Thursday, June 13, 2013

તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ

તર્ક-વિતર્કથી નહીંશ્રદ્ધા દ્વારા ઊંડી સમજ-ભૂપતભાઇ વડોદરિયા

આપણો પુરુષાર્થ બહારના ક્ષેત્રે ચાલ્યા  કરે છેપણ દરેક માણસ
જાણ્યે-અજાણ્યે એક આંતરિક પુરુષાર્થ પણ કરતો હોય છે.
તેણે પોતાની જાતનું ઘડતર કરવાનું છે

પોતાને ઘેર વિઝિટે બોલાવનાર એક વેપારીને જતાં જતાં ડોક્ટરે કહ્યું, "એક આટલું  યાદ રાખવું કેડોક્ટર પાટાપિંડી કરે છેબાકી જખમ રુઝાવવાનું કામ ભગવાન કરે છે અને ઘા રુઝાવનારો મોટોભગવાન બહાર જ્યાં હોય ત્યાં પણ એનો કોઇક કંપાઉન્ડર તમારી અંદર  છેબધી દવાઓ પણતમારી અંદર છેકોઇક કંપાઉન્ડર તેમાંથી સાચી દવા પસંદ કરીને તેને અસરકારક બનાવે છે."

 સુખી વેપારી કોઇ અપવાદરૃપ કિસ્સો નથીસુખી કે દુઃખીબુદ્ધિજીવી કે મહેનતકશ બધાં પુખ્ત સ્ત્રી-પરુષો કોઇ ને કોઇ વાર આવી લાગણી અનુભવે છેઘણા માણસો મનની અંદરખરાબ-ખોટા-અનિષ્ટ વિચારોને વિખેરી નાખવામાં સફળ થાય છેકોઇ ઇષ્ટદેવનું સ્મરણ કરે છે,પ્રાર્થના કરે છેપોતાનાં માતા કે પિતાનું સ્મરણ કરે છેઆમાં કશી નિર્બળતા જોવાની જરૃર નથી.માણસ જેમ જેમ વધુ ને વધુ જાણે છે તેમ તેમ તેનું ખોટું અભિમાન ઊતરી જાય છેઆપણાઅલ્પજ્ઞાનનું આપણને પારાવાર અભિમાન હોય છેઆકાશ આસમાની છે તેનું  કારણ છે.આકાશ આટલું ઊંચું છે (?) મેઘધનુષ રચાવાનું કારણ  છે ત્યાંથી માંડીને અસંખ્ય બાબતો વિશેનુંઆપણું સહેજસાજ જ્ઞાન પણ આપણને જ્ઞાનના ડુંગર જેવું લાગે છેપણ જગતના મહાનમાં મહાનવિજ્ઞાનીઓ આપણા સાધુસંતો સાથે સ્પર્ધામાં ઊતરી શકે તેટલા નમ્ર લાગે છેકારણ કે તેમણે તેમનાસૂક્ષ્મ જ્ઞાનની ખૂબ લાંબી છતાં સીમિત નળીમાંથી જોઇ લીધું છે કે જે કંઇ બહાર છે અને જે કંઇઆપણી અંદર છે તેનો પાર પામી શકાય તેવું નથી.

એટલે માણસ ઝાઝા તર્કવિતર્કમાં પડ્યા વગર શ્રદ્ધા દ્વારા એક ઊંડી સમજ કેળવી શકે છે.જીવનના નાના-મોટા અનંત દીપ પ્રગટાવનારી જે મહાશક્તિ છે તેનો કાંઇક અંશ દરેક જીવનમાંપડેલો છેઆપણે આપણી અંદર પડેલી  શક્તિને ઢંઢોળી શકીએ છીએ અને તેને કલ્યાણકારકબનાવી શકીએ છીએઅમેરિકાના મનોવિજ્ઞાનના પિતા વિલિયમ જેમ્સ કહે છે કે તમારા અજ્ઞાતમનમાં ડુંગર ડોલાવવાની શક્તિ છેઅમેરિકાનો ચિંતક રાલ્ફ વાલ્ડો એમર્સન કહે છે કે તમે જેવુંવિચારો છો તેવા તમે બનો છો.

આપણો પુરુષાર્થ બહારના ક્ષેત્રે ચાલ્યા  કરે છેપણ દરેક માણસ જાણ્યે-અજાણ્યે એક આંતરિકપુરુષાર્થ પણ કરતો હોય છેતેણે પોતાની જાતનું ઘડતર કરવાનું છેપોતાની શી ગુંજાશ છે તેપારખવાનું છે અને તે ખરેખર શું મેળવવા ઇચ્છે છે તે પણ નક્કી કરવાનું છેએક ડોક્ટર કે એકએન્જિનિયર વિદ્યા-તાલીમ લઇને પોતાનો બાહ્ય પુરુષાર્થ પુરવાર કરે છેપણ તેના આંતરિકપુરુષાર્થનું પૂરેપૂરું બળ તેમાં ભળેલું નહીં હોય તો તે કોઇ વિશિષ્ટ પ્રદાન કરી નહીં શકેહકીકતે આંતરિક પુરુષાર્થ ખૂબ મહત્ત્વનો છેકેમ કે આમાં ખેતીનો નિયમ લાગુ પડે છેતમે એક બીજવાવ્યું હોય તો દસ બીજ તમે પામો છો.
મોટા વિજ્ઞાનીઓએદાક્તરોએઉદ્યોગપતિઓએકલાકારોએ અને ઋષિમુનિઓએ પણ અજ્ઞાતમનનાઅંતઃસ્રોતનાઅંતરની પ્રેરણાના ચમત્કારો સ્વાનુભવે જોયેલા-જાણેલા છે કાંઇએકવીસમી સદીની વિશિષ્ટ દેન નથીસિગમન્ડ ફ્રોઇડે 'અજ્ઞાત મન'ની વાત કરી તે પહેલાં સેંકડોવર્ષોથી તમામ ધર્મોએ તેની હસ્તી જાહેર કરેલી છેફ્રોઇડે ત્યાં માત્ર એક જડ જોઇ પણ તેનાં મૂળસુધી ઊંડાં જવાનો તેને સમય ના રહ્યોછેલ્લાં વર્ષોમાં કેન્સરની એક પછી એક શસ્ત્રક્રિયા કરાવીરહેલા ફ્રોઇડ લગભગ છેલ્લા દ્વાર પર પહોંચ્યા હતાપણ પાછા વળી ગયાબધીવૃત્તિઓ-પ્રવૃત્તિઓના મૂળમાં કામવૃત્તિ છે તેવું તેણે કહ્યું હતુંપણ આનું પણ મૂળ છે અને બાબતનો કોઇ અલગ મર્યાદિતરૃપ વિચાર પણ કરી શકાય તેમ નથીહમણાં એક પ્રથમ પંક્તિનાવિજ્ઞાનીએ કહ્યું છે કે, "બહુ  ઘટ રીતે અને બહુ  ખૂબીથી ગૂંથાયેલો  ચંદરવો છેગ્રહો તોઠીક, 'માણસ પણ ઠીક', પણ એક ઝીણામાં ઝીણી હસ્તીનીવસ્તુની પણ અસર છેબધું એકબીજા પર અવલંબે છેઅસર પાડે છેઅસંખ્ય ચક્રો સર્જન-વિસર્જનનાં નિરંતર ચાલ્યા  કરેછેમનથીજ્ઞાનથીસાધનથી માપી ના શકાય તેવું  જે અનંત-વિરાટ તંત્ર ચાલે છેતેની પિછાનમેળવવા પૂર્વના ઋષિ-મુનિઓ પાસે  જવું રહ્યુંબીજા કોઇની પાસે તેની વ્યાખ્યા પણ નહીં જડે. લોકો  બધાને માયા કે લીલા કહેતા હોય તો તે એક વાસ્તવિક વર્ણન છે તેમ એક વિજ્ઞાનીતરીકે મારે કહેવું જોઇએ." અજ્ઞાત મન આપણી અંદર ઇશ્વર કે પરમ શક્તિનું આસન છે તેમસમજીને તેને શુભ વિચારોશુભ સંદેશાઓ-સંકલ્પો આપવા જોઇએ.

Monday, October 01, 2012

જીવનધર્મ તો શોધવો જ જોઇએ


જીવનધર્મ તો શોધવો જ જોઇએ


વા હનના ટાયર ઉપર ‘ગુડઇયર’ નામ આપણે વાંચીએ છીએ. એમ થાય કે કોણ હશે એ ‘ગુડઇયર’? આજથી એકસો નેવુ વર્ષ પહેલાં એ જન્મ્યો હતો. અમેરિકામાં જન્મેલા આ માણસનું આપણી ઉપર એક ઋણ છે. રબ્બરનો ઉપયોગ શક્ય બન્યો તે ગુડઇયરને કારણે. રબ્બરની ચીજો પહેલાં પણ અનેક બનતી, પણ રબ્બર તાપમાં ગરમીમાં ઓગળી જાય છે, ગંધાઇ ઊઠે છે. એની ગંધ નાકને એટલી તો અસહ્ય લાગે છે કે અમેરિકામાં તાપમાં ઓગળીને ગંધાઇ ઊઠેલા આવા રબ્બરને જમીનમાં શબની જેમ દાટી દેવું પડતું હતું. ચાર્લ્સ ગુડઇયરે કંગાળ ગરીબી અને દેવાના ડુંર્રિીૂબેલી હાલતમાં મરી ગયો, પણ તે ‘કંઇક’ આપતો ગયો.

મહાત્મા ગાંધી બધું જ છોડીને ભારતની પ્રજાની જાગૃતિમાં પોતાની જીવનશક્તિ હોમી દે, મોતીલાલ નહેરુ ધીકતી વકીલાત છોડીને આઝાદીના જંગમાં ઝંપલાવે કે મહર્ષિ અરવિંદ ઉજ્જવળ કારકિર્દીનાં સ્વપ્ન જોવાનું છોડીને આત્મજ્ઞાનનો પંથ પકડે ત્યારે તેમાં તેમના જીવનધર્મનો નાદ સાંભળી શકાય છે. આપણા જીવનમાં રૂપિયા અને માનસત્તાનું ચલણ એટલું બધું વધી ગયું છે કે આપણે આજીવિકાને આપણી તમામ શક્તિઓના લિલામનું બહાનું બનાવી દીધું છે. આઇન્સ્ટાઇને પોતાની શોધોનો વેપાર કરવાની ના પાડી હતી અને વેપાર માટે કોઇ શોધ કરવાની ના પાડી હતી. તેમાં તેમના જીવનધર્મની સચ્ચાઇ બોલતી હતી. અગાઉ જેમને સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું તે યહૂદી લેખક સિંગર એક છાપાના પ્રૂફરીડર છે. પ્રૂફ વાંચનારા સિંગર, તેની વાર્તાઓને લીધે, તેની નવલકથાઓને લીધે, ઘણાં બધાં વર્ષો લગી જીવશે. પ્રૂફરીડરની નોકરી એ તો આજીવિકાનું સાધન. માણસ આજીવિકા માટે ગમે તે સાધન મેળવે એનું બહુ મહત્ત્વ નથી. અગત્યનો સવાલ એનો જીવનધર્મ શું છે એ છે. આવો જીવનધર્મ બધા માણસોની બાબતમાં અમર કીર્તિ, નામના કે વેપારી લાભની ગુંજાશવાળો હોઇ ના શકે, પણ જીવનધર્મ એ માણસની પોતાની ખુશબો છે. આપણે આજીવિકાને કારકિર્દીના મોટા ચોકઠામાં વધુ ને વધુ ગોઠવવા માંડી છે ને આમ કરીને આપણે આજીવિકાની મર્યાદિત જરૂરિયાતને ભિક્ષુકની સદા અસંતુષ્ટ યાચનામાં ફેરવી નાખી છે.

