધી સગવડો જ છે. પણ મારે માટે અહીઁ એક મોટી અગવડ છે. અહીઁ મારી ઉઁમરનુઁ કોઇ નથી. વતનમાઁ મારે વાત કરવાનાઁ બે-ચાર ઠેકાણાઁ છે. એટલે મારે ત્યાઁ જવુઁ છે. મને ત્યાઁ જ ગમે છે. પુત્રની રજા લઇને એ પિતા વતન જતા રહ્યા.
_________________________________________________
વાતચીત કરવાનુઁ મન દરેકને હોય છે. મને ખ્યાલ છે કે ઘણાઁ એવા મા-બાપ અહીઁ રહે છે કે તેમના એકના એક સઁતાન પરદેશ ઘર વસાવીને રહે છે અને તેઓ અહીઁ દેશમાઁ રહી સમય પસાર કરે છે. એક NRI Parents ની ક્લબ પણ છે જેઓ અનેક વખત પ્રોગ્રામ ગોઠવે છે અને બહાર જમવા પણ સાથે જાય છે. ઘણાઁ મા-બાપ દીકરાના સુખમાઁજ તેમનુઁ હિત જોતા હોય છે પણ તેમના દિલના બે શબ્દ કોઇને કહેવાની તેમને ઇચ્છા હોય છે. ઘણાઁ લોકો કલાકો સુધી દરરોજ અથવા જ્યારે સમય મળે પરદેશ રહેતા સ્વજનો સાથે વાતો કરે છે.

કહે છે અ મેન ઇઝ અ સોશિયલ અનીમલ ! નેટ પર વધુ પ્રચલિત સોશિયલ નેટવર્ક્સ છે અને ચેટ એપલીકેશન જેમકે સ્કાઇપ, જી-ટોક, યાહુ, એમ.એસ.એન - અને હા, જ્યારે હુઁ મળેલા ઇમેલ દ્વારા કવિતા કે બીજા બ્લોગ પર જોવુઁ છુઁ તો કોમેન્ટસમાઁ લોકોના લખાણ વાઁચુ છુઁ તો સમજાય છે કે પીપલ વોંન્ટ ટુ ટોક એંન્ડ વોન્ટ ટુ ઓપાઇન ધ્યાર વોઇસ!

જહોજલાલી હોય, લીલી વાડી હોય અને બધી સગવડ હોય - સુખ:શાઁતિ હોય પણ જો કોઇ સાથે બેસીને વાત કરનાર ના હોય તો તે માણસની જિઁદગી ચાર દિવાલમાઁ કાળ જેવી લાગે! અને જે વાત કરે છે પણ ખુલ્લા દિલે પોતાના દિલની વાત નથી કહી શક્તા કે સઁકોચ રાખે છે તે અઁદરથી ઘુઁટાય છે અને દિલની વાત દિલમાઁ રાખી ગૂઁગળામણ અનુભવે છે અને દુ:ખી થાય છે. ભાઇનો લેખ વિચાર માઁગી લે તેવો છે!

- ઇલાક્ષી પટેલ

Wednesday, February 20, 2008

લાગણીના સઁબઁધો ખુબજ યાદગાર રહે છે

લાગણીના સઁબઁધો ખુબજ યાદગાર રહે છે
-ભુપતભાઇ વડોદરિયા


આપણે જાણે અજાણે લાગણીના, પ્રેમના વ્યવહારમાઁ રૂપિયાને દોડતો કરી દીધો છે અને એમ કરીને લાગણીના લીલાકઁચન વનનો સોથ વાળી દીધો છે. લીલાઁ વન કપાય છે ત્યારે તો કઁઇક અવાજ પણ થાય છે. પણ અહીઁ તો આવો કોઇ અવાજ કાને પડતો જ નથી. માત્ર રૂપિયો જ ખણખણતો હોય છે.

