Sunday, November 20, 2011

‘મેક્સિમ્સ’ના થોડા નમૂના: La Rochefoucauld

‘મેક્સિમ્સ’ના થોડા નમૂના
ભુપતભાઇ વડોદરિયા

માણસની કોઈ ઉમદા ભાવનાની, તેના આદર્શની, તેની નૈતિક ઊંચાઈની કોઈ વાત કેટલાક માણસોને ગળે જ નથી તરતી. માણસના સ્વભાવ વિશે અધિક અંશે ઘણું બધું ખરાબ હોવાનું માનનારી વ્યક્તિને આપણે નિરાશાવાદીહતાશાવાદી ગણીએ છીએ, આવી વ્યક્તિઓને કેટલીક વાર કશું સીધું કે સારું દેખાતું જ નથી, તેને બધું જ આડુંઅવળું, ઊંધુંચત્તું અને પોલંપોલ જેવું લાગે છે, ત્રાંસી નજરે વ્યક્તિ કે સમુદાયને જોનારા માણસ અત્યંત અળખામણા બને છે. વક્રદર્શનની આવી વિશિષ્ટ દ્રષ્ટિવાળા માણસોમાંથી બહુ જ થોડા એવા નીકળે છે, જેમની વાણી કડવી લાગવા છતાં તેમાં કશુંક ગુણકારી સંભવી શકે છે.

સત્તરમા સૈકાની શરૂઆતમાં આવો એક માણસ જન્મ્યો હતો પૅરિસમાં. સોળસો તેરની સાલમાં પંદરમી સપ્ટેમ્બરે જન્મેલો લા રોસેફુકોલ્ડ (La Rochefoucauld) રાજવંશી ખાનદાનનો હતો. તેને આગળ ઉપર ડ્યૂકનો ખિતાબ પણ મળ્યો હતો. સોળ જ વર્ષની ઉંમરે પરણ્યો હતો. રાજદરબારની ખટપટોમાં ભાગીદાર અને શિકાર બંને બની ચૂક્યો હતો. લશ્કરમાં પણ સામેલ હતો. ૩૯ વર્ષની ઉંમરે લડાઈમાં જખ્મી બન્યો. ૬૭ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. બાવન વર્ષની ઉંમરે એણે જ્યારે ‘મેક્સિમ્સ’ (સૂક્તિઓ) પુસ્તિકા પ્રગટ કરી ત્યારે તેના સમકાલીનોને આંચકો લાગ્યો હતો. અર્વાચીન વાચકોને આજે કદાચ એવો આઘાત નહીં લાગે, વાચકને લાગશે કે આ ચિંતનલેખકે મનુષ્યસ્વભાવને બહુ જ કાળો ચીતર્યો છે, આવા આક્ષેપમાં જરૂર તથ્ય છે, પણ સાથેસાથે આ માણસ જે કંઈક કડવુંકાળું કહે છે તેમાં પણ કાંઈક હકીકત છે, તેનો ઇન્કાર પણ થઈ નહીં શકે. થોડાક જ શબ્દોમાં તે માનવસ્વભાવના કોઈ ને કોઈ ડાણને સ્પર્શી શકે છે, પકડી શકે છે.

‘મેક્સિમ્સ’ના થોડા નમૂના અહીં આપ્યા છે.

- માણસો ભલાઈ અને બુરાઈ બંનેને ભૂલી જતા હોય છે એટલું જ નહીં પણ જેણે પોતાનું ભલું કર્યંુ હોય તેને ધિક્કારતા હોય છે. જેણે પોતાનું ખરાબ કર્યું હોય તેને ધિક્કારવાનું બંધ કરી દે છે.

- બીજાઓનાં દુર્ભાગ્યો વેઠવાનું બળ આપણા સૌમાં હોય છે!

- દુર્ભાગ્ય કરતાં સદ્ભાગ્ય સહન કરવા માટે વધુ સદ્ગુણની જરૂર રહે છે.

- સૂર્ય સામે અને મોત સામે કોઈ સીધી નજરે તાકી શકતું નથી.

- આપણી આશાઓ પ્રમાણે આપણે વચનો આપીએ છીએ અને આપણી શક્તિ અનુસાર તેનું પાલન કરીએ છીએ.

- આપણે જાતે કલ્પના કરીએ છીએ એટલા સુખી કે દુઃખી આપણે ક્યારેય હોતા નથી.

- પરિણામ પરથી પ્રેમનું મૂલ્યાંકન કરવા જઈએ તો એમ જ લાગે કે પ્રેમ દોસ્તી કરતાં દુશ્મનાવટને વધુ મળતો આવે છે.

- દરેક માણસ પોતે સારા હૃદયનો હોવાનું કહે છે, કોઈ પોતાનું મન સારું હોવાનું કહી શકે તેમ નથી.

- દિલ હંમેશાં દિમાગને મૂર્ખ બનાવે છે.

- આપણી પોતાની જ ખુશામત આપણે કરીએ નહીં તો આપણે ભાગ્યે જ રાજી રહી શકીએ!