જેમ વધુ ધન મળે, વધુ નામ મળે, વધુ માન મળે, વધુ પ્રભાવ કે સત્તા મળે તેમ આપણું કામ ઊંચું! નાટકમાં એક માણસ બરાબર રાજા બને છે, પણ તે ખરેખર રાજા નથી હોતો. નાટકમાં એેક માણસ ભિખારી બને છે, પણ તે ખરેખર ભિખારી હોતો નથી. ખરી ખૂબી ત્યાં જ છે કે તે ખરેખર શું કરે છે અને તેની નજર આગળ કે પાછળ કેટલી પહોંચ છે! કેટલીક વાર એવું બને કે માણસનો જીવનધર્મ જ એવો હોય છે કે તેણે અપ્રસિદ્ધિનો અંધકાર જ ઓઢી રાખવો પડે. મૃત્યુ મેળવવું સારું, પણ પારકો ધર્મ બજાવવામાં જબરું જોખમ છે. આજીવિકાનું સાધન જે હોય તે, આપણો કોઇ જીવનધર્મ તો શોધવો જ જોઇએ.

Saturday, August 25, 2012

જિંદગીનો જામ એક મિશ્ર પીણું છે, થોડીક વાસ્તવિકતા અને થોડીક કલ્પના....


જિંદગીનો જામ એક મિશ્ર પીણું છે,  થોડીક વાસ્તવિકતા અને થોડીક કલ્પના....
-ભૂપતભાઇ વડોદરિયા

સાડત્રીસ વર્ષની ઉંમરે કેન્સરના વ્યાધિથી મૃત્યુ પામેલા આઇરિશ નાટ્યકાર જે. એમ. સીંજનું એક નાટક છે ધી વેલ ઓફ સેઇન્ટ્સ.’ આ નાટકમાં એક ભિખારી અને તેની પત્ની છે. બંને અંધ છે. એક સંતપુરુષ તેમને થોડા સમય માટે દ્રષ્ટિ આપે છે. પણ કમનસીબે આ અંધ દંપતીને આંખનું તેજ મળતાં જ એ દુઃખી દુઃખી થઈ જાય છે. આ અંધ દંપતીને આંખો નહોતી ત્યાં સુધી બંને સુખી હતાં. અંધ પતિ માનતો હતો કે પોતાની પત્ની ખૂબ રૂપાળી છે. અંધ પત્ની માનતી હતી કે પોતાનો પતિ ખૂબ દેખાવડો છે. દ્રષ્ટિ મળી ત્યારે બંનેને ખબર પડી કે હવે તેઓ એકબીજાને મુદ્દલ રૂપાળાં લાગતાં નથી. કુરૂપતાનો વાસ્તવિક ચહેરો જ આંખ સામે તરવરી ઊઠે છે. પેલો સંત આ અંધ દંપતીને હંમેશ માટે આંખોનું તેજ મળે તેવું પવિત્ર જળ આપે છેપણ પતિ જાણીબૂજીને  એ પાણી ઢોળી નાખે છે. આંખોનું તેજ પાછું આપનારું એ જળ એને જોઈતું નથીકેમ કે એ તેજને કારણે જિંદગીની રૂપાળી માનેલી છબી કદરૂપી બની જાય છે.

જે. એમ. સીંજનું આ નાટક પોણો સો વર્ષ પહેલાં તખ્તા પર રજૂ થયું ત્યારે નિષ્ફળ ગયું હતું. પણ આજે વિવેચકો આ નાટકને સીંજની એક ઉત્તમ કૃતિ ગણે છે. જે. એમ. સીંજનું સૌથી વધુ જાણીતું અને સફળ નાટક તોરાઇડર્સ ટુ ધી સી’ છે. આ પણ એક કરુણાંત નાટક છે. આ નાટકમાં એક વૃદ્ધ નારી પોતાનો પતિ અને પાંચ પુત્રીને દરિયાલાલના ખોળે ખોઈ બેઠેલી છે. છઠ્ઠો પુત્ર પણ એ ગુમાવી બેસે છે ત્યારે એ કહે છે ઃ કોઈ પણ માણસ હંમેશ માટે જીવતો રહી શકે નહીં. જેટલું જિવાય એટલું ઘણું!

પોતાની જિંદગીને નક્કર ધરતી ઉપર દોડવનારા કોઈક ક્ષણે એવું કબૂલ કરે છે કે જિંદગીનો જામ એક મિશ્ર પીણું છેથોડીક વાસ્તવિકતા અને થોડીક કલ્પનાનું એ મિશ્રણ છે. થોડીક આશા અને થોડીક ભ્રમણાનું એ અદ્ભુત મિશ્રણ છે. માણસ ગમે તે દાવો કરેકોઈ માણસ કદી નરી વાસ્તવિકતાનો તેજાબ પી શક્યો જ નથી. ગઈ કાલે એક માણસ હટ્ટોકટ્ટોહસતોકૂદતો આપણી આંખ સામે હતોએક નહીંઅનેક આંખોએ તેને નક્કર રૂપમાં જોયો હતો. આજે એ માણસ નથી! ક્યાં ગયો એ માણસકોઈને કશી ખબર નથી. આપણે જિંદગીના તખ્તા ઉપર ભાતભાતનાં દ્રશ્યો નિહાળીએ છીએહરખાઈએ છીએરડીએ પણ છીએ અને એકદમ વાસ્તવિક’, ‘ખૂબ સુંદરએવી દાદ પણ આપીએ છીએપણ આ બધાં દ્રશ્યો આપણે હજુ પળબે પળ માટે જોયાં ત્યાં તો એક અનંત શૂન્યતામાં વિલીન થઈ જાય છે. માણસની જિંદગીનો પહેલો અંક એનાં માબાપ લખતાં હશેજિંદગીનો બીજો અંક તે પોતે જાતે લખવાનો દાવો કરી શકે તેમ હશે. પણ જિંદગીનો ત્રીજો અંક

જિંદગીનો ત્રીજો અંક તો કોઈક અદ્રશ્ય હાથ લખે છે એમ ચોક્કસ માનવું પડે. ક્યારેક આ અંક કશા ઢંગધડા વગરનોકશા જ અર્થ વગરનો લાગે છે. વેઇટિંગ ફોર ગોદોના નાટ્યકાર સેમ્યુઅલ બેકેટ જેવો જ કોઈ નાટ્યકાર આકાશના કોઈક ઓઝલ ઝરૂખામાં બેઠો બેઠો અધૂરી ઘટનાઓ ઉપર પડદા પાડી દેતો હોય એવું પણ લાગે. જે તખ્તા પર અજવાળું અજવાળું આપણે જોઈ રહ્યા હોઈએ ત્યાં એકદમ અંધારું અને કાં તો ખાલીખમ તખ્તો જ્યારે જોવા મળે ત્યારે પળવાર શ્વાસ થંભી જાય! આ કઈ જાતનું નાટકપડદો તો પાડી દીધોપણ પેલા વેશ ભજવનારા ક્યાં ગયાખરેખર કશું હતા જ નહીંએ કોઈની જાદુગરી કલ્પનાના ફરજંદ હતા કે પછી એ આપણા પ્રેક્ષકોનાં દિવાસ્વપ્નો માત્ર હતાંમાણસના મોતને આખરી અંત માનવા આજે કોઈ તૈયાર નથી. કેટલાક વિજ્ઞાનીઓ જાતજાતની ધારણાઓદલીલો અને કેટલાક પુરાવા આગળ કરીને કહે છે કે મૃત્યુ એ અંત નથી. આત્માનો એકમ શું છે તેની અમને ખબર નથીપણ તેનું એક સારરૂપ તત્ત્વ મરતું નથીકોઈક બીજી અવસ્થામાં મોજૂદ રહે છે. તે ફરી વાર જન્મે છે કે કેમ તેની અમને ખબર નથી પણ આત્મતત્ત્વ’ જેવું કાંઈક છે તે નક્કી અને તે માણસની કાયાનો માટીકૂબો ભાંગી જતાં જ ત્યાં ને ત્યાં કચડાઈ કે ઓલવાઈ જતું નથી. જિંદગી જેવી છે તેવી જ તેને ચાહવી અને માણવી જોઈએ. ફેફસાં અને હૃદય હાંકનારી હવા અને એકંદર ચાલકબળ ક્યાંક બહારથી મળે છે. જિંદગીની વૃદ્ધિ અને વિલયમાં કોઈ ચોક્કસ ગણિત કે ગણતરીઓ ચાલતી નથી. કેટલાક તેની ઉપર એક આકૃતિ ઊભી કરવા મથે છેકેટલાક એમાં જાતજાતના રંગોની ભાત ઊભી કરવા મથે છે. કોઈક વળી જાતજાતનાં રક્ષણોની કાંટાળી વાડ ઊભી કરે છે. પણ સરવાળે તો આ આકાર અને આ રંગોળીની બહાર નીકળી જઈને જિંદગી પોતાનો મનસ્વી મિજાજ બતાવે જ છે.

Monday, June 25, 2012

તમારા કિસ્મતની લગામ તમારા હાથમાં લઈ લો


તમારા કિસ્મતની લગામ તમારા હાથમાં લઈ લો
-ભૂપતભાઇ વડોદરિયા


ચીલીના કવિ પેબ્લો નેરુદાનું એક કાવ્ય છેઃ ‘હું કદાચ તેને ચાહતો હતો, કદાચ હું તેને ચાહતો નહીં હોઉ, પ્રેમ બહુ ટૂંકો હતો પણ તેને ભૂલી જવાની વાત બહું લાંબી ચાલી!’

જુવાન માણસ પોતાની જિંદગીની એક કલ્પનામૂર્તિ ઘડે છે. જિંદગીની આ સ્વપ્નમૂર્તિને તે ચાહે છે. જિંદગીની એ આદર્શ મૂર્તિ અને વાસ્તવિક જિંદગી વચ્ચે અંતર વધતું જ જાય છે. પેલી મૂર્તિથી એ દૂર ને દૂર ચાલ્યો જાય છેે. એક વાર એ કલ્પનામૂર્તિને ખૂબ ચાહી હોય છે, પછી તેને ભૂલવા એ કોશિશ કરે છે. પેલી મૂર્તિ વારે વારે તેને યાદ આવ્યા કરે છે અને ભૂલવાની કોશિશ સ્વયં જ વધુ તીવ્ર યાદ બની જાય છે. અડધી જિંદગી વીતી ગયા પછી પણ એ મૂર્તિ વારે વારે મનની ક્ષિતિજ પર વીજળીની જેમ ઝબક્યા કરે છે.

માણસની જિંદગીના આદર્શ રૂપ એક હજાર હોઇ શકે છે. જિંદગીના આરંભે માણસ પોતાની જિંદગીની એક સો કલ્પના કુંડળી કાઢી શકે છે. સેલ્વેડોર ડાલી નામના ચિત્રકારે તેની આત્કથામાં લખ્યું છે  નાનો હતો ત્યારથી નેપોલિયન બનવાનું સ્વપ્ન હતું. ડાલી ચિત્રકાર બન્યો, નેપોલિયન તો ના બન્યો પણ અંગત સંબંધોમાં, દુનિયા સાથેના સંબંધોમાં તેનો વહેવાર લગભગ નાનકડા નેપોલિયન જેવો લાગે છે. જે કોઇ તેના પરિચયમાં આવે તેને એ પીડા જ આપે છે. બીજાને પીડા આપવામાં તેને કંઇક વિચિત્ર આનંદ આવે છે.

ઘણા બધા જાણ્યેઅજાણ્યે બીજાઓને. પોતાનાં આપ્તજનો સહિતના તમામ સંબંધીઓને નાની કે મોટી પીડા આપ્યા કરે છે. પોતાની ઇચ્છા મુજબનો એક હસીન ખ્યાલ પોતાની જિંદગી વિશે ઊભો કરવો તેમાં કાંઇ ખોટું નથી, પણ આ ખ્યાલ જિંદગીના છોડને બાંધી દેનારું એક લોખંડી પાંજરું બની જાય ત્યારે પોતાની જાત સાથે જ એક અથડામણ કરે છે. કેટલાક નક્કી કરેલા નકશામાં જિંદગીને આલેખી શકે છે, પણ આવું તો બહું થોડા માણસોની બાબતમાં જ બની શકે. મોટા ભાગના માણસો પોતાની જિંદગી સાથે એવી રીતે કામ પાડવાનું આવે છે કે જાણે રાત કાપવા માટે કોઇ ધર્મશાળામાં અજાણ્યા વટેમાર્ગુ સાથે ગંજીફાની બાજી રમવા બેઠા!

માણસ માટે ખાસ વિકલ્પો હોતા નથી અને તેણે પોતાના વિશે કરેલી પૂર્વકલ્પના મુજબની રમત તો તેગોઠવી જ શકતો નથી. સામાન્ય રીતે માણસ એવો અનુભવ કરે છે કે તેના કિસ્મતે, તેના સંજોગોએ, તેની લાચારીએ તેને બરાબર ડોકમાંથી પકડી લીધો છે અને જ્યાં દોરી જાય ત્યાં દોરાઇ જવું પડે છે, પણ ઇતિહાસમાં કેટલા બધા માણસોએ કિસ્મતની લગામ પોતાની ડોક કે મોંમાંથી કાઢી નાખીને પોતાના કિસ્મત ઉપર જ જાણે ચઢાવી દીધી છે. સર વોલ્ટર સ્કોટની ઐતિહાસિક નવલકથાઓમાં પાણીદાર અશ્વ કુદાવનારા નાયકોનાં રંગ નીતરતાં સાહસો વાંચનારને ખબર નથી હોતી કે વોલ્ટર સ્કોટ નાની ઉંમરે પગ વગરના થઇ ગયા હતા. સમરસેટ મોમની સરળ અને શબ્દકોશને પૂછવા જવું ના પડે તેવી રીતે વાંચી શકાતી પ્રવાહી શૈલીમાં ભીંજાઇ જનારા માણસને ખબર જ ના પડે કે મોમની પોતાની જીભ તોતડાતી હતી અને બહુ જ લાંબી કષ્ટદાયક કસરત કરીને તેણે પોતાની જીભને ઠીક ઠીક સીધી કરી હતી. માણસ જ્યારે પોતાના જીવનના આદર્શ ચરિત્રની કલ્પના કરવા બેસે છે ત્યારે ખરેખર તો તે આદર્શ સંજોગોની કલ્પના કરતો હોય છે. આદર્શ સંજોગો કદી સંભવી શકતા નથી એટલે આવા સંજોગોનો વિયોગ અનુભવીને એ રડે છે, પણ કેટલાય માણસો પ્રતિકૂળ સંજોગોની ભુલભુલામણીમાં કેમ આગળ જવું અગર આગળ ન જવાય ત્યારે પણ કઇ રીતે નાસીપાસ ના થવું અને ટકી રહેવું તેનો જ ખ્યાલ કરીને પોતાની જાતને ઘડે છે. આવો માણસ જિંદગીના ફળના જે કંઇ રસકસ છે તે ઠીક અંશે પામે છે. પાકી લીંબોળીની પણ એક મીઠાશ છે પણ પાકી લીંબોળી મોંમાં હોય ત્યારે દ્રાક્ષના વિચાર કરીને અને દ્રાક્ષ મોંમાં આવે ત્યારે પાકી લીંબોળીનો વિચાર કરીને કેટલાક મઝા મારી નાખે છે. જિંદગી જેમ જેમ ઉકેલાતી આવે તેમ તેમ તેનું ભરતગૂંથણ કરવું તેમાં મજા છે, પણ જિંદગીના આ તાણાવાણા સુતરાઉ કાપડના નહીં, રેશમના હોત તો સારું હતું, તેના વસવસામાં સુતરાઉની શોભા ખોઇ બેસવાનો કંઇ અર્થ નથી.

Saturday, April 14, 2012

સ્નેહની માયા


વિચારમંથન


સ્નેહની માયા
ભૂપતભાઇ વડોદરિયા


આ સંસાર આર્થિક લેવડદેવડનો જ કારોબાર નથી પણ માણસ માણસ વચ્ચેના સ્નેહ સંબંધનો કારોબાર છે, એટલે તો માણસને જીવન આટલું મીઠું લાગે છે. માત્ર વેપારી ગણતરીઓ ઉપર જ આ બધો કારોબાર ચાલતો હોત તો માણસ માણસ વચ્ચેના સંબંધની કોઇ મીઠાશ કે કોઇ ભીનાશ હોત નહિ મા ણસ માણસ વચ્ચે સ્નેહની માયા ન હોત તો જીવન કેવું હોત? માણસ માણસની માયા તો બરોબર છે, પણ પશુપંખીની વચ્ચે પણ એક માયા છે. જેમણે નિરીક્ષણ કર્યું છે એ જાણે છે કે જો સ્નેહ અને માયાના સંબંધ ન હોત તો જીવનમાં કોઇ રસકસ હોત જ નહિ. માયા ન હોત તો માણસોને પોતાનાં સંતાનો અંગે કોઇ પ્રકારનો લગાવ હોત નહિ. આપણે જોઇએ છીએ કે સ્નેહના સંબંધોની સાંકળ દૂર દૂર પહોંચે છે. આપણે કહીએ છીએ કે મારી માતા કે મારા પિતા અમુક વ્યક્તિ પ્રત્યે સ્નેહથી એવા બંધાયેલા હતા કે માબાપ મોજૂદ ન હોય તો પણ સંબંધોની દોરી તો ચાલ્યા જ કરે છે. કોઇ આપણને પૂછે કે આ બાળક સાથે તમારે શો સંબંધ? આપણે કહીએ છીએ કે મારી માસીને કે મારા કાકાને એને માટે ખૂબ સ્નેહભાવ હતો. આપણે જોઇએ તો ખબર પડે કે સ્નેહસંબંધનાં મૂળ બહુ ઊંડાં હોય છે. સંબંધની આ કડી આટલી અખંડ ના હોત તો માણસમાણસ વચ્ચેના સંબંધમાં આપણું અદમ્ય ખેંચાણ ના જ હોત.

એક ગૃહસ્થને કોઇએ પ્રશ્ન કર્યો કે આ યુવાન જે રીતે જીવી રહ્યો છે તો એને માટે તમને આવું આકર્ષણ કઇ રીતે હોઇ શકે? આપણે જવાબ દઇએ છીએ કે મારે તે મિત્ર સાથે સગા ભાઇ જેવો સંબંધ હતો. તેની પ્રત્યે મારી એક વણલિખિત જવાબદારી હું સ્વીકારું છું. કૌટુંબિક સંબંધ ના હોય કે બીજા કોઇ પ્રકારની સગાઇ પણ ના હોય તો પણ માણસ સ્વેચ્છાએ કેટલીક જવાબદારીઓ ઉઠાવી લે છે. એક ગૃહસ્થને કોઇએ એવો પ્રશ્ન કર્યો કે તમારો સગો દીકરો ધંધામાં કોઇ નુકસાન વહોરે તો તમે તેની જવાબદારી પાર પાડવા નૈતિક રીતે બંધાયેલા છો? પણ તમે જે યુવાન માટે આવી જવાબદારી સ્વીકારી રહ્યા છો એ તમારી કોઇ નૈતિક ફરજ નથી. એના પિતાએ તમારે માટે એવું કર્યું નથી કે એનો પુત્ર જે કંઇ ખોટ કરે તેની જવાબદારી તમારે ઉઠાવવાની હોય. એક સાચો કિસ્સો છે કે એક મિત્રના અવસાન પછી બીજા મિત્રે એની બધી જ આર્થિક જવાબદારીઓ વીકારી. મિત્રની જે મિલકત હતી તેની સાથે એને તો કશી લેવાદેવા નથી. કોઇ સમાન ભાગીદારી કે વાબદારી નહોતી જ. છતાં કેટલીક વાર માણસો આવા સ્નેહસંબંધોમાં આવી જવાબદારીઓ ઉઠાવે છે. બહુ જ નિકટના મિત્રની આર્થિક જવાબદારી માત્ર સ્નેહસંબંધને કારણે એને ઉઠાવવાની નથી જ. મિત્રની મિલકત એના વંશજો લઇ જાય અને આર્થિક જવાબદારી મિત્ર ઉઠાવે, માત્ર સ્નેહમાંથી ઊભી થયેલી લાગણીના કારણે જ. વ્યાવહારિક રીતે કે કાનૂની રીતે આવી કોઇ જવાબદારી એના માથે નથી. મરનાર માણસની સંપત્તિ એના વંશજોના અધિકારમાં ગઇ. મિત્રનો અધિકાર તો માત્ર તેની આર્થિક લેણદેણની જ જવાબદારી પોતાના માથે લેવા પૂરતો રહ્યો.

આમ જુઓ તો સ્નેહના નામે આ ખોટનો ધંધો જ કહેવાય છતાં માણસ માત્ર જૂના સંબંધની સગાઇને કારણે ખોટનો આ ધંધો કરે છે. આ સંસાર આર્થિક લેવડદેવડનો જ કારોબાર નથી પણ માણસ ાણસ વચ્ચેના સ્નેહ સંબંધનો કારોબાર છે,એટલે તો માણસને જીવન આટલું મીઠું લાગે છે. માત્ર ેપારી ગણતરીઓ ઉપર જ આ બધો કારોબાર ચાલતો હોત તો માણસ માણસ વચ્ચેના સંબંધની કોઇ મીઠાશ કે કોઇ ભીનાશ હોત નહિ.

Monday, March 26, 2012

સુખનાં સાધનો જ દુઃખનાં કારણો છે!


સુખનાં સાધનો જ દુઃખનાં કારણો છે!
ભૂપતભાઇ વડોદરિયા

અમેરિકાના સુપ્રતિષ્ઠિત વર્તમાનપત્ર ‘ધી ન્યૂયોર્ક ટાઇમ્સ’ના કટારલેખક અને પત્રકાર રસેલ બેકરે પોતાની આત્મકથા લખી છે. કથા તો એક ગરીબ કિશોર સંઘર્ષ કરતાં કરતાં કઇ રીતે અખબારી કારકિર્દીનાં ઊંચાં પગથિયાં ચઢે છે તેની છેપણ માત્ર તે કારકિર્દીની કથા નથી, જિંદગીની કથા છે. એકદમ વાસ્તવિક છે અને છતાં અત્યંત રમૂજી. રસેલ બેકરે પોતાની આત્મકથા કંઇક આવી રીતે શરૂ કરી છેઃ મારી માતાને ગુજરી ગયાંને તો વર્ષો વીતી ગયાં છતાં તે હજુ મારા મનમાં વિહરતી રહે છે. સ્વપ્નો અને પરોઢના સંધિકાળે તે મને ઢંઢોળે છે! ‘એ આળસુના પીર! ઊઠ, કામે લાગ! મને મેદાન છોડીને ભાગે એવો દીકરો ના ગમે! તું એવું ના કરીશ!’ મેં અહીં ભાવાર્થ આપ્યો છે, શબ્દશઃ ભાષાંતર કર્યું નથી. અમેરિકાની મોટી આર્થિક મંદીનો એ સમયગાળો હતો ત્યારે દરેક અમેરિકનનો આદર્શ જાણે સફળતા, મહત્ત્વાકાંક્ષા, ભૌતિક સમૃદ્ધિ, સામાજિક દરજ્જાની સીડી ઉપર ઊંેચાંમાં ઊંચાં પગથિયાં પર પહોંચી જવું એ હતો. રસેલ બેકરની ગરીબમહેનતુ અને મહત્ત્વાકાંક્ષી માતા પણ પુત્રને એ જ રાહ ચીંધે છે અને તેને આગળ ધકેલવા મથે છે પણ રસેલ બેકરે અહીં વ્યવસાયી જીવનની સફળતાની કથા આલેખી નથીવ્યક્તિ અને કુટુંબના જીવનની સાચી કથા કહી છે.
વારંવાર માતા ડોકાયા જ કરે છે. વારંવાર પુત્રની સામે માતાના શબ્દો અને સંકેતો પથદર્શક ચિહ્નો બનીને ખડા રહે છે. ખરેખર જિંદગીમાં આવું જ બને છે. આમાં કોઇ ભૂતપ્રેમની વાત નથી કે પરલોક સીધાવેલી વ્યક્તિ સાથે સંપર્ક સાધવાની વાત જ નથી. વાતો મૃતક વ્યક્તિ પોતાના પ્રિયજનોના મનમાં, જીવનમાં સૂક્ષ્મ હાજરીરૂપે કઇ રીતે ઊભરાતી રહે છે અને એને કઇ રીતે પ્રેરણાદોરવણી આપે છે તેની છે.

આ અનુભવ કંઇ માત્ર રસેલ બેકરનો નથી. ઘણા બધા માણસોને આવો અનુભવ થતો રહે છે. થોડાં વર્ષો પહેલાં એક સુશિક્ષિત બહેને મને કહ્યુંઃ ‘જીવનમાં કોઇ વાર ગૂંચ આવે છે ત્યારે ગમે તેટલા વિચાર કરું તો પણ તેનો કંઇ ઉકેલ સૂઝતો નથી. પછી એવું બને છે કે મને સ્વપ્ન આવે છેસ્વપ્નમાં મારા મૃત પિતાને હું જોઉં છું અને મને કંઇક સંદેશો આપે છે. આ સંદેશામાં મારી ગૂંચનો ઉકેલ હોય છે. હકીકત એ છે કે આવી રીતે મારી ઘણી ગૂંચો ઉકેલાઈ છે. વર્ષો પહેલાં પોતાની સફળ ધંધાદારી કારકિર્દી પોતે છોડી દઇને જીવનનો નવો રાહ કઇ રીતે નક્કી કર્યો તેનો ખુલાસો કરતાં એક મિત્રે કહ્યુંઃ ‘નાની ઉંમરે મને અણધારી સફળતા મળી. તદ્દન નિર્ધન સ્થિતિમાંથી બહાર નીકળીને હું પૈસાથી ઘેરાઇ ગયો, પણ હૃદયમાં ઊંડે ઊંડે અજંપો હતો. શું આ જ જીવન? પૈસા ખરેખર શું છે? માગો તે સુખ હાજર કરી આપવાની શક્તિ તેમાં છે એ વાત શું ખરેખર સાચી છે? માણસને પૈસા તમામ સુખોના મહામંત્ર જેવા લાગે છેપણ ખરેખર જીવનમાં કોઇક કીમતી ચીજ ખોવાઈ ગયેલી લાગે છે અને તે મેળવવા માટે જ્યારે માણસ પૈસાની ચાવી અજમાવવા જાય છે ત્યાં તેને ખબર પડે છે કે આ ચાવી અહીં નકામી છે. પૈસા મળે ત્યારે લાગે છે કે બસ, આ પૈસા હવે મારી પાંખો બનશે. હું આકાશમાં ઇચ્છું એટલો ઊંચો ઊડી શકીશ, પણ પછી ખબર પડે છે કે આ પૈસા મારી પાંખો નથી આ તો મારો બોજો છે, જે સાથે લઇને હું ઊડી શકું તેમ જ નથી! મારી પાસે પૈસા આવ્યા પણ મારા માટે સુખનો આ રસ્તો નથી એવું મને લાગ્યું. મનમાં ખૂબ મૂંઝાયો ત્યારે એક દિવસ સ્વપ્નમાંવહેલા પરોઢિયાના એક સ્વપ્નમાંમારી માતાને મેં જોઇ. માતાએ મને કહ્યુંઃ બચુ, તને રૂપિયા ગણવામાં ઝાઝો રસ ના હોય તો પછી નકામો રૂપિયા ન ગણ! તને આકાશના તારા ગણવાનો શોખ હોય તો આકાશના તારા ગણ! માતાએ આવું કહ્યું અને મારી આંખ ઊઘડી ગઇ. બસ, પછી મેં રૂપિયા ગણવાનું છોડી દીધું!

ઘણીવાર માણસ આવી રીતે રૂપિયા ગણવાનું છોડી દઇને આકાશના તારા જોવા કે ગણવા માંડે ત્યારે તેને તકલીફ પણ પડે છે, પણ તમે તકલીફને માત્ર ધીંગામસ્તી કરતાં બાળકો જ સમજીને તેની સાથે કામ પાડો ત્યારે તમારા કામમાં તે વિક્ષેપ પાડી શકતી નથી. દુઃખને દવા ગણીને પીનારાને એ એટલું કડવું લાગતું નથી. તેનો સ્વાદ કડવો લાગે તે છતાં તેને ગુણકારી ગણીને તે તેને સહી શકે છે. એથી ઊલટું, કશા ઉદ્દેશ વગર તમે સુખનાં ગમે તેટલાં સાધનો પેદા કરો પણ તમને એ સાધનો સુખ આપી શકતાં નથી. મોટા ભાગે સુખનાં એ સાધનો જ દુઃખનાં કારણો બની જતાં હોય છે.

ભાઇના પુસ્તકમાંથી (સમભાવ મેટ્રોમાંથી)

નિભ્રરન્તિની આખરી ક્ષણ, જે જીવનના ઉદ્વેગમાંથી મુક્ત કરે


નિભ્રરન્તિની આખરી ક્ષણ, જે જીવનના ઉદ્વેગમાંથી મુક્ત કરે
ભૂપતભાઇ વડોદરિયા

મનુષ્યના જીવનમાં નિભ્રરન્તિની એક ક્ષણ આવે છે. મારાં મનોચક્ષુ સમક્ષ બે છબી ખડી થાય છે. એક છબી એક જૈન સજ્જનની છે અને બીજી છે એક મહાન સ્વપ્નદ્રષ્ટાની.

જૈન સદગૃસ્થને જીવનમાં સુખ જ હતું, પૈસા ટકાની ક્યારેય ચિંતા ન હતી. એ માનતા કે હવે બેઉ દીકરા કમાતાધમાતા થયા છે તો મારે લીલાલહેર કરવા સિવાય કશું બાકી રહેતું નથી. પણ પત્ની ગુજરી ગઇ અને બન્ને વહુઓને સસરાનો સ્વભાવ અનુકૂળ ના લાગ્યો. ગૃહસ્થ એક નાની ખોલીમાં રહેવા જતા રહ્યા. એક દિવસ મને મળવા આવ્યા. કહેવા લાગ્યા કે, ‘તબિયત ખૂબ કથળી ગઇ છે. ખોલીમાં એકલો રહું છું. ડાયાબિટીસ છે, પણ ખાવાનો શોખ એવો ને એવો જ છે. વીશીનું ભાણું ભાવતું નથી. એક મિત્રની સાથે સમેત શિખરની જાત્રાએ જઇ રહ્યો છું, તમને મળવા આવ્યો છું, છેલ્લીવાર! ત્યાં જ દેહ પડી જાય એવું ઈશ્ચર પાસે માંગું છું. જિંદગી ખૂબ જોઇ, ખૂબ માણી, ઘણા ઉધામા કર્યા. કોઇને ચાહ્યા, કોઇની સાથે લડ્યા, પણ હવે મન શાંતિ ઝંખે છે. હવે નહીં મળું, છેલ્લી સલામ!’ એમની વાત સાંભળીને થયું કે ભખભખિયો માણસ, પેટમાં પાપ નહીં એટલે આવું બધું કહેતો હશે. બાકી એમ કોઇને માગ્યું મોત થોડું મળે છે? એ ગૃહસ્થ જાત્રાએ ગયા. બે એક મહિના વિત્યા હશે. એમના એક સંબંધી મને મળ્યા. મેં એમને પૂછયું કે પેલા સજ્જન જાત્રાએથી પાછા આવી ગયા? પેલા ભાઇએ નવાઇથી કહ્યું, ‘તમને કશી ખબર નથી? એ તો પાછા આવી ગયા પછી બે દિવસ આરામ કર્યો. ત્રીજા દિવસે નાહીને કપડાં પહેર્યા. એમને અચાનક છાતીમાં દુખાવો ઊપડયો એટલે મેં કહ્યું તમે સૂઇ રહો, હું દાક્તરને બોલાવી લાવું. તે કહે, ‘એમનું પણ કામ નથી. ઇશ્ચર એમને સુખી રાખે. માત્ર એક કામ કરો, મને નવકાર મંત્ર સંભળાવો!’ મેં મંત્ર સંભળાવ્યો અને એમણે આંખો ઢાળી દીધી. એ વખતે એમના ચહેરા પર મેં અવર્ણનીય શાંતિ જોઇ. હું કોઇ સારા જીવનાં દર્શન કરી રહ્યો હોઉં એમ મને લાગ્યું.’ શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાન્ત સ્વામી પ્રભુપાદની કીર્તિ ઇ.સ. ૧૯૬૫ પછી વિશ્ચવ્યાપી બની. ‘ઇસ્કોન’ ના સ્થાપક તરીકે સૌ તેમને ઓળખે છે. અમેરિકા ગયા ત્યારે ભાગ્યે જ કોઇએ માન્યું હશે કે કૃષ્ણભક્તોનો વિશ્ચવ્યાપી સંઘ રચવાનું તેમનું સપનું સાકાર થશે.

સ્વામીનું મૂળ નામ અભયચરણ. ૧૮૯૬ની ૧ સપ્ટેમ્બરે કલકત્તામાં જન્મ્યા હતા. એ વેપાર ધંધો કરતા હતા અને ૬૦ વરસની ઉંમરે એવા ઝંઝાવાતમાં સપડાયા કે શિરે મોટી ખોટ આવી પડી. પુત્રોને વેપાર ધંધા સોંપી દીધા. તેમની એકમાત્ર ઇચ્છા શ્રીમદ્ ભાગવતને અંગ્રેજીમાં ઉતારવાની હતી. લગભગ સિત્તેર વર્ષની ઉંમરે તદ્દન નિર્ધન અને બીમાર એવા માંડ અમેરિકા પહોંચ્યા. તે અગાઉ સ્વામીએ વૈરાગ્યનો અને એકલતાનો જે ભાવ અનુભવ્યો તે એમણે બંગાળીમાં એક કાવ્યરૂપે વ્યક્ત કર્યો છે. તેમાં પ્રારંભની કડીઓ આત્મલક્ષી છે. તેમાં મનુષ્યના હ્ય્દયનું, નિભ્રરન્તિની આખરી ક્ષણનું પ્રતિબિંબ છે, તે જુઓ.

‘વૃંદાવન ધામમાં હું એકાકી બેઠો છું. આ વૈરાગ્યભાવમાં મને ઘણા સાક્ષાત્કાર થાય છે. મારી પાસે મારાં પત્ની, પુત્રો, પુત્રીઓ, પૌત્રો, દોહિત્રો સર્વ છે, પણ પૈસો નથી, તેથી તે સર્વ નિષ્ફળ મહિમા છે. કૃષ્ણે ભૌતિક પ્રકૃતિનું નગ્ન સ્વરૂપ મને બતાવ્યું છે. એમણે મને બક્ષેલી શક્તિથી એ સર્વમાં આજે મને રસ રહ્યો નથી. કૃષ્ણે કહ્યું છે, ‘યસ્માહં અનુગૃહણામિ હરીષ્યે તદ્ધનંશનૈઃ’ (જેના પર હું કૃપા કરું છું તેનું ધન હું ધીમે રહી લઉં છું) પરમ કૃપાળુની આ કૃપા હું કેવી રીતે સમજી શકવાનો હતો? પત્ની, સગાં, મિત્રો, ભાઇઓ વગેરેએ મને નિર્ધન નિહાળી ત્યજી દીધો છે તે દુઃખદ છે, પણ હું એકલો બેસીને એ વાત પર હસું છું. આ માયાસંસારમાં હું ખરેખર કોને ચાહું છું? મારાં વત્સલ માતાપિતા ક્યાં ચાલ્યાં ગયાં? જે મારા સાચા આત્મીયજનો હતા તે વડીલો ક્યાં છે? કહો, તેમના સમાચાર મને કોણ આપશે?’ ‘એ કૌટુંબિક જીવનમાંથી તો માત્ર નામોની યાદી જ શેષ રહી છે.’ બસ, પછી સ્વામી અમેરિકા પહોંચે છે અને જીવનનું સાચું અને અંતિમ કાર્ય કરે છે. એમને વિશ્ચવ્યાપી કીર્તિ મળી, પણ માણસને કીર્તિ મળે કે ન મળે, તેણે આવું કામ શોધવું જ રહ્યું, જે તેને જિંદગીની બાહ્ય જટિલતાઓ અને ઉદ્વેગમાંથી મુક્ત કરી દે. પછી એને દુઃખ ભલે આવે પણ જીવન સરળ અને શાંત લાગે.

Sunday, November 20, 2011

‘મેક્સિમ્સ’ના થોડા નમૂના: La Rochefoucauld

‘મેક્સિમ્સ’ના થોડા નમૂના
ભુપતભાઇ વડોદરિયા

માણસની કોઈ ઉમદા ભાવનાની, તેના આદર્શની, તેની નૈતિક ઊંચાઈની કોઈ વાત કેટલાક માણસોને ગળે જ નથી તરતી. માણસના સ્વભાવ વિશે અધિક અંશે ઘણું બધું ખરાબ હોવાનું માનનારી વ્યક્તિને આપણે નિરાશાવાદીહતાશાવાદી ગણીએ છીએ, આવી વ્યક્તિઓને કેટલીક વાર કશું સીધું કે સારું દેખાતું જ નથી, તેને બધું જ આડુંઅવળું, ઊંધુંચત્તું અને પોલંપોલ જેવું લાગે છે, ત્રાંસી નજરે વ્યક્તિ કે સમુદાયને જોનારા માણસ અત્યંત અળખામણા બને છે. વક્રદર્શનની આવી વિશિષ્ટ દ્રષ્ટિવાળા માણસોમાંથી બહુ જ થોડા એવા નીકળે છે, જેમની વાણી કડવી લાગવા છતાં તેમાં કશુંક ગુણકારી સંભવી શકે છે.

સત્તરમા સૈકાની શરૂઆતમાં આવો એક માણસ જન્મ્યો હતો પૅરિસમાં. સોળસો તેરની સાલમાં પંદરમી સપ્ટેમ્બરે જન્મેલો લા રોસેફુકોલ્ડ (La Rochefoucauld) રાજવંશી ખાનદાનનો હતો. તેને આગળ ઉપર ડ્યૂકનો ખિતાબ પણ મળ્યો હતો. સોળ જ વર્ષની ઉંમરે પરણ્યો હતો. રાજદરબારની ખટપટોમાં ભાગીદાર અને શિકાર બંને બની ચૂક્યો હતો. લશ્કરમાં પણ સામેલ હતો. ૩૯ વર્ષની ઉંમરે લડાઈમાં જખ્મી બન્યો. ૬૭ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. બાવન વર્ષની ઉંમરે એણે જ્યારે ‘મેક્સિમ્સ’ (સૂક્તિઓ) પુસ્તિકા પ્રગટ કરી ત્યારે તેના સમકાલીનોને આંચકો લાગ્યો હતો. અર્વાચીન વાચકોને આજે કદાચ એવો આઘાત નહીં લાગે, વાચકને લાગશે કે આ ચિંતનલેખકે મનુષ્યસ્વભાવને બહુ જ કાળો ચીતર્યો છે, આવા આક્ષેપમાં જરૂર તથ્ય છે, પણ સાથેસાથે આ માણસ જે કંઈક કડવુંકાળું કહે છે તેમાં પણ કાંઈક હકીકત છે, તેનો ઇન્કાર પણ થઈ નહીં શકે. થોડાક જ શબ્દોમાં તે માનવસ્વભાવના કોઈ ને કોઈ ડાણને સ્પર્શી શકે છે, પકડી શકે છે.

‘મેક્સિમ્સ’ના થોડા નમૂના અહીં આપ્યા છે.

- માણસો ભલાઈ અને બુરાઈ બંનેને ભૂલી જતા હોય છે એટલું જ નહીં પણ જેણે પોતાનું ભલું કર્યંુ હોય તેને ધિક્કારતા હોય છે. જેણે પોતાનું ખરાબ કર્યું હોય તેને ધિક્કારવાનું બંધ કરી દે છે.

- બીજાઓનાં દુર્ભાગ્યો વેઠવાનું બળ આપણા સૌમાં હોય છે!

- દુર્ભાગ્ય કરતાં સદ્ભાગ્ય સહન કરવા માટે વધુ સદ્ગુણની જરૂર રહે છે.

- સૂર્ય સામે અને મોત સામે કોઈ સીધી નજરે તાકી શકતું નથી.

- આપણી આશાઓ પ્રમાણે આપણે વચનો આપીએ છીએ અને આપણી શક્તિ અનુસાર તેનું પાલન કરીએ છીએ.

- આપણે જાતે કલ્પના કરીએ છીએ એટલા સુખી કે દુઃખી આપણે ક્યારેય હોતા નથી.

- પરિણામ પરથી પ્રેમનું મૂલ્યાંકન કરવા જઈએ તો એમ જ લાગે કે પ્રેમ દોસ્તી કરતાં દુશ્મનાવટને વધુ મળતો આવે છે.

- દરેક માણસ પોતે સારા હૃદયનો હોવાનું કહે છે, કોઈ પોતાનું મન સારું હોવાનું કહી શકે તેમ નથી.

- દિલ હંમેશાં દિમાગને મૂર્ખ બનાવે છે.

- આપણી પોતાની જ ખુશામત આપણે કરીએ નહીં તો આપણે ભાગ્યે જ રાજી રહી શકીએ!

- બીજાઓની બાબતમાં ડાહ્યા થવાનું સહેલું હોય છે પણ આપણી પોતાની બાબતમાં ડાહ્યા થવાનું મુશ્કેલ હોય છે.

- પ્રશંસા સાંભળવાનો ઇન્કાર કરવો તેનો અર્થ બે વાર વખાણ સાંભળવાની માગણી કરવી છે.

- આવી પડનારાં દુર્ભાગ્યોની કલ્પનામાં આપણી બુદ્ધિ વાપરવા કરતાં ચાલુ દુર્ભાગ્યને પહોંચી વળવામાં આપણી બુદ્ધિ વાપરવાનું બહેતર છે. દંભ એટલે સદ્ગુણને દુર્ગુણે આપેલી સલામી!

- મોટા ભાગના માણસો માટે તેમની કૃતજ્ઞતાની લાગણીમાં વધુ લાભો ખાટવાની છાની ઇચ્છાથી વધુ કંઈ હોતું નથી.

- આપણી નાની ત્રુટિઓ આપણે એકદમ કબૂલ કરીએ છીએ, અને એમ કરીને આપણે બીજાઓને એવું સમજાવવા માગતા હોઈએ છીએ કે આપણામાં કોઈ મહાન ત્રુટિઓ નથી.

- ભાગ્યની મહેરબાની જેમને મળી નથી હોતી તેમને ભાગ્ય ખરેખર આંધળું લાગે છે. ભાગ્યની સાથે કામ પાડવાનો તરીકો એક જ છે, તબિયતની બાબતમાં આપણે આ જ તરીકો અજમાવીએ છીએ ઃ તબિયતની જેમ જ ભાગ્ય સારું હોય ત્યારે તેને માણો, ભાગ્ય ખરાબ હોય ત્યારે ધીરજ રાખો અને અંતિમ ઇલાજનો આશરો કદી ન લો!

- આપણાં ઉત્તમમાં ઉત્તમ કાર્યો પાછળના મૂળ હેતુઓની જગતને જાણ થતી હોત તો આપણે તેને માટે શરમાઈ મરતા હોત!

__________________________________
This has been Bhupatbhai's reading of Literature.

In English:

La Rochefoucauld, Maxims, translated, with an introduction, by Leonard Tancock.(New York and London: Penguin Books, 1984) The editor also includes the brief self-portrait of La Rochefoucauld, and another verbal portrait by Cardinal de Retz. Tancock's is still the best complete translation in English.

Read more on this character here:

Thursday, November 10, 2011

જૂની કડવાશને જતી કરીએ

જૂની કડવાશને જતી કરીએ
ભૂપતભાઇ વડોદરિયા

વૃદ્ધ સુમતિચંદ્ર પાસે એક યુવાન મદદ માગવા આવ્યો છે. એ યુવાન સુમતિચંદ્રની બહેનનો દીકરો છે. ઘણા વર્ષે ભાણેજ મામાને મળવા આવ્યો છે. ભાણેજ મોં ખોલીને કશું કહેતો નથી પણ એક પત્ર મામાના હાથમાં મૂકે છે. સુમતિચંદ્રે એ પત્ર વાંચ્યો, ફાડીને કચરાની ટોપલીમાં નાખ્યો. તેમણે પોતાના કોટમાંથી એક હજાર રૂપિયા કાઢીને એ યુવાનને આપ્યા. ક્ષોભભરી નજરે પણ આભારવશ હૈયે એ જુવાન વિદાય થયો. એના ગયા પછી તુરંત જ સુમતિચંદ્રનાં પત્ની ભાગીરથીબહેન દીવાનખાનામાં આવ્યાં. તેમના પતિને પૂછ્યું, ‘કોણ હતું?’ સુમતિચંદ્રે ટૂંકો જવાબ આપ્યોઃ ‘બહેનનો મહેશ હતો. મેં તો તેને ચાપાણીનું પણ પૂછ્યું નહીં! મને એમ કે તમે અંદર સૂતાં હશો.’ પત્નીએ કડવું હસીને કહ્યું, ‘હું તો જાણતી જ હતી અને તમારા મામાભાણેજની લીલા જોઈ! તમને શું કહેવું એ મને સૂઝતું નથી. શું તમને કશું જ યાદ નથી? તમારી આ બહેન પાસે વર્ષો પહેલાં જ્યારે મેં આપણી દીકરી માટેતેની ફી અને કોલેજના ચોપડા માટેમાત્ર ત્રણસો રૂપિયા જ માગ્યા હતા ત્યારે તમારાં બહેન અને બનેવીએ પૈસા આપવા તો દૂર રહ્યા, પણ એવું મહેણું માર્યું હતું કે ‘સ્થિતિ નથી તો દીકરીને શું કામ આગળ ભણાવો છો! છેવટે દીકરીને તો પરણાવીને સાસરે જ મોકલવી છે ને?’ ત્યારે આપણી સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેઓની સ્થિતિ ખૂબ સારી હતી. આજે તમે તમારી એ બહેનના દીકરાને કંઈ સવાલજવાબ કર્યા વિના નગદ એક હજાર આપી દીધા! બહેને ચિઠ્ઠીમાં ચાર લીટી લખી અને ભાઈનું દિલ પીગળી ગયું! ખેર, એ ચિઠ્ઠી ફાડીને ફેંકી શું કામ દીધી? હું તે કોઈને વાંચી સાંભળાવત!’ સુમતિચંદ્રે કહ્યું, ‘‘મારી સગી બહેનનો દીકરો છે, આજે મુશ્કેલીમાં આવી પડ્યો ને પોતાની મા પાસે ચિઠ્ઠી લખાવીને આવ્યો! બનેવી તો આજે હયાત નથી. ભૂતકાળમાં કોઈ સગાંસંબંધીએ આપણી સાથે ભલે ગમે તેવો વહેવાર કર્યો હોય, એ સગાંસંબંધી મુશ્કેલીમાં આવી પડે અને આપણી મદદ માગે ત્યારે આપણી શક્તિ મુજબ મદદ આપવી. આપણી ત્રેવડ ન હોય તો ના પણ પાડીએ, પણ મદદની શક્તિ છે. મદદ માગનારની ભીડની સચ્ચાઈમાં પણ કાંઇ શંકા નથી ત્યારે જૂની વાત યાદ કરી તેને નનૈયો ભણાવે એ શું સારું છે? મને તો એ વાતનો આનંદ છે કે ઈશ્વરે મને કોઈને પણ બે પૈસાની મદદ કરવાની શક્તિ આપી! હું પરમાત્માનો એટલો આભાર માનું છે કે મારે મારી બહેનના દીકરાને મદદ કરવાની વેળા આવી ત્યારે જૂની કડવાશે મારો હાથ રોકી ન રાખ્યો! મારી બહેનના પત્રમાં ‘લાચારી’ અને પોતે અગાઉ કરેલા વહેવારનો ‘પસ્તાવો’ પણ હતાં! એ ચિઠ્ઠી સંઘરીને આપણે શું કરવું હતું? હું તો માનું છું કે પોતાની ભીડની ક્ષણે પોતાનો હાથ બીજે ક્યાંક લંબાવવાને બદલે જૂની વાત ભૂલીને સગા ભાઈ પાસે જ મદદ માગવા જેટલી ‘ઉદારતા’ પણ તેણે બતાવી. ભગવાને જ એના અંતરમાં આવી પ્રેરણા મૂકી હશે! તે મારી ઓળખાણના બીજા કોઈ પણ વેપારી પાસે મદદ માગવા જઈ શકી હોત. કદાચ તેને મદદ મળી પણ હોત અને એને મદદ કરનારે હસતાં હસતાં મને સંભળાવ્યું પણ હોત કે ‘તમારાં બહેન બિચારાં મારી પાસે મદદ માટે આવ્યાં હતાં! મેં તેને મદદ તો કરી પણ મિત્ર, તમે બહેનનું મુદ્દલ ધ્યાન નથી રાખતા કે શું?’ એણે આવું કહ્યું હોત તો શરમથી મારું માથું ઝૂકી જાત! હું શું ત્યારે એ માણસ સમક્ષ એવો ખુલાસો કરત કે મારા નબળા સમયમાં મેં મારી દીકરી માટે કોલેજની ફીચોપડીના પૈસા માગ્યા ત્યારે મારાં બહેનબનેવીએ મને મદદ નહોતી કરી એટલે અત્યારે હવે હું એમને શું કામ મદદ કરું? તે વખતે મારાં બહેનબનેવીનું વર્તન જો ગેરવાજબી હતું તો આજે હું એવું જ વર્તન કરું તો તે કઈ રીતે વાજબી ગણાય? ‘‘એમ વિચાર કરીએ તો આપણા અત્યંત વિકટ સમયમાં તારા સગા ભાઈએ આપણી સાથે કેવો વહેવાર કર્યો હતો? આજે આપણે જે સ્નેહભર્યો સંબંધ તેમની સાથે નિભાવીએ છીએ તે સંબંધ ભૂતકાળની વાતો યાદ કરીએ તો ટકી શકે ખરો?

જીવન આવું જ છે. બધી સમયની લીલા છે. સમય એક સારા શક્તિમાન મનુષ્યને ભિખારીનાં કપડાં પહેરાવે છે અને સમય ફરી કોઈ વાર એ જ માણસને ધનવાનનો પોશાક પહેરાવે છે. એ દિવસોમાં તારા સગા ભાઈએ જે વહેવાર કર્યો હતો તેે પણ ત્યારે તો ખૂબ ખટક્યો હતો. મારી સગી બહેને જે વહેવાર આપણી સાથે કર્યો હતો તે તનેમને પણ ખૂબ ખટક્યો હતો, પણ માણસે યાદ રાખવું જ પડે છે કે સ્મૃતિઓનો પણ એક વિવેક છે. સારા પ્રસંગની શોભા પર વીતી ગયેલી વાતનો પડછાયો પાડવાથી આપણું સુખ ઘટે, ખારું બને તે વધે નહીં, તેમાં કોઈ મીઠાશ ન મળે.’’

Wednesday, October 05, 2011

ગુજરાતી પત્રકારત્વનો ધ્રુવ તારો એટલે ભૂપતભાઇ વડોદરિયા

ગુજરાતી પત્રકારત્વનો ધ્રુવ તારો એટલે ભૂપતભાઇ વડોદરિયા. બધા ગ્રહોતારા ફરતા રહે, પરંતુ ધ્રુવ તારો હંમેશ એક જ સ્થાને રહે છે. હજારોલાખો વર્ષથી તે અચલ છે, તેવી જ રીતે અનેક પ્રલોભનો, સંકટો વચ્ચે ભૂપતભાઇ વડોદરિયા ક્યારેય ડગ્યા નથી, પીછેહઠ કે સિદ્ધાંતોમાં બાંધછોડ કરી નથી એટલું જ નહીં, પરંતુ પત્રકારત્વનાં મૂલ્યો અને નિષ્ઠાને હંમેશ વળગી રહ્યા છે. ધ્રુવ તારાની જેમ ભૂપતભાઇ ગુજરાતી પત્રકારત્વમાં દિશાસૂચક રહ્યા છે. કોઇ વ્યવસાયી પત્રકાર સફળ તંત્રી બનીને પોતાનું દૈનિક સફળતાપૂર્વક ન ચલાવી શકે તે ઘર કરી ગયેલી માન્યતાને ભૂપતભાઇ વડોદરિયાએ ખોટી સાબિત કરી છે. સમભાવ મેટ્રો જનસત્તા લોકસત્તા જેવા દૈનિક અખબારો અને ‘અભિયાન’ સાપ્તાહિકના તંત્રી જ નહીં, પરંતુ એક સફળ સંચાલક તરીકે ગુજરાતના પત્રકારોને એક નવો રાહ ચિંધ્યો છે. તેમણે પુરવાર કરી આપ્યું છે કે વ્યવસાયી પત્રકાર પણ પોતાનું અખબાર શરૂ કરી સફળતાપૂર્વક ચલાવી પણ શકે છે. ભૂપતભાઇ વડોદરિયાનો જન્મ ૧૯ ફેબ્રુઆરી, ૧૯૨૯ના રોજ ધ્રાંગધ્રામાં થયો હતો. ત્રણ વર્ષની વયે જ પિતાની છત્રછાયા ગુમાવનાર ભૂપતભાઇ માટે તેમનાં માતા ચતુરાબહેન જ જીવનનો આદર્શ અને પ્રેરણાસ્ત્રોત બની રહ્યાં. ૧૯૫૫માં માત્ર ૨૬ વર્ષની વયે ‘ફૂલછાબ’ના તંત્રી બન્યા હતા. ૧૯૬૨માં અમદાવાદ આવ્યા અને વિવિધ દૈનિક અખબારોમાં કાર્ય કર્યું. તેમની ચિંતનાત્મક અને પ્રેરણાત્મક કોલમ ઘરેબાહિરે અત્યંત લોકપ્રિય બની હતી. ૧૯૮૨થી ૧૯૮૬ સુધી તેઓએ ગુજરાત રાજ્યના માહિતી નિયામક તરીકે સેવાઓ આપી હતી. કોઇ વ્યવસાયી પત્રકાર માહિતી નિયામક બન્યા હોય એવા અત્યાર સુધી એકમાત્ર ભૂપતભાઇ વડોદરિયા જ રહ્યા છે. ૧૯૮૬ના માર્ચમાં તેમણે ‘સમભાવ’ દૈનિકનો પ્રારંભ કર્યો. પત્રકારત્વમાં ભૂપતભાઇના આદર્શ ઝવેરચંદ મેઘાણી હતા. મેઘાણીની માફક જ ભૂપતભાઇએ પત્રકારત્વમાં નીડરતા અને સાહસિકતાનો પરિચય કરાવ્યો હતો. ગુજરાતી પત્રકારત્વમાં સંશોધનાત્મક પત્રકારત્વનો પાયો નાખનાર પણ ભૂપતભાઇ હતા. તેમણે ’૬૦ના દાયકામાં જાનના જોખમે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ચાલતી દાણચોરીની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. ભૂપતભાઇએ ગુજરાતી સાહિત્યને ચાર હાસ્યનવલકથાની ભેટ ધરી છે. ગુજરાતી સાહિત્યમાં રમણભાઇ નીલકંઠ અને ચુનીલાલ મડિયા પછી હાસ્ય નવલકથાના સર્જક તરીકે ભૂપતભાઇએ ખ્યાતિ મેળવી હતી. ગુજરાતી પત્રકારત્વમાં મૂલ્યનિષ્ઠા જાળવી રાખવાના ભૂપતભાઇ આગ્રહી હતા. તેમના તંત્રીપદ હેઠળનું ‘સમભાવ’ અખબારી જૂથ પત્રકારો માટે આશ્રયસ્થાન બની રહ્યું હતું.

ગુજરાતમાં ઇન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ માટે પત્રકારોને તૈયાર કરવામાં ભૂપતભાઇનો ફાળો અનેરો છે. તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા પત્રકારોની સંખ્યા નાનીસૂની નથી.

ગુજરાતના પત્રકારત્વમાં નીડરતા, નિષ્પક્ષતા અને રચનાત્મક અભિગમ અને ગમે તેવા ચમરબંધીની શેહશરમ રાખ્યા વગર તટસ્થ સમાચારો આપવાનો તેમનો આદર્શ ગુજરાતના પત્રકારત્વમાં એક અનોખી ભાત પાડે છે. પત્રકાર કોઇ પણ અખબાર સાથે સંકળાયેલો હોય છતાં તેના વિકટ સમયે તેની પડખે ઊભા રહી તેના સંકટ અને દુઃખમાં ભાગ લઇ તમામ પ્રકારની મદદ કરવામાં ભૂપતભાઇની તોલે કોઇ આવી શકે તેમ નથી. અખબારી આલમની કોઇ પણ વ્યક્તિ કે પત્રકાર હોય તેના આંસુ લુછવામાં તેમણે ક્યારેય પાછું વાળીને જોયું નથી. ડાબા હાથે કરેલું કાર્ય તેમણે જમણા હાથને જણાવવા દીધું નથી તે તેમની આગવી વિશિષ્ટતા હતી. મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ તેમના લોહીમાં હતું. ક્યારેય મૂલ્યો સાથે બાંધછોડ તો ઠીક, પણ સમાધાન પણ ભૂપતભાઇ વડોદરિયાએ કર્યું નથી અને આ સિદ્ધાંતને ગમે તેવા વિકટ સમયમાં છોડ્યો નથી, ત્યજ્યો નથી. ભૂપતભાઇ પાસેથી પત્રકારત્વનો એકડો ઘૂંટીને સેંકડો પત્રકારો તૈયાર થયા છે, જેમાંના કેટલાક રાષ્ટ્રીય કક્ષાના અખબારના તંત્રીપદ સુધી પહોંચ્યા છે. આ ભૂપતભાઇની એક જ્વલંત સિદ્ધિ છે. ભૂપતભાઇનો જો ટૂંકમાં પરિચય આપવો હોય તો એમ કહી શકાય કે અભિપ્રાયનો નહીં, અનુભૂતિનો એ જીવ હતો. પત્રકારો સમેત સહુના તેઓ સદાય હામી રહ્યા હતા. સંવેદના તેમની ગળથૂથીમાં હતી. નીડર અને નિષ્પક્ષ તંત્રી અને સુપ્રસિદ્ધ લેખકસાહિત્યકાર તરીકે ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ જગતમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં ભૂપતભાઇ વડોદરિયાનું નામ ગૂંજે છે, સદાય ગૂંજતું રહેશે.

-ગિરીશ ત્રિવેદી

(In unicode fonts from Sambhaav)

શબ્દોના સાધકની ચિરવિદાય

શબ્દોના સાધકની ચિરવિદાય
(in Unicode from Sambhaav)

ગુજરાતી પત્રકારત્વમાં હંમેશાં દીવાદાંડી બની રહેલા અને સમભાવ મીડિયાના ધરોહર સમા શ્રી ભૂપતભાઇ વડોદરિયાનો તા.૦૪/૧૦/૨૦૧૧ મંગળવારની રાત્રે ૯.૪૫ કલાકે ૮૨ વર્ષની વયે દેહાંત થયો છે. ગુજરાતી પત્રકારત્વમાં સૌથી નાની વયે ફુલછાબમાં તંત્રી બન્યાનું ગૌરવ હાંસલ કરનાર ભૂપતભાઇ પત્રકાર ઉપરાંત ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. તેમની ‘પ્રેમ એક પૂજા’ નવલકથાને ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. સંસ્કાર એવોર્ડ સહિત અનેક પારિતોષિકથી ભૂપતભાઇની સાહિત્યિક સેવાઓની કદર થતી રહી હતી. તેમણે ગુજરાત રાજ્ય માહિતી નિયામકપદે પણ યશસ્વી કામગીરી કરી હતી. ‘પ્રભાત’, સંદેશ અને ગુજરાત સમાચારમાં પણ તેમણે પત્રકાર તરીકે કારકિર્દીનું ખેડાણ કર્યું હતું. સાહિત્ય ક્ષેત્રે તેમના પચાસથી વધુ પુસ્તકો પ્રસિદ્ધ થઇ ચૂક્યાં છે. તેઓ સમભાવમેટ્રો, જનસત્તા, લોકસત્તા અને સાપ્તાહિક અભિયાનના તંત્રી હતા. ભૂપતભાઇના ચાર સંતાનો રાજેનભાઇ, શૈલેષભાઇ, મનોજભાઇ, કિરણભાઇ સહિત સમભાવ મીડિયા પરિવાર સમસ્ત પત્રકારજગત અને સાહિત્યજગતને ભૂપતભાઇની ચિરવિદાયથી કદી ના પૂરી શકાય તેવી ખોટ હંમેશાં રહેશે.

પત્રકારત્વસાહિત્યજગતની તેજસ્વી કલમ પોઢી ગઈઃ નરેન્દ્ર મોદી

ગુજરાતી પત્રકારત્વની દીવાદાંડી અને ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ઠ સાહિત્યકાર તથા સમભાવ મીડિયા હાઉસની ધરોહર સમાન સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાના પાર્થિવદેહને આજે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પિત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાનાં પરિવારજનોને દુઃખની આ ઘડીમાં દિલસોજી અને સાંત્વના પાઠવી હતી. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે નવ વાગ્યે સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા અને તેમના પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વર્ગસ્થની પત્રકારત્વની સેવાઓને બિરદાવીને કહ્યું હતું કે, ‘‘ગુજરાતના પત્રકારત્વ અને સાહિત્યજગતની દેદીપ્યમાન અને તેજસ્વી કલમ આજે પોઢી ગઇ છે. સ્વર્ગસ્થ ભૂપતભાઇ વડોદરિયાએ ખૂબ નાની વયે પત્રકારત્વ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. વિશ્વ સાહિત્ય અને અખબારો અંગે તેમણે જવાબદારી સ્વીકારી હતી. ગુજરાતને તેમણે અખબારો પણ આપ્યાં, ખબર પણ આપી અને ખબર પણ લીધી છે. ચિંતન અને મનન દ્વારા આવનારી પેઢીને અનેક રત્નો આપ્યાં છે. સરસ્વતીના ઉપાસકને હું આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું.


મૃત્યુ પછીની ગતિ ની ચીંતા! -ભુપતભાઇ વડોદરિયા

મૃત્યુ પછીની ગતિ ની ચીંતા!
-ભુપતભાઇ વડોદરિયા

એક સંબંધીએ કહયુ ‘મે જે કાઇ ઝંખ્યુ અને માગ્યુ તે બધુ મળયુ છે. છ્તા કેટ્લીવાર એવુ લાગે છે કે મારા સાનુકુર્ સંજોગો ને હિસાબે જે ખુશાલીની લાગણી મનમા ટ્કી રહેવી જોઇએ તે ટ્કી રહેતી નથી. મને સતત બિનસલામતી ની લાગણી સતાવ્યા કરે છે. ખરેખર તો સંપુર્ણ સુરક્ષિતતાની લાગણી થવી જોઇએ. તેને બદલે બિનસલામની લાગે છે. આનુ કારણ સમજાતુ નથી. આનો ઇલાજ શુ તેની કશી ખબર નથી. મારા આ સંબંધી પૈસેટકે અતિ સુખી છે. મિલકત સારી છે. ધંધામાં સ્થિર છે. સમાજમા પ્રતિત્ત પણ છે. એમને બિનસલામતીની લાગણી રહ્યા કરે છે ને તેથી બેચેની પેદા થાય છે.

એક તદન ગરીબ માનસે પોતાની પાસે આવેલી ઠીક ઠીક રકમ બતાવીને કહ્ય “જ્યા જ્યા ગયો ત્યાં ત્યાં કોઇએ બે તો કોઇએ પાંચ રુપિયાની મદદ કરી. હુ ગરીબ છુ પણ મારે રુપિયાની ખાસ જરુર નથી. મને સતત ભય લાગ્યા કરે છે કે કોઇક રક્ષણ આપે તો સારુ! આ માણસને આ બધા પ્રષ્નો પુછવા છતા તે ખરેખર પોતાની ઉપર કોઇ વાસ્તવિક જોખમ હોવાનુ બતાવી શકયો નહી. આમ કોઇ જોખમ નથી ને લુટાઇ જવાનો ભય નથી, કે જેના પડ્છાયાની ચીંતા કરવી પડે. કોઇ નક્કર ભયની વાત નથી, પણ મનની અંદર બિનસલામતીની એક લાગણી સતત સરવર્યા કરે છે અને તેને ચેન પડતુ નથી.

તાજેતરમા મશહુર લેખક ફ્રાંસ કાફકાનો પત્ર વહેવાર વાંચયો. પોતાની પ્રિયતમાને અમુક સમય માટેની વિવાહિતા ફેલિસ પર્ન પત્રો તેમા છે. કાફ્કાએ આ પ્રેમ પત્રોમા પોતાની જાતને સંપુર્ણ ખલ્લી કરી છે. એમા કાફ્કાની બિનસલામાતી ની લાગણી વારમવાર કહે છે કે, હું દુબળામા દુબળો માણસ છુ. ફેલીસને એ ચાહે છે ખરો પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ શકતો નથી. કાફ્કા કહે છે કે મારા પોતના એક્લાના જીવતર પુરતી તબિયત ચાલે તેવી છે, પણ લગ્ન કરી શકુ એવી તબિયત નથી. હકીકતે કાફ્કાનો પત્રવહેવાર પોકરી પોકારીને એક વાત કહે છે કે, તેને બિનસલામતીની ઉંડી લાગણી પરેશાન કર્યા કરે છે. તેને સતત ડર રહ્યા કરે છે કોઇ જોખમની સ્થિતિ ઉભી થાય નહિ. તે માટે મોટેભાગે તે એકાંત પસંદ કરે છે અને શક્ય હોય તેટ્લે અંશે પોતાના નાનકડા કમરામાંજ રહે છે. છ્તા બંધિયાર જગાનુ પણ એક જોખમ હોય છે. એટ્લે ગમે તે મોસમમા એ બારી ખુલ્લી રાખીને સુવે છે. ખાસ ઉંઘતા પણ નથી, કેમકે, ઉઘવુ એટ્લે અસહાય અને બિનસલામત બની જવુ! ઉંઘવું એટ્લે પોતાનુ માથુ અજાણ્યા ખોળામાં મુકી દેવુ.

માણસ ભર ઉંઘ મા હોય ને કઇક આફત બહારથી કે અન્દરથી ઉતરી પડે તો? તમે ઉંઘતા હો અને કોઇ તમારી ઉપર હુમલો કરી શકે. તમે ઉંઘમા ભાન વિનાના હો અને કોઇ ઝેરી જીવજતુ કરડી શકે! બહારની જોખમ ની વાત તો ઠીક છે, માણસના શરીરની અન્દ્ર ક્યા ઓછા શત્રુ છુપાયા છે! ખુબ લાડ લડાવેલા આ હ્ર્દયનો પણ શો ભરોસો. એ પણ ક્યારેક પાંસરીની પાછળ કઇક શ્વાસની ગડબડ ઉભી કરી ના શકે? ઉઘની અવસ્થામા પણ અન્દરના કોઇ કોઇ જોખમોનો ડર હોઇ શકે છે. ફ્રાંસ કાફ્ડા તો મહાન સર્જક હતો. એટલે તેની સાચીકે માની લીધેલી શારીરિક-માનસિક પીડા, તેની મુઝવણો, તેની ચિંતાઓને તેના જાતજાતના ડરની લાગણીઓમાથી વાર્તાઓ વણાય છે. અને આ બધી બળતરામાથી સરજનનો એક વિચિત્ર સંતોશ જન્મે છે. કોઇક સરસ વાર્તા લખ્યા પછી તે થાકેલી સ્થિતિમા પણ અસાધારણ ખુશાલીની લાગણી અનુભવે છે. પણ પેલી બિનસલામતીની લાગણીનો સમગ્ર રીતે વિચાર કરીયે ત્યારે આપણા આશ્ચર્ય વચ્ચે આપણને ખબર પડે છે કે, કેટલા બધા ચેહરાની પાછર ડરની આ લાગણી સંતાઇને બેઠી હોય છે. પોતાને બિનસલામતીની લાગણી સતાવ્યા કરે છે તે કબુલ કરવાની હિમત પણ ચાલતી નથી. કોઇ પોતની બિનસલામાતીની લાગણીના ઇલાજ તરીકે એકાંત શોધે છે. તો કોઇ વળી ભીડ્મા ભય ઓછા ગણીને ગાઢ સોબતમા સંતાય છે. કદાચ ભીડ અને ભાષામા ભળી જવાનુ ઘણા બધા માણસોને ગમે છે અને તેનુ એક કારણ આ પણ હોઇ શકે છે.

બિનસલામતીની લાગણીનો વિચાર એક અગર બીજા માણસને સતાવતો રહે છે. કોઇને વળી આથિક બિનસલામાતીની લાગણી પીડા આપે છે. નોકરી પુરી થશે અને નિવ્રુત થવુ પડશે, પછી હુ શુ કરીશ? આજનુ આ જીવણધોરણ કઇ રીતે જાળવી રાખીશ? કોઇને નિવ્રુતિ દુર હોય છે તો બઢતીની ચિંતા થાય છે. આ પણ આથિર્ક બિનસલામતીની લાગણી છે. કોઇને ધન્ધો ભાંગી પડવાની, ધંધો બંધ થઇ જવાની, ખોટ જવાની ચિંતા રહ્યા કરે છે. કોઇને રોકાણ કરવાની પોતાની અશક્તિ સતાવે છે. આમા પણ આર્થિક બિંનસલામાતીની લાગણી બોલે છે. અમેરિકાના એક મહામાલદાર ઉધ્યોગપતિ રોક્ફોલરે કબુલ કરેલુ છે કે , નવા નવા ધન્ધાનુ વિસ્તરણ કરવાની તેની સાહસિકતાનુ મુળ આર્થિક બિનસલમતી ની લાગણીમા પડેલુ હતુ. ન કરે નારાયણને ચાલુ ધંધો ભાંગી પડે તો? ગાય દુધ આપે છે પણ કાલે વસુકી નહી જાય તેની શી ખાતરી? ચાલો એક નવી ગાય પણ વસાવી લઇએ. ધીકતા ધંધામાં હોવા છતા નવા ધંધાનો જન્મ થાય છે.

આર્થિક બિનસલામાતીની લાગણી જેવીજ સામાજીક બિનસલામાતીની લાગણી કેટ્લાકને પીડે છે. આબરુ જશે તો? પ્રતીત નહી સચવાય તો? કૈક બદનામી કે ફજેતી આવી પડશે તો? આવી લાગણીથી પીડાતા ગ્રુહસ્થો સતત સંતાનો પર ચાંપતી નજર રાખે છે. ક્યાંક દીકરી પ્રેમ લગ્નની ફજેતી કરીને આબરુ ઢોળી નાખે. ક્યાંક દીકરો પરનાતમા કોઇ ઉતરતી ન્યાતિકે કોમની કન્યાના ગળામા પુષ્પમાળા આરોપીને પ્રતિત્ત્ને ધુરધાણી કરી નાખે!

કેટલાક વળી લાગણી વિષયક બિનસલામાતી સતાવે છે. પોતાની પત્ની કે પોતાનો પતિ પોતાને ચાહવાનુ બંધ કરી દેશે તો? મિત્રોમા ફેરવી લેશો તો? સંબંધીની ઇર્ષયા કઇક કારસ્તાન ઉભુ કરશો તો? માણસને સતત સ્નેહ્ની ભુખ છે, તે ઇચ્છે છે કે થોડીક નિકટની વ્યક્તિઓના ભાવમા કઇ ફરક ના પડે. તેને પોતાની હદયની ચાહવાની શક્તિમા શંકા છે. એટલે બિજાઓના હદયની આવી શક્તિમા પણ શંકા પડે છે. આ બધાની શંકાથી તેઓ પ્રેમ અને વફાદારીના પોતાના દાવા બુલન્દ રીતે રજુ કરવાની સાથે ચોપાસ શંકાભરી નજરે જાંચ તપાસ ચલાવે છે. કોઇ વળી પોતાની તબિયતની બાબતમા બિનસલામાતીની લાગની પિડ્યા કરે છે. કેંનસરની વાત વાંચે ત્યારે તેના લક્ષણોની ખાનગી તપાસ પોતાના શરીરમા કરે છે. હદયરોગની જાણકારી મેળવે ત્યાં પોતાના હૈયાની કોઇક દગાખોરીની તપાસ આદરે છે. તબિયત પરના જાતજાતના આવા આવા જોખમોની એક અસ્પષટ ભયભીતતા તેમને સતાવે છે. આ બધાજ શંકાઓનુ ગ્રાંડ ટોટલ પોતના આયુષ્યની લામ્બી ટુકી રેખાની ચિંતારુપે હાજર થાય છે. શરીર અંગે કોઇ ખાસ ફરિયાદ ના હોય ત્યારે અકસ્માતનો ભય રહે છે. ટ્રેનોનો અકસમાત, વિમાન અકસમાત, જાહેર રસ્તા પરના અકસ્માત એક વ્યક્તિગત શક્યતા બનીને તેમની પોતાની યાત્રાનુ શંકાસ્પદ ભાથુ બની જાય છે. પોતાનો સામાનના દાગીના વારેવારે ગણ્યા કરે છે. પણ પેલો મુખ્ય દાગીનો તો શંકાના ભય્નો હોય છે.

પોતનુ મ્રુત્યુ કેવી રીતે, કયા અને કયા સંજોગોમા થશે તેની ચિંતા કેટ્લાક્ને બિનસલામાતીની લાગણી આપે છે. તો વરી આમાથી કેટ્લાકને પોતાના મ્રુત્યુ પછી પોતાની શી દશા થશે - માત્ર શરીરનીજ નહિ, પણ પોતાના આત્માની એની ચિંતા થાય છે. સમરસેટ મોમ કહે છે કે, માણસના ઘણા બધા ડર અને બિનસલામાતીની લાગણીઓની કલ્પના હુ કરી શકુ છુ, પણ મ્રુત્યુ પછીની ગતિની ચિંતા કરનારાઓના ડરની લાગણી હુ સમજી શકતો નથી. તમે જ્યારે નહિ હો ત્યારે કઇજ નહિ હોય. મ્રુત્યુ પછીની આવી ચિંતાને વર્તમાન ડરના રુપમા ચીતરવાનો શો અર્થ?

___________________________

ભુપતભાઇ વડોદરિયા આજે આ દુનિયામાં નથી અને આજે સવારે તેમણે હંમેશ માટે વિદાય લીધી છે. કાલે રાતના એવું લાગતુ હતુ કે તે હમણા ઉંઘમાંથી ઉઠીને બોલશે પણ તેમ મનને ના મનાવાય - ભગવાન તેમના આત્માને શાંતી આપે તેજ પ્રભુને પ્રાર્થના. તેમનું હાસ્ય અને પ્રેરણા સદા આપણી સાથે રહેશે અને તેમની યાદ દિલમાં સાથે રહેશે. ભાઇએ મને ગુજરાતી લખવા માટે પ્રોત્સાહન આપ્યું હતુ અને તેના લીધે આ બ્લોગ મેં શરૂ કર્યો હતો તે વાંચકો અને તેમના ચાહકો સુધી હું તેમનુ લખાણ પહોંચાડવાનો પ્રાયાસ સતત સમય મળે ત્યારે કરીશ. - So, stay tuned.
- ilaxi

Tuesday, September 20, 2011

‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ - ભુપતભાઇ વડોદરિયા

‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’
ભુપતભાઇ વડોદરિયા

જે ઈન ઓસ્ટીનની નવલકથા ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ ઇંગ્લેન્ડમાં પ્રથમ વાર પ્રગટ થઈ ત્યારે તરત જ તે લોકપ્રિય થઈ હતી. આજે પોણા બસો વર્ષ પછી તેને વાચકો મળ્યા જ કરે છે. આમ જુઓ તો એક પ્રેમપરિણયની કથા છે તેમાં ઈમીલી બ્રોન્ટેની ‘વુધરિંગ હાઈટ્સ’નું તોફાન નથી કે તેમાં શાર્લોટ બ્રોન્ટેની ‘જેઈન આયર’ની મસ્તી પણ નથી. છતાં આજે પણ આ નવલકથા હાથમાં લેનારા વાચકને તે વાંચવાની મજા પડે છે, ખળભળ વહેતાં ઝરણાંની જેમ કથા આગળ વધે છે. અહીં તહીં આંટીઘૂંટી, ગેરસમજ અને રહસ્યના નાના મોટા ખડક ગોઠવાયેલા છે. પણ એની કથાના પ્રવાહમાં ક્યાંય અંતરાય નડતો નથી. કશું જ અસામાન્ય નથી અને છતાં તેની સામાન્યતામાંથી સાર્વજનિકતાનું એક નક્કર તત્ત્વ ઊપસી આવે છે એટલે ઇંગ્લેન્ડની એક તદ્દન નાનકડી દુનિયાની વાત આખી દુનિયાને રસપ્રદ લાગે છે. સમરસેટ મોમે એવું કહ્યું છે કે આકૃતિનો એક મોટો ગુણ તેની સુવાચ્યતા ‘રિડેબિલિટી’ છે પણ નિઃશંક એ મોટો ગુણ હોવા છતાં આપણે વીસમી સદીના વાચકો જાણીએ છીએ કે આજકાલ તો જાહેર ખબરો પણ રસપ્રદ અને સુવાચ્ય હોય છે. માત્ર આ જ ગુણને કારણે જેઈન ઓસ્ટીનની નવલકથા આટલું લાંબંુ જીવી ના શકે! ઐતિહાસિક નવલકથાઓના વિશ્વપ્રસિદ્ધ અંગ્રેજી લેખક વોલ્ટર સ્કોટનો એ જમાનો હતો અને સ્કોટે પોતે કહ્યું છે કે, જેઈન ઓસ્ટીને એક વિરલ સિદ્ધિ હાંસલ કરી છે. હું તો અસામાન્ય પાત્રો અને અસામાન્ય નાટ્યાત્મક પરિસ્થિતિઓની વાર્તાઓ લખું છું અને વાચકોને તે મનોહર લાગે પણ જેઈન ઓસ્ટીન તો તદ્દન સામાન્ય પરિવારની સામાન્ય સંસારકથા લખે છે અને તે કેટલી બધી મનોહર બની રહે છે!

મારી દ્રષ્ટિએ ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ની નવલકથાના આટલા લાંબા આયુષ્યનું કારણ એ છે કે તેનું કથાબીજ યુવકયુવતીઓની પ્રણયઝંખના અને લગ્નેચ્છાના સનાતન વિષયનું છે. બીજું, લેખિકા કોઈ અસામાન્ય પ્રેમની વાત કહેતી નથી. એક સરેરાશ સામાન્ય યુવકયુવતીની વાત કહે છે. અસામાન્યતા તેમના પ્રેેમમાં નથી, અસામાન્યતા તેમના વ્યક્તિત્વની વિશેષતામાં છે. વ્યક્તિત્વની આ વિશેષતાને જીવંત રીતે ઉપસાવવાની કલા જેઈન ઓસ્ટીન પાસે છે. નવલકથાની નાયિકા એલિઝાબેથ બેનેટ આપણી નજર સામે આજે પોણા બે સૈકા પછી પણ ખડી કરીએ ત્યારે તે આજની કોઈ પણ ગરીબ કે સામાન્ય સ્થિતિની પણ સ્વમાની અને ચતુર કન્યાથી જુદી લાગતી નથી. ગરીબ મધ્યમ વર્ગની કે અમીર ઘરની કોઈ પણ યુવતીને એલિઝાબેથ થવું ગમેે એલિઝાબેથ જેવી અભિમાની છોકરી થવું ના ગમે તો એની મોટી બહેન જેઈન થવું ગમેે. કોઈ ને, લીડિયા થવું ગમે કે કોઈને મેરી કે કીટ્ટી થવું પણ ગમે.

ટૂંકમાં લેખિકાએ એક લગ્નોન્મુખ યુવતીની બરાબર નાડ પકડી છે. જેઈન ઓસ્ટીનને પોતાની જિંદગીમાં જે પ્રેમ ના મળ્યો, લગ્નનું જે સૌભાગ્ય ના મળ્યું તેની ખોટ પૂરવા જાણેે તેણે પોતાની મનોસૃષ્ટિમાં બે પુરુષ ઉત્પન્ન કર્યા! શ્રીમંત ગર્વિષ્ઠ જુવાન ડાર્સી અને બીંગલી. બીંગલી અને ડાર્સી બંને મિત્રો છે, પણ બંનેના સ્વભાવમાં દોન ધ્રૂવનું અંતર છે. બીંગલી શ્રીમંત પણ ભલો, નરમ અને સરળ છે જ્યારે ડાર્સી ગર્વિષ્ઠ, જટિલ, કઠોર પણ અંદરથી પ્રેમભૂખ્યો અને ઉમરાવ દિલનો છે. જેઈન ઓસ્ટીનના મોટા ભાગનાં પાત્રો એકદમ પ્રતીતિકર અને ઓળખી શકાય તેવાં છે. પાંચ પુત્રીઓના પિતા શ્રીમાન બેનેટ અને માતા શ્રીમતી બેનેટને આજે પણ એક મધ્યમ વર્ગના પરિવારનાં પ્રૌઢ દંપતી તરીકે ઓળખી શકાય છે. પાંચ દીકરીઓ છે. દીકરો નથી, દીકરો ના હોવાથી મકાનની મિલકત ભત્રીજા શ્રી કોલીન્સને જ જાય તેમ છે. આવાં માબાપે આજે પણ લાયકપૈસે ટકે સુખી યુવકોની નિરંતર શોધ કર્યા જ નથી કરતા? આપણે જાણીએ છીએ કે પ્રેમના આકર્ષણનું પ્રથમ રૂપ ઘણી વાર એકબીજા પ્રત્યેના અણગમાના મુખભાવમાં પ્રગટ થાય છે. ડાર્સી અને એલિઝાબેથ વચ્ચે તણખા ઝરે છે. ડાર્સી નૃત્યના સાથીદાર તરીકે એ એલિઝાબેથને પોતાને યોગ્ય ગણતો નથી. એની ટીકા એલિઝાબેથના કાને પડે છે અને બંને વચ્ચે એક ઠંડું યુદ્ધ શરૂ થાય છે. જે છેવટે પ્રેમના એકરારમાં પરિણમે છે. એલિઝાબેથની મોટી બહેન જેઈન અને બીંગલેની જોડી રચાઈ રહી છે. તેની પાર્શ્ચભૂમિકામાં આ બીજી રોમાંચક જોડી રચાય છે. એ જ કથાનાં નાયકનાયિકા બને છે પણ સ્વાભાવિક રીતે જ પહેલો સંબંધ મોટી બહેનનો જ ગોઠવાય એટલે એમાં માબાપે ‘ગોઠવેલા’ સંબંધનું તત્ત્વપ્રધાન લાગે. એની પડખે આ પ્રથમ તિરસ્કાર અને પછી ઉત્કટ આકર્ષણની કથા વધુ સહજ અને સુંદર લાગે છે અને મુખ્ય કથા તરીકે ઊપસી આવે છે. જેઈન ઓસ્ટીન પાત્રોના માનસિક પૃથ્થકરણમાં જતી નથી. રોજિંદા જીવનના તરંગોની સંજ્ઞા દ્વારા એ પાત્રોને ખડાં કરે છે. ક્યાંય મહોરા કે કઠપૂતળી જેવાં એ લાગતાં નથી. જેઈન ઓસ્ટીનની સૃષ્ટિ સપાટી ઉપરની છે. તેમાં દરિયાઈ પેટાળની રમ્યતારુદ્રતા નથી, પણ છતાં તે છીછરાપણામાંથી બચી જાય છે, કેમ કે સપાટી સાચી અને જિંદગીના નક્કર દેહ સાથે ચામડીની જેમ મઢાયેલી છે.

__________________

ભાઇનો આ ખુબ જુનો લેખ છે.

તેમનો અંગ્રેજી સાહિત્યા પ્રત્યેનો પ્રેમ આજે પણ એક પ્રેરણા છે. તેમના રૂમમાં મુકેલા કબાટમાં એક સાહિત્યનો ખજાનો છે અને મને યાદ છે કે હજુ મારે તેનુ લિસ્ટ બનાવવાનું છે! ભાઇ આ પુસ્તકો ને ખુબ પ્રેમથી વાંચતા અને આ અનુભવો લખતા. ઓફીસમાં તેમને મળવા નુ મન થાય ત્યારે અચુક ભાઇ અંગ્રેજી સાહિત્યની વાત કર્તા. તેમનો શોખ માત્ર અંગ્રેજી નહિ પણ ગુજરતી સાહિત્યા નો ખુબ રહેતો અને તેમની વાતોમાં એક ગજબ ઉત્સાહ હોતો અને આંખમા ચમક. આજે ભાઇ ની તબિયત સારી નથી અને મારી હિંમત નથી કે હું તેમને જોઇ શકું - એક ડર છે એક સ્વજન ખોવનો - ભગવાન તેમને ખુબજ સરસ સ્વર્ગ બતાવે અને ભાનુબેન્ નો સાથ આપે - ગોડ બ્લેસ હીમ અને આવુજ તેમનુ નિર્દોષ સ્મિત સદા આપણા દિલમા રહે..