તમે ઓફિસે કે કારખાને જવા નીક્ળો છો ત્યારે તમારુઁ બાળક તમને કહે છે કે, પપ્પા, સાઁજે આવો ત્યારે મારા માટે ચીકી લેતા આવશો? લાવશો ને? તમે હા પાડો. તમે સાઁજે ચાર આનાની ચીકી ને બદલે કદાચ રૂપિયો આપો તો પણ બાળક ખુશ નહીઁ થાય, કેમ કે તમે તેની ઇચ્છાની વસ્તુ લાવ્યા ન હતા. સ્નેહના વિકલ્પ રૂપે આપણે સિક્કા વાપરીઇ છીએ. આપણે ત્યારે ભૂલી જઇએ છીએ કે આ બઁને અલગ ચલણો છે અને તેની અદલાબદલી થઇ શક્તી નથી. તેથીજ યાદ રાખવુઁ જરૂરી બને છે કે માણસની જિઁદગી સ્નેહનાઁ જળ શોધતા મ્રૂગલાની અનઁત યાત્રા જેવી છે. એ પ્રેમ ઝઁખે છે અને પ્રેમ શોધે છે. એને પ્રેમ આપવો પણ છે અને પ્રેમ લેવો પણ છે. પણ હવે આપણે પ્રેમ આપી શકતા નથી. હા, રોકડો ચાર્જ ચૂકવવાની તૈયારી છે. આજે આપણે લાગણીનુઁ ચલણ કરવા માઁડ્યુઁ છે, અને રોકડા રૂપિયાનો વ્યવહાર બુલઁદ બનાવી દીધો છે. કોઇના જન્મદિને, લગ્નપ્રસઁગે ખાસ અવસરે કઁઇ આપવાનુઁ મન થાય ત્યારે આપણે સ્નેહના વ્યવહારનુઁ કોઇ સાધન શોધી શકતા નથી. શુઁ આપવુઁ? ઇંડિપેન, ઘડિયાળ, કપડુઁ? પરઁતુ એ બધુઁ તોઅ તેની પાસે હોયજ ને! એટલે આપણે રૂપિયા આપીએ છીએ. પણ રોકડાને બદલે વ્યક્તિને ગમતી ચીજ કોઇક સ્નેહીજનના હાથે લાગણીથી નીતરતી સામે આવે ત્યારે તેનો આનઁદ ઓરજ હોય છે. દુર બેઠેલી માને માટે સાદો સાડલો પસઁદ કરતાઁ આપણને કઁટાળો આવે છે, મોકલો રોકડા રૂપિય! બાપાએ ગામડેથી દવા મઁગાવી છે. આપણે ગણતરીબાજ મગજ ત્રિરાશી મુકવા માઁડે છે - શુઁ આ બધી દવા ત્યાઁ નથી મળતી એમ? બધીજ મળે છે. મોકલો રોકડા રૂપિયા. આપણે જાણે અજાણે લાગણીના, પ્રેમના વ્યવહારમાઁ રૂપિયાને દોડતો કરી દીધો છે અને એમ કરીને લાગણીના લીલાકઁચન વનનો સોથ વાળી દીધો છે. લીલાઁ વન કપાય છે ત્યારે તો કઁઇક અવાજ પણ થાય છે. પણ અહીઁ તો આવો કોઇ અવાજ કાને પડતોજ નથી. માત્ર રૂપિયોજ ખણખણતો હોય છે. ખાટલે પડેલા પિતા તમારી ચાકરી માગે ત્યારે તમે જાતે જવાને બદલે મની ઓર્ડર સાથે પોસ્ટમેનને પહોઁચાદી દો છો. તમે નાના હતા ત્યારે ચાર પગે ઘોડો થનારો પિતા આજે અશ્કત બનતાઁ તમારો ઉષ્માભ્રર્યો હાથ પોતાના કપાળે મૂકવા માગે છે. પણ તમને એ બચપણ યાદ નથી. આપણો જીવ કુટુઁબજીવનની ગઁગોત્રીથી દુર નીકળી જઇને ચલણી નોટોના કાગળની હોડીઓ ચલાવવામાઁ ગુઁથાઇ ગયો છે. એ વાત ખરી છે કે ધન વિના ચાલતુઁ નથી - આપણા પ્રાચીનો બિચારા એટલેજ કહી ગયા છે કે, ‘વસુ વિના નર પશુઁ’ પણ વસુ કહેતા લક્ષ્મીકે ધન, કઁઇ તમામ ભૂખની કામધેનુ નથી. એ આપણે ભૂલી ગયા છીએ. ઘણા બધા નિર્લજ્જ ઠઁડા વ્યવહારોને આપણે ચલણી નોટોમાઁ વીઁટવા માઁડ્યા છીએ. તમારી તરસ જ્યારે ઠઁડા પાણીનો પ્યાલો શોધતી હોય ત્યારે તમને કોઇ ડાઇનિઁગ કલ્બનુઁ કાર્ડ તમારા હાથમા મુકે તો કેવુઁ લાગે? કોઇ લાગણી માગે ને તમે રૂપિયા પરખાવી દો ત્યારે સામા માણસને એવુઁજ લાગે છે. પરઁતુ ધનને તમામ વ્યવહારોનો મઁત્ર બનાવવાની જરૂર નથી! જીવનનો બધોજ વ્યવહાર રોકડાના હિસાબે ના મૂલવશો. જ્યાઁ લાગણીનુઁ ચલણ છે ત્યાઁ નગદ સિક્કા ચાલતા નથી. પિતાએ સગા હાથે છોલીને ખવડાવેલી શેરડીનો રસ બાળકના જીવનમાઁ ઉતરે છે અને મહોરે છે. પતિએ સઁભારીને પત્નિને આપેલી વેણી દાઁપત્યજીવનમાઁ મેઘધનુષની શોભા મૂકી જાય છે. નોટોના નઁબર યાર નથી રહેતા, લાગણીની થોડીક પળો જિઁદગીભર હ્રદયમાઁ તરઁગો જગાડ્યા કરે છે.
_______________________________
રૂપિયાના ખણખણાત કરતા લાગણીના સઁબઁધો ખુબજ યાદગાર રહે છે અને તે લાગણીની હુઁફ સદા જિઁદગીભર હ્રદયમાઁ તરઁગો જગાડ્યા કરે છે. ખરુઁ! દરેકે સમજવા જેવો લેખ. ખાસ કરીને જ્યારે પિતા લીલીવાડી મુકીને જવાની તૈયારી કરતા હોય, ત્યારે ખાસ કરીને ઘરની દરેક વ્યક્તી, સગાસઁબઁધી પાસે તે માત્ર લાગણીની આસ રાખે છે કે તેમના સાથે કોઇ બે શબ્દ વાત કરે, તેમના માટે સમય કાઢે અને પ્રેમથી બે મીઁઠા શબ્દ ની આપ લે કરે કે પછી ભૂતકાળના યાદગાર સઁસ્મરણો ને યાદ કરી સઁતોષનો એક આનઁદ લે. બાકી, પૈસો ખણખણે અને માનવી ખુદ મા-બાપને ભૂલી એવો ખોવાઇ જાય કે તેમના ગયા બાદ સમજાય અને ખોટ લાગે! ખરેખર, જીવનનો બધોજ વ્યવહાર રોકડાના હિસાબે ના મૂલવશો. જ્યાઁ લાગણીનુઁ ચલણ છે ત્યાઁ નગદ સિક્કા ચાલતા નથી!!!

- ઇલાક્ષી પટેલ