- બીજાઓની બાબતમાં ડાહ્યા થવાનું સહેલું હોય છે પણ આપણી પોતાની બાબતમાં ડાહ્યા થવાનું મુશ્કેલ હોય છે.

- પ્રશંસા સાંભળવાનો ઇન્કાર કરવો તેનો અર્થ બે વાર વખાણ સાંભળવાની માગણી કરવી છે.

- આવી પડનારાં દુર્ભાગ્યોની કલ્પનામાં આપણી બુદ્ધિ વાપરવા કરતાં ચાલુ દુર્ભાગ્યને પહોંચી વળવામાં આપણી બુદ્ધિ વાપરવાનું બહેતર છે. દંભ એટલે સદ્ગુણને દુર્ગુણે આપેલી સલામી!

- મોટા ભાગના માણસો માટે તેમની કૃતજ્ઞતાની લાગણીમાં વધુ લાભો ખાટવાની છાની ઇચ્છાથી વધુ કંઈ હોતું નથી.

- આપણી નાની ત્રુટિઓ આપણે એકદમ કબૂલ કરીએ છીએ, અને એમ કરીને આપણે બીજાઓને એવું સમજાવવા માગતા હોઈએ છીએ કે આપણામાં કોઈ મહાન ત્રુટિઓ નથી.

- ભાગ્યની મહેરબાની જેમને મળી નથી હોતી તેમને ભાગ્ય ખરેખર આંધળું લાગે છે. ભાગ્યની સાથે કામ પાડવાનો તરીકો એક જ છે, તબિયતની બાબતમાં આપણે આ જ તરીકો અજમાવીએ છીએ ઃ તબિયતની જેમ જ ભાગ્ય સારું હોય ત્યારે તેને માણો, ભાગ્ય ખરાબ હોય ત્યારે ધીરજ રાખો અને અંતિમ ઇલાજનો આશરો કદી ન લો!

- આપણાં ઉત્તમમાં ઉત્તમ કાર્યો પાછળના મૂળ હેતુઓની જગતને જાણ થતી હોત તો આપણે તેને માટે શરમાઈ મરતા હોત!

__________________________________
This has been Bhupatbhai's reading of Literature.

In English:

La Rochefoucauld, Maxims, translated, with an introduction, by Leonard Tancock.(New York and London: Penguin Books, 1984) The editor also includes the brief self-portrait of La Rochefoucauld, and another verbal portrait by Cardinal de Retz. Tancock's is still the best complete translation in English.

Read more on this character here:

Thursday, November 10, 2011

જૂની કડવાશને જતી કરીએ

જૂની કડવાશને જતી કરીએ
ભૂપતભાઇ વડોદરિયા

વૃદ્ધ સુમતિચંદ્ર પાસે એક યુવાન મદદ માગવા આવ્યો છે. એ યુવાન સુમતિચંદ્રની બહેનનો દીકરો છે. ઘણા વર્ષે ભાણેજ મામાને મળવા આવ્યો છે. ભાણેજ મોં ખોલીને કશું કહેતો નથી પણ એક પત્ર મામાના હાથમાં મૂકે છે. સુમતિચંદ્રે એ પત્ર વાંચ્યો, ફાડીને કચરાની ટોપલીમાં નાખ્યો. તેમણે પોતાના કોટમાંથી એક હજાર રૂપિયા કાઢીને એ યુવાનને આપ્યા. ક્ષોભભરી નજરે પણ આભારવશ હૈયે એ જુવાન વિદાય થયો. એના ગયા પછી તુરંત જ સુમતિચંદ્રનાં પત્ની ભાગીરથીબહેન દીવાનખાનામાં આવ્યાં. તેમના પતિને પૂછ્યું, ‘કોણ હતું?’ સુમતિચંદ્રે ટૂંકો જવાબ આપ્યોઃ ‘બહેનનો મહેશ હતો. મેં તો તેને ચાપાણીનું પણ પૂછ્યું નહીં! મને એમ કે તમે અંદર સૂતાં હશો.’ પત્નીએ કડવું હસીને કહ્યું, ‘હું તો જાણતી જ હતી અને તમારા મામાભાણેજની લીલા જોઈ! તમને શું કહેવું એ મને સૂઝતું નથી. શું તમને કશું જ યાદ નથી? તમારી આ બહેન પાસે વર્ષો પહેલાં જ્યારે મેં આપણી દીકરી માટેતેની ફી અને કોલેજના ચોપડા માટેમાત્ર ત્રણસો રૂપિયા જ માગ્યા હતા ત્યારે તમારાં બહેન અને બનેવીએ પૈસા આપવા તો દૂર રહ્યા, પણ એવું મહેણું માર્યું હતું કે ‘સ્થિતિ નથી તો દીકરીને શું કામ આગળ ભણાવો છો! છેવટે દીકરીને તો પરણાવીને સાસરે જ મોકલવી છે ને?’ ત્યારે આપણી સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેઓની સ્થિતિ ખૂબ સારી હતી. આજે તમે તમારી એ બહેનના દીકરાને કંઈ સવાલજવાબ કર્યા વિના નગદ એક હજાર આપી દીધા! બહેને ચિઠ્ઠીમાં ચાર લીટી લખી અને ભાઈનું દિલ પીગળી ગયું! ખેર, એ ચિઠ્ઠી ફાડીને ફેંકી શું કામ દીધી? હું તે કોઈને વાંચી સાંભળાવત!’ સુમતિચંદ્રે કહ્યું, ‘‘મારી સગી બહેનનો દીકરો છે, આજે મુશ્કેલીમાં આવી પડ્યો ને પોતાની મા પાસે ચિઠ્ઠી લખાવીને આવ્યો! બનેવી તો આજે હયાત નથી. ભૂતકાળમાં કોઈ સગાંસંબંધીએ આપણી સાથે ભલે ગમે તેવો વહેવાર કર્યો હોય, એ સગાંસંબંધી મુશ્કેલીમાં આવી પડે અને આપણી મદદ માગે ત્યારે આપણી શક્તિ મુજબ મદદ આપવી. આપણી ત્રેવડ ન હોય તો ના પણ પાડીએ, પણ મદદની શક્તિ છે. મદદ માગનારની ભીડની સચ્ચાઈમાં પણ કાંઇ શંકા નથી ત્યારે જૂની વાત યાદ કરી તેને નનૈયો ભણાવે એ શું સારું છે? મને તો એ વાતનો આનંદ છે કે ઈશ્વરે મને કોઈને પણ બે પૈસાની મદદ કરવાની શક્તિ આપી! હું પરમાત્માનો એટલો આભાર માનું છે કે મારે મારી બહેનના દીકરાને મદદ કરવાની વેળા આવી ત્યારે જૂની કડવાશે મારો હાથ રોકી ન રાખ્યો! મારી બહેનના પત્રમાં ‘લાચારી’ અને પોતે અગાઉ કરેલા વહેવારનો ‘પસ્તાવો’ પણ હતાં! એ ચિઠ્ઠી સંઘરીને આપણે શું કરવું હતું? હું તો માનું છું કે પોતાની ભીડની ક્ષણે પોતાનો હાથ બીજે ક્યાંક લંબાવવાને બદલે જૂની વાત ભૂલીને સગા ભાઈ પાસે જ મદદ માગવા જેટલી ‘ઉદારતા’ પણ તેણે બતાવી. ભગવાને જ એના અંતરમાં આવી પ્રેરણા મૂકી હશે! તે મારી ઓળખાણના બીજા કોઈ પણ વેપારી પાસે મદદ માગવા જઈ શકી હોત. કદાચ તેને મદદ મળી પણ હોત અને એને મદદ કરનારે હસતાં હસતાં મને સંભળાવ્યું પણ હોત કે ‘તમારાં બહેન બિચારાં મારી પાસે મદદ માટે આવ્યાં હતાં! મેં તેને મદદ તો કરી પણ મિત્ર, તમે બહેનનું મુદ્દલ ધ્યાન નથી રાખતા કે શું?’ એણે આવું કહ્યું હોત તો શરમથી મારું માથું ઝૂકી જાત! હું શું ત્યારે એ માણસ સમક્ષ એવો ખુલાસો કરત કે મારા નબળા સમયમાં મેં મારી દીકરી માટે કોલેજની ફીચોપડીના પૈસા માગ્યા ત્યારે મારાં બહેનબનેવીએ મને મદદ નહોતી કરી એટલે અત્યારે હવે હું એમને શું કામ મદદ કરું? તે વખતે મારાં બહેનબનેવીનું વર્તન જો ગેરવાજબી હતું તો આજે હું એવું જ વર્તન કરું તો તે કઈ રીતે વાજબી ગણાય? ‘‘એમ વિચાર કરીએ તો આપણા અત્યંત વિકટ સમયમાં તારા સગા ભાઈએ આપણી સાથે કેવો વહેવાર કર્યો હતો? આજે આપણે જે સ્નેહભર્યો સંબંધ તેમની સાથે નિભાવીએ છીએ તે સંબંધ ભૂતકાળની વાતો યાદ કરીએ તો ટકી શકે ખરો?

જીવન આવું જ છે. બધી સમયની લીલા છે. સમય એક સારા શક્તિમાન મનુષ્યને ભિખારીનાં કપડાં પહેરાવે છે અને સમય ફરી કોઈ વાર એ જ માણસને ધનવાનનો પોશાક પહેરાવે છે. એ દિવસોમાં તારા સગા ભાઈએ જે વહેવાર કર્યો હતો તેે પણ ત્યારે તો ખૂબ ખટક્યો હતો. મારી સગી બહેને જે વહેવાર આપણી સાથે કર્યો હતો તે તનેમને પણ ખૂબ ખટક્યો હતો, પણ માણસે યાદ રાખવું જ પડે છે કે સ્મૃતિઓનો પણ એક વિવેક છે. સારા પ્રસંગની શોભા પર વીતી ગયેલી વાતનો પડછાયો પાડવાથી આપણું સુખ ઘટે, ખારું બને તે વધે નહીં, તેમાં કોઈ મીઠાશ ન મળે.